ગુજરાતના વિદ્યાર્થીનું કેરળમાં રોડ અકસ્માતમાં મોત
મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે "ગુજરાતના રમતવીરોને નડેલા માર્ગ અકસ્માતના સમાચાર વાંચીને ખૂબ આઘાત લાગ્યો છે. જેમાં એક યુવા રમતવીરે પોતાનો જીવ ગુમાવ્યો છે. તેના પરિવારને હું સાંત્વના પાઠવું છું અને મૃતકને શ્રદ્ધાંજલિ આપું છું. મેં આ કમનસીબ ઘટના અંગે કેરળના મુખ્યમંત્રી ઓમન ચાંડી સાથે વાત કરી છે. તેમણે આ કિસ્સામાં તત્કાળ અને ઝડપથી મદદ કરી તે માટે તેમનો આભાર વ્યક્ત કરું છું."
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સાઇકલિંગ ટીમ કેરળ ખાતે ગઇ હતી. કારથી ટક્કર વાગવાને કારણે થયેલા મોતની ઘટના રવિવારે રાત્રે બની હતી. ટીમના કોચ સહિત પાંચ લોકો નજીકમાં આવેલી એક હોટલમાં રાત્રિનું ભોજન લઇને લક્ષ્મીબાઇ રાષ્ટ્રીય શારીરિક શિક્ષણ સંસ્થા (LNCPE)ના પરિસરમાં આવેલા પોતાના રૂમમાં પાછા ફરી રહ્યા હતા. આ સંસ્થામાં શનિવારે સાયકલિંગ ચેમ્પિયનશિપ યોજાઇ હતી.
પોલીસે મૃતકની ઓળક ગુજરાતમાં આવેલા જામનગરના રહેવાસી તરીકે કરી છે. મૃતકનું નામ વિજય છે અને તેની વય 20 વર્ષની છે. તેની ટીમના અન્ય ઘાયલ સાથીઓમાં સોલંકી, ભૂમિકા, પ્રીહમ અને કોચ સૂરજનો સમાવેશ થાય છે. તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યા છે. તેમાં સોલંકીની સ્થિતિ વધારે ગંભીર જણાવવામાં આવી રહી છે. પોલીસનું કહેવું છે કે અકસ્માત બાદ કાર ચાલકે કાર રોકી ન હતી અને ભાગી ગયો હતો. તેની શોધ ચાલુ છે.