આંદોલન પાછુ ખેંચવા BJPએ કરી હતી 1200 કરોડની ઓફર:હાર્દિક
બુધવારે પત્રકાર પરિષદમાં કોંગ્રેસની અનામતની ફોર્મ્યૂલાની જાહેરાત સાથે હાર્દિકનો મોટો ખુલાસોભાજપે અનામત આંદોલન રોકવા મને 1200 કરોડની ઓફર કરી હતી: હાર્દિક પટેલઆ અંગે વધુ વાંચો અહીં...
પાટીદાર અનામત આંદોલન ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં ખૂબ મોટો મુદ્દો બન્યું છે અને આ આંદોલનનો મુખ્ય ચહેરો હાર્દિક પટેલ રાજ્યમાં કોંગ્રેસને સમર્થન આપે છે કે કેમ, એ પ્રશ્ન છેલ્લા કેટલાયે સમયથી લોકોના મનમાં રમતો હતો. પાટીદાર અનામનત આંદોલન સમિતિ અને કોંગ્રેસ વચ્ચે અનામત મામલે છેલ્લા કેટલાક સમયમાં અનેક મુલાકાતો અને બેઠકો થઇ ચૂકી છે અને કેટલાક વિવાદો પણ થયા. આમ છતાં, બંને વચ્ચે અનામત મામલે શું સમજૂતી સધાઇ એ સ્પષ્ટ નહોતું થયું. આખરે બુધવારે સવારે હાર્દિક પટેલ પત્રકાર પરિષદ કરી આ અંગે સ્પષ્ટતા કરી હતી. આ સાથે જ તેમણે એક મોટો ખુલાસો પણ કર્યો હતો અને ભાજપ પર આરોપ મુક્યો હતો. તેમણે કહ્યું હતું કે, પાટીદાર અનામત આંદોલન પાછું ખેંચવા માટે ભાજપે તેમને 1200 કરોડની ઓફર આપી હતી.
ભાજપની ઓફર
આ અંગે હાર્દિક પટેલે આગળ કહ્યું હતું કે, ભાજપે સચિવ કૈલાશનાથન દ્વારા આ વાત કહેવડાવી હતી. એ સમયે હાર્દિક પટેલ સુરત જેલમાં બંધ હતા. તેમણે કહ્યું કે, મને ભાજપની નિયત પર પહેલેથી જ શંકા હતા અને આ પ્રકારની ઓફર આવ્યા બાદ મારી શંકા વિશ્વાસમાં ફેરવાઇ ગઇ. આજે આથી જ ભાજપને હરાવવા માટે હું કોંગ્રેસ સાથે ઊભો છું. હાર્દિક પટેલે અહીં દાવો કર્યો હતો કે, અનામતની માંગણી કોંગ્રેસે સ્વીકારી છે, બંધારણીય રીતે અનામત આપવાની ખાતરી આપી છે. દેશના અનેક રાજ્યોમાં 50 ટકાથી વધુ અનામત છે અને કોંગ્રેસે એ જ આધાર પર અનામત આપવાની વાત કહી છે. આથી અમને કોંગ્રેસની ફોર્મ્યૂલા મંજૂર છે. તેઓ સત્તામાં આવતા જ પાટીદાર અનામત માટે વિધાનસભામાં બિલ લાવશે અને મેનિફેસ્ટોમાં પણ આ મુદ્દાને સ્થાન આપશે.
નીતિન પટેલનો પડકાર
ઉલ્લેખનીય છે કે, હાર્દિક પટેલની પત્રકાર પરિષદ બાદ લગભગ તુરંત જ ભાજપના પાટીદાર નેતા અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પત્રકારોનું સંબોધન કર્યું હતું. હાર્દિક અને કોંગ્રેસ પર અનેક પ્રહારો કરતાં તેમણે એમ પણ જણાવ્યું હતું કે, હાર્દિક અને તેના સાથીદારો જ્યારે જેલમાં બંધ હતા, ત્યારે અમને કેટલીય વાર મદદ માટે વિનંતી કરી હતી અને અમે તેમની મદદ કરી હતી. તેમની જામીન માટે પ્રયત્નો કર્યા હતા. હાર્દિક નાદાન છે, યુવાન છે અને સમાજની એક્તા માટે અમે એનું સાંભળી લઇએ છીએ. પરંતુ એના જેટલા અપરિપક્વ નથી, એટલે બધું જાહેર નહીં કરીએ. વળી, કોંગ્રેસની બંધારણીય રીતે અનામત આપવાની ફોર્મ્યૂલા પણ નીતિન પટેલે નકારતા કહ્યું હતું કે, આ શક્ય જ નથી. હવે પાટીદાર અનામત મામલે પાસ, કોંગ્રેસ અને ભાજપના આ ઘમાસાણમાં આગળ કયો વળાંક આવે છે એ જોવું રહ્યું.