મુખ્યમંત્રી આનંદીબેન પટેલે કચ્છના અંજાર ખાતે ભારતના સૌથી મોટા સ્પીનીંગ એકમનું ઉદઘાટન કર્યું
અંજાર, 6 ડિસેમ્બર : આજે ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલે કચ્છના અંજાર ખાતે વેલસ્પન કંપની દ્વારા સ્થાપિત ભારતના સૌથી મોટા સ્પીનીંગ એકમનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય ટેક્સટાઈલ મંત્રી સંતોષકુમાર ગંગવાર પણ ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાતના આંગણે ભારતના સૌથી મોટા સ્પીનીંગ પ્લાન્ટની સ્થાપના બદલ કંપનીના સંચાલકોને અભિનંદન પાઠવતા મુખ્યમંત્રીએ કહ્યું હતું કે ભારતને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રનું વૈશ્વિક હબ બનાવવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈએ 'મેક ઈન ઈન્ડિયા'નું સૂત્ર આપ્યું છે તેને સાકાર કરવાની દિશામાં આ એક મોટું કદમ છે.
વેલસ્પન કંપનીએ 56 જેટલા વિકલાંગ વ્યક્તિઓને તાલીમ આપીને તેમને પોતાના પ્લાન્ટમાં રોજગારી આપી છે તેનો આનંદ મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યો હતો. વેલસ્પન ગ્રુપના કોઈ કર્મચારી કે કારીગરનું ઘર શૌચાલય વિનાનું ન રહે તે જોવાની વિનંતી મુખ્યમંત્રીએ કંપનીના એમ.ડી ગોએન્કાને કરી હતી.
વર્ષ 2001માં આવેલા વિનાશક ભૂંકપ બાદ કચ્છના લોકોએ ઘણી ઝડપથી વિકાસ સાધ્યો અને કચ્છની ભુમિને પુન: ચેતનવંતી બનાવી તે બદલ મુખ્યમંત્રીએ કચ્છના લોકોના ખમીરને બિરદાવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે ભારત યુવાનોની ૬૫ ટકા વસતી સાથે દુનિયાનો સૌથી યુવા દેશ છે ત્યારે આ યુવાઓને રોજગારી માટે વડાપ્રધાનશ્રીની 'સ્કીલ ઈન્ડિયા'ની સંકલ્પના અનુસાર યુવાનોને ઉદ્યોગજગતની જરૂરિયાતોને અનુરૂપ હુન્નર-કૌશલ્યની તાલીમ આપવા ઉપર રાજ્ય સરકારે ધ્યાન કેન્દ્રિત કર્યું છે.
મુખ્યમંત્રીએ ટેક્સટાઈલ ક્ષેત્રમાં વિપુલ રોજગારીની સંભાવના રહેલી છે, અને તેથી ગુજરાતમાં ટેક્સટાઈલ પાર્કના નિર્માણ માટે રાજ્ય સરકાર તમામ પ્રયાસો કરશે. મુખ્યમંત્રીએ મહિલાઓ દ્વારા કરવામાં આવતા ભરતગૂંથણ અને કોતરકામ વગેરે કાર્યોને નરેગા યોજનામાં શામેલ કરવાનું અને આ માટેની પોલીસી બને તેવું સૂચન પણ કર્યું હતું.
'ડિજીટલ ઈન્ડિયા' અભિયાનમાં રાજ્ય સરકારના પ્રયાસોની ભૂમિકા આપતા આનંદીબેન પટેલે જણાવ્યું હતું કે તાજેતરમાં જ ગુજરાતના આદિજાતિ વસતી ધરાવતા ખેડબ્રહ્મા તાલુકાને સંપૂર્ણ વાય-ફાય સુવિધાથી સજ્જ કરવામાં આવ્યો છે.
શિક્ષણ ક્ષેત્રે રાજ્ય સરકારના સફળ પ્રયાસોની રૂપરેખા આપતા મુખ્યમંત્રીએ કહ્યું હતું કે થોડા વર્ષો પહેલા કચ્છ જિલ્લો શિક્ષણના મામલે પાછળ હતો, મહિલાઓમાં શિક્ષણનું પ્રમાણ ઘણું ઓછું હતું, પરંતુ નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં શિક્ષણ ક્ષેત્રે થયેલા ગુણાત્મક પરિવર્તનને લીધે મહિલાઓમાં શિક્ષણ અને રોજગારીના પ્રમાણ નોંધપાત્ર વધારો થયો છે.
આ પ્રસંગે મુખ્યમંત્રીએ સ્વનિર્ભર બનેલી મહિલાઓની ગાથા વર્ણવતા પુસ્તક ‘She is life' નું વિમોચન પણ કર્યું હતું. નાણામંત્રી સૌરભભાઈ પટેલ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.