પાટણ: રાહુલ ગાંધીના વડાપ્રધાન પર પ્રહાર, ભ્રષ્ટાચાર-બેરોજગારી નથી દેખાતી મોદીજીને
પાટણમાં કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ પીએમ મોદીને પુછ્યો સવાલ હવે કેમ ભષ્ટ્રાચાર અને રોજગારી તમને નથી દેખાતી. જાણો રાહુલનું ભાષણ અહીં
પાટણ: ગુજરાતમાં એકતરફ વિધાનસભાની 89 બેઠકો માટે આજે વહેલી સવારથી જ મોટી માત્રામાં લોકો મતદાન કરી રહ્યા છે. તો બીજી તરફ કોંગ્રેસ અને ભાજપના નેતાઓ બીજા તબક્કાની બેઠકો પર ઝંઝાવાતી પ્રચાર કરી રહ્યા છે. પાટણમાં આવેલા રાહુલ ગાંધીએ ફરી એકવાર વડાપ્રધાન મોદી પર આકરા પ્રહારો કર્યા છે. રાહુલે કહ્યું કે, "હવે મોદીજી વિકાસની વાતો સિવાય બધી જ વાતો કરે છે. મણિશંકર અય્યરે તેમના વિશે કંઈક કહ્યું તો એ તેમના માટે મુદ્દો બની જાય છે. તમે બધા એક વાત નોંધી લો કે આ સમગ્ર ચૂંટણી પ્રચાર દરમિયાન મોદીજીએ ભ્રષ્ટાચારનો મુદ્દો ઉઠાવ્યો નથી. જાણો છો કેમ? કારણ કે અમિત શાહના દિકરાની કંપનીએ 50 હજાર રૂપિયાને 50 હજાર કરોડ રૂપિયા બનાવી દીધા છે. હું આજે ખુલીને બોલીશ અને ગુજરાતના મુદ્દોઓની વાત કરીશ. કારણ કે જે વ્યક્તિ સત્ય બોલે છે તે હંમેશા ડર્યા વગર નીડરતાથી બોલે છે. પરંતુ તમે વડાપ્રધાન મોદીનું કાલનું જ ભાષણ સાંભળી લો. તેમાં તેમણે 70 ટકા વાતો તો પોતાની જ કરી છે. આ ચૂંટણી તેમના કે મારા વિષયની ચૂંટણી નથી. પરંતુ ગુજરાતની પ્રજાની ચૂંટણી છે.
વધુમાં રાહુલ ગાંધીએ કહ્યું કે, "આ ભાજપના લોકો પાસે કેન્દ્રમાં સરકાર છે, ઉત્તરપ્રદેશની સરકાર છે, મહારાષ્ટ્રમાં સરકાર છે, આઈબી છે, બધું જ છે. પરંતુ કોંગ્રેસ પાસ માત્ર સત્ય છે. હું માત્ર કોંગ્રેસનું સત્ય બોલું છું. આ ભાજપના લોકોએ 22 વર્ષ વર્ષમાં ગુજરાતમાં શું વિકાસ કર્યો છે, તેનું સત્ય હું બોલીશ." નેનો પ્રોજેક્ટ પર ફરી એકવાર રાહુલ ગાંધીએ આક્ષેપો કરતા કહ્યું કે, "આ સમગ્ર જાદૂનો ખેલ છે. 33000 કરોડ રૂપિયા, તમારી જમીન, તમારી વીજળી બધું જ આ નેનો પ્રોજેક્ટમાં ગાયબ થઈ ગયું છે. મજા આવી ગઈ. પરંતુ કોને? માત્ર 5થી 10 ઉદ્યોગપતિઓને."
નોટબંધીના મુદ્દે રાહુલ ગાંધીએ કહ્યું કે, "વડાપ્રધાનજીએ દેશના ચોરોના કાળા નાણાંને સફેદ કરી નાખ્યા. મોદીજી હવે રોજગારની વાતો નથી કરતા. નોટબંધીની વાતો પણ નથી કરતા. તમે ક્યારેય કોઈ સૂટબૂટવાળાને બેંકોની લાઈનમાં નહીં જોયા હોય. રોતારાત મોદીજીની સરકારે ગબ્બરસિંહ ટેક્સ પણ સામાન્ય જનતા પર નાખી દીધો. મોદીજીએ કહ્યું કે ભાજપ નર્મદાના પાણીના સહારે ચૂંટણી લડશે. પરંતુ આજે પણ અનેક ગામો સુધી નર્મદાનું પાણી પહોંચાડ્યુ નથી. ગુજરાતની ચૂંટણીમાં વડાપ્રધાન મોદી રોજ મુદ્દાઓ બદલી રહ્યા છે. "