કોંગ્રેસ : નેતાઓ સુલભ, ‘સ્ટાર’ દુર્લભ

હકીકતમાં રાજકીય પક્ષોએ પોતાના સ્ટાર પ્રચારકોની યાદી ચુંટણી પંચને મોકલવાની હોય છે અને આ કામ સૌપ્રથમ ભાજપે કર્યું. એ વાત જુદી છે કે ભાજપ દ્વારા મોકલવાયેલી યાદીમાં બિહાર ભાજપનાં નેતાઓના નામોની બાદબાકી કરાતાં વિવાદ ઊભો થયો હતો, પરંતુ કહે છે ને કે નોટિસ તેને જ મળતી હોય છે કે જે કામ કરે છે. બીજી બાજુ કોંગ્રેસ ચુંટણીની જાહેરાતના સોળ દિવસ બાદ પણ અત્યાર સુધી પોતાના સ્ટાર પ્રચારકોની યાદી નક્કી કરી શકી નથી.
બે જ વિકલ્પો
સામાન્ય રીતે વર્ષોથી કોંગ્રેસનો ઇતિહાસ રહ્યો છે કે તે પૂર્ણત્વે ‘ગાંધી' ઉપર નિર્ભર રહેતી આવી છે. ક્યારેક ઇન્દિરા, તો ક્યારેક રાજીવ અને હવે સોનિયા, રાહુલ તથા પ્રિયંકા ગાંધી છે. એમ તો ભાજપની ચુંટણી પ્રચાર ઝુંબેશ પણ પૂર્ણત્વે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ઉપર કેન્દ્રિત છે, પરંતુ તેની પાસે નેતાઓની કમી નથી અને સ્ટાર પ્રચારકો પણ ઢગલાબંધ છે. તેથી તેણે તો પોતાના 39 સ્ટાર પ્રચારકોની યાદી મોકલી આપી, પરંતુ કદાચ કોંગ્રેસ પાસે બે જ વિકલ્પો છે. કોંગ્રેસની કેન્દ્રમાં સરકાર છે, ડઝનબંધ કેન્દ્રીય મંત્રીઓ, ડઝનબંધ મુખ્યમંત્રિઓ છે અને એમ જોવા જઇએ તો કોંગ્રેસમાં પણ નેતાઓની કોઈ કમી નથી. નેતાઓ સુલભ છે, પરંતુ કદાચ સ્ટાર પ્રચારકો દુર્લભ છે. આ બાબતમાં કોંગ્રેસ છેલ્લા ઘણા વર્ષોથી વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહ તેમજ કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી ઉપર જ આશ્રિત છે. કદાચ કોંગ્રેસ પાસે મનમોહન અને સોનિયા ઉપરાંત અને તેમનાથી મોટા કોઈ સ્ટાર પ્રચારક છે પણ નહિં, જે મોદી સામે ઊભા રહી શકે. સામાન્ય રીતે કેન્દ્રમાંથી પ્રચાર માટે આવતાં મંત્રીઓ અને અન્ય નેતાઓ સામાન્યતઃ મોદી મામલે ખોટા નિવેદનો કરી કે કાચું કાપી નાંખી રાજ્ય કોંગ્રેસની મુંઝવણો વધારી દેતાં હોય છે.
તૈયાર થઈ રહી છે યાદી - મનીષ દોશી
પ્રદેશ કાંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીને જ્યારે આ અંગે સવાલ કરવામાં આવ્યો, તે તેમણે જણાવ્યું કે કોંગ્રેસના સ્ટાર પ્રચારકોની યાદી તૈયાર કરાઈ રહી છે. તેમણે જણાવ્યું કે પાર્ટી ઉતાવળમાં નથી. હજુ ઘણો સમય છે. પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયા આજે દિલ્હીમાં છે. તેઓ પરત ફરતાં સ્ટાર પ્રચારકોની યાદીને અંતિમ રૂપ આપી દેવાશે.
બસપ આગળ, 40 નામો નક્કી
સ્ટાર પ્રચારક નક્કી કરવાની બાબતમાં ઉત્તર પ્રદેશનાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી માયાવતીનો પક્ષ બહુજન સમાજ પક્ષ એટલે કે બસપ કોંગ્રેસ કરતાં આગળ રહ્યો છે. ભાજપ બાદ ગુજરાતમાંથી સ્ટાર પ્રચારકોની યાદી મોકલાવનાર બસપ બીજો પક્ષ છે. એટલું જ નહિં પ્રચારકોની સંખ્યાની બાબતમાં પણ બસપ ભાજપ કરતાં આગળ રહ્યો છે. તેણે પોતાના 40 સ્ટાર પ્રચારકો નક્કી કર્યાં છે. તેમાં મુખ્યત્વે માયાવતી, ઉત્તર પ્રદેશ વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા સ્વામીપ્રસાદ મૌર્ય, મુખ્ય દંડક રામવીર ઉપાધ્યાય અને ધારાસભ્ય મોહમ્મદ અતહર ખાનનો સમાવેશ થાય છે.












Click it and Unblock the Notifications
