સરકારની કસોટીઃ બે દિવસીય વિધાનસભા સત્ર અને કોંગ્રેસનો વિધાનસભા ઘેરાવ કાર્યક્રમ
ગુજરાત વિધાનસભા બે દિવસીય સત્રનો આજથી પ્રારંભ થઇ રહ્યો છે
ગુજરાત વિધાનસભા બે દિવસીય સત્રનો આજથી પ્રારંભ થઇ રહ્યો છે. વિધાનસભાનું અર્ધવાર્ષિક સત્ર મંગળવારે અને બુધવારે એમ બે દિવસ માટે મળી રહ્યું છે. ત્યારે, સરકારની બંને મોરચે કપરી કસોટી થવાની છે. એક તરફ કોંગ્રેસે સરકારને વિધાનસભામાં ઘેરવા માટે મંત્રીમંડળ સામે અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી છે ત્યારે, બીજી તરફ વિધાનસભા ઘેરાવના મુદ્દે રાજ્યભરમાંથી કોંગ્રેસ કાર્યકરોને ગાંધીનગર ખાતે લાવીને ઉગ્ર કાર્યક્રમ આપી રહી છે. ત્યારે, બે દિવસ સરકાર માટે કપરા સાબિત થઇ શકે છે.
કોંગ્રેસનો વિધાનસભા ઘેરાવ કાર્યક્રમ
આગામી મે મહિનામાં લોકસભાની ચૂંટણીના પડઘમ વાગવાના છે ત્યારે, શાસક ભાજપ સરકાર અને વિરોધ પક્ષ કોંગ્રેસ આ સત્રનો રાજકીય ફાયદો ઉઠાવવાની ભરપૂર કોશિશ કરશે. વિધાનસભાના સત્રમાં તોફાનના સંકેત આપતા કોંગ્રેસે આજે સવારે સત્ર શરૂ થવાના ટાણે આક્રોશ, રેલી દ્વારા વિધાનસભા ઘેરાવનો કાર્યક્રમ મોટા પાયે કરવાની જાહેરાત કરી દીધી છે. તો વિધાનસભામાં પણ સરકારને ઘેરવા માટે કોંગ્રેસે મુખ્યમંત્રી વિજય રૂપાણીની આગેવાની હેઠળની સરકાર તમામ મોરચે નિષ્ફળ ગઇ હોવાનો આક્ષેપ કરતાં તેની સામે વિધાનસભાના નિયમોના નિયમ ૧૦૬ હેઠળ મંત્રીમંડળ સામે અવિશ્વાસ પ્રસ્તાવ વિધાન સભા ગૃહમાં રજૂ કરવાની અનુમતિ માગતી નોટિસ પણ સ્પીકરને સોંપી દીધી છે.
બે દિવસીય વિધાનસભા સત્રની શરૂઆત
કોંગ્રેસે રજૂ કરેલો આ અવિશ્વાસ પ્રસ્તાવની આ બાબત ગૃહના એજન્ડા ઉપર આવે તેવી શક્યતા નહીંવત્ જોવા મળી રહી છે. પ્રથમ દિવસના એજન્ડામાં મંગળવારે સ્વર્ગસ્થ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયી ઉપરાંત રાજ્ય વિધાનસભા મંડળના દિવંગત ૯ પૂર્વ ધારાસભ્યો- પૂર્વ મંત્રીઓને શ્રદ્ધાંજલિ આપી ગૃહ મુલતવી રહેશે. ત્યાર બાદ બીજા સેસન દરમિયાન સરકારી સુધારા વિધેયક રજૂ કરવામાં આવશે. બુધવારે સવારે અને બપોરે એમ બે બેઠકમાં ૬ વિધેયકોની પણ ચર્ચા થશે.
સરકારને બંને મોરચે ઘેરવાની રણનીતિ
ગુજરાત વિધાનસભાના સત્રની સાથે જ કોંગ્રેસે વિધાનસભા ઘેરાવનો કાર્યક્રમ આપીને સરકારને બંને મોરચે ઘેરવાની રણનીતિ તૈયાર કરી છે. આજે વિધાનસભા ઘેરાવના કાર્યક્રમનો પડઘો નિશ્ચિત રીતે વિધાનસભા ગૃહમાં પડશે. જેના કારણે આવતીકાલે ગૃહમાં ધમાલ સર્જાય તેવી શક્યતા નિશ્ચિત છે. કોંગ્રેસની રેલી તો બુધવારે વિધાનગૃહ બહાર યોજાવાની છે, પણ એનો પડઘો ગૃહમાં પાડવાની રણનીતિ નક્કી થઇ હોઇ બુધવારે ગૃહમાં ધાંધલ ધમાલ નિશ્ચિત છે, જેના જવાબમાં કેવી રીતે કાર્યવાહી કરવી તે અંગે પણ શાસક ભાજપ વિધાનસભા પક્ષે પોતાની યોજના બનાવી લીધી છે.
મંત્રીમંડળ સામે અવિશ્વાસ પ્રસ્તાવની નોટીસ
ભાજપે પણ બે દિવસના વિધાનસભા સત્ર દરમિયાન પોતાની વ્યૂહરચના અને રણનીતિ ઘડવા માટે ધારાસભ્યોની એક બેઠક બોલાવી હતી. આ બેઠકમાં સરકારનો બચાવ કરવાની અને કોંગ્રેસના નિયમ 116 મુજબની નોટીસ તેમજ વિધાનસભા ઘેરાવના કાર્યક્રમને નિષ્ફળ બનાવવા માટેની રણનીતિ ઘડી હતી. સરકારી વિધેયક પસાર કરવા માટે યોગ્ય કોરમ બની રહે તે માટે અને વિધાનસભામાં ભાજપનું સંખ્યાબળ જળવાઇ રહે તેવી તાકીદ કરવા બેઠક મળી હતી.
સરકારને ઘેરશે કોંગ્રેસ ?
વિધાનસભાના બે દિવસીય સત્ર દરમિયાન રાજ્યના કેટલાક મુદ્દાઓ જેમાં ખાસ કરીને, પાટીદાર અનામત આંદોલન અને ખેડૂત દેવામાફી તેમજ મોંઘવારીનો મુદ્દો લાવવા કોંગ્રેસ પ્રયાસ કરી શકે છે.
સંજીવ ભટ્ટની પત્નીનો આરોપ, ધરપકડના 12 દિવસ બાદ પણ મળવા નથી દેવાતા