ગુજરાત : જામનગરમાં મુખ્યમંત્રીના હસ્તે 7મા ગરીબ કલ્યાણ મેળાનું ઉદઘાટન
જામનગર, 19 સપ્ટેમ્બર : ગુજરાતનાં મુખ્યમંત્રી આનંદીબેન પટેલના હસ્તે આજે રાજ્ય સરકાર પ્રેરિત સાતમા ‘ગરીબ કલ્યાણ મેળા'ની ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. આ માટેનો એક કાર્યક્રમ જામનગર ખાતે યોજાયો હતો.
આ યોજનાનો ઉદ્દેશ્ય સરકારી યોજનાઓનો લાભ ગરીબો સુધી પહોંચાડવાનો છે. તે માટેના કાર્યક્રમના ઉદઘાટન પ્રસંગે આનંદીબેનની સાથે તેમના અનેક સાથી પ્રધાનો પણ હાજર રહ્યા હતા. તેમણે 10,559 લાભાર્થીઓને રૂપિયા 5.80 કરોડની રકમની સાધન-સામગ્રી અને લાભનું વિતરણ કર્યું હતું.
ગરીબ કલ્યાણ મેળાએ ગ્રામીણ ગરીબો અને ખાસ કરીને મહિલાઓ માટે આર્થિક સમૃધ્ધિના નવાં દ્વાર ખોલી આપ્યા છે તેમ આનંદીબેને જણાવ્યું હતું.
{image-19-inaugration-7-garib-kalyan-mela-jamnagar-gujarat.jpg gujarati.oneindia.in}
તેમણે કહ્યું કે રાજ્ય સરકાર ગરીબોને ઓશિયાળાપણાથી મુક્ત કરવા ગરીબ કલ્યાણ મેળાનો જનસેવા યજ્ઞ લઇને છેવાડાના માનવીના ઘર સુધી પહોચી છે. કલ્યાણ યોજનાઓના સથવારે સ્વમાનથી જીવનનિર્વાહનું સામર્થ્ય અદના આદમીને આપ્યું છે.
સાતમા તબકકામાં 127 ગરીબ કલ્યાણ મેળાઓમાં 10 લાખ વંચિતો-ગરીબોને રૂપિયા 1000 કરોડની સહાય આપવાની સરકારની નેમ છે. આ ગરીબ કલ્યાણ મેળા સાથે માતાઓ-બહેનોના સન્માન ગૌરવ માટે પણ રાજ્ય સરકારે મહિલા સશકિતકરણ ઝુંબેશ ઉપાડી છે.
સ્વરક્ષણની તાલીમ, સખીમંડળો દ્વારા ઉત્પાદિત હાથ બનાવટની રાખડીઓના રાખીમેળા દ્વારા કરોડો રૂપિયાની રાખડીઓના વેચાણ, મહિલા પશુપાલકોને મિલ્કીંગ મશીન ખરીદી સહાય, દૂધાળા પશુ ખરીદવા સરકાર કઈ રીતે સહાય કરે છે તેની સમજ મુખ્ય પ્રધાને આપી હતી.
રાખીમેળાની જ્વલંત સફળતાને પગલે હવેથી દર વર્ષે રાખીમેળા યોજવાની તેમજ આગામી નવરાત્રિ - દિવાળીના ઉત્સવોમાં હાથ બનાવટની ગૃહ સુશોભન ચીજવસ્તુઓના વેચાણ માટે રાજ્ય સરકાર દ્વારા સ્ટોલ્સ ઊભા કરવાની વ્યવસ્થા પૂરી પાડવાની પણ આનંદીબેને જાહેરાત કરી છે.