કોંગ્રેસમાં ઘમાસાણ, જામ ખંભાળિયામાં પૂનમ માડમનું રાજીનામુ
ગુજરાત રાજયની મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્ત્વમાં થઇ રહેલી વિકાસયાત્રાથી આકર્ષાઈ જામનગર જિલ્લાના ખંભાળીયાના પૂર્વ ધારાસભ્ય સ્વ. હેમતભાઈ માડમના પુત્રી પુનમબેન માડમ કોંગ્રેસ છોડી આજ રોજ ભાજપામાં જોડાયા હતા.
જામનગરના જામખંભાળિયાના મુખ્ય કોંગ્રેસી ઉમેદવાર પૂનમ માડમે આજે કોંગ્રેસ પક્ષમાંથી પોતાનું રાજીનામું આપી દીધું હતું. પૂનમ માડમે કોંગ્રેસમાંથી વિધિવત રાજીનામુ આપી પૂનમ ભાજપા સાથે જોડાયા છે. પૂનમે જણાવ્યું હતું કે 'છેલ્લા ચાર વર્ષથી મારો કોંગ્રેસ પક્ષમાંથી વિશ્વાસ ઉઠતો જઇ રહ્યો હતો તેમજ ગુજરાતના નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં મને ભરોશો બેસ્યો છે માટે હુ ભાજપ સાથે જોડાઇ છું.'
પુનમ માડમના પિતાએ ૬ ટર્મ ખંભાળીયાના ધારાસભ્ય તરીકે અને સતત ત્રણવાર જામનગરના મેયર તરીકે સેવા આપી હતી. પુનમબેન માડમના ભાજપાના પ્રવેશને પ્રદેશ અધ્યક્ષ આર.સી. ફળદુ સહિત આગેવાનોએ આવકારી છે.
શૈલેશ પરમારના વિરોધમાં ત્રણ કોંગ્રેસી નેતાઓના રાજીનામા
કોંગ્રેસે ગુજરાતની દાણીલીમડા બેઠક માટે શૈલેષ પરમારના નામની જાહેરાત કરી છે જેના વિરોધમાં કોગ્રેસના પ્રવક્તા જયંતિ પરમારે પોતાનો વિરોધ નોંધાવ્યો છે. જયંતિ પરમારે રાજીનામુ આપી દીધું છે. તેમની સાથે સાથે ઉપપ્રમુખ ગીરીશ પરમાર, શહેર મહામંત્રી ખેમચંદ સોલંકી પ્રદેશમંત્રી ગુણવંત મકવાણાએ પણ પોતાના રાજીનામાની જાહેરાત કરી છે.
કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીની અધ્યક્ષતામાં ગઇકાલે દિલ્હી ખાતે મળેલી કેન્દ્રીય ચૂંટણી સમિતીની બેઠક બાદ 52 ઉમેદવારોની પ્રથમ અને 46 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી હતી. જોકે 46 ઉમેદવારોની બીજી યાદી કોંગ્રેસે પરત ખેંચી લીધી હતી.