કોંગ્રેસ 1લી યાદીમાં 5 બેઠક પર કરી શકે છે પરિવર્તન
5 બેઠક પર કોંગ્રેસ બદલી શકે છે ઉમેદવારના નામોપાસ સાથેના વિવાદ અને ઉગ્ર વિરોધને કારણે લીધો નિર્ણયઆ અંગે વધુ વાંચો અહીં...
રવિવારે રાત્રે કોંગ્રેસે વિધાનસભા ચૂંટણી માટે 77 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરતા જ જાણે વિરોધ વાવંટોળ ઊભો થયો છે. સૌ પ્રથમ તો પાસ તફથી કોંગ્રેસને વિરોધ સહન કરવાનો વારો આવ્યો છે અને ત્યાર બાદ વિવિધ વિસ્તારોમાં સ્થાનિક કાર્યકર્તાઓ અને નેતાઓએ બહોળા પ્રમાણમાં વિરોધ નોંધાવ્યો છે. જેને કારણે કોંગ્રેસે આ પ્રથમ યાદીમાં 5 બેઠકો પર નામ બદલાવો નિર્ણય લીધો હોવાનું કહેવાઇ રહ્યું છે. પાસ અને કોંગ્રેસ વચ્ચે વિવાદના કારણે આ પરિવર્તનનો નિર્ણય લેવામાં આવ્યો છે. બોટાદ, જૂનાગઢ, ધોરાજી, રાજકોટ ગ્રામ્ય અને વરાછા રોડ પરના ઉમેદવારોના નામમાં કોંગ્રેસ પરિવર્તન કરે એવી શક્યતા છે.
ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ તરફથી જૂનાગઢ બેઠક પર પાસ કન્વીનર અમિત ઠુમ્મર અને ધોરાજી પરથી પાસ કન્વીનર લલિત વસોયાને ટિકિટ આપવામાં આવી છે. વરાછા રોડની બેઠક પર પાસના સભ્યને ટિકિટ ન મળવાને કારણે જ રવિવારે રાત્રે પાસ દ્વારા સુરતમાં કોંગ્રેસ કાર્યાલયમાં તોડફોડ કરવામાં આવી હતી. આથી હવે સવાલ એ ઉઠે છે કે, કોંગ્રેસ પાસના કન્વીનરોને ટિકિટ ન ફાળવવા માટે આ પરિવર્તન કરી રહી છે કે આપેલ ટિકિટ પાછી ખેંચવા માટે? કોંગ્રેસ રાજકોટ ગ્રામ્યની બેઠક પર પરિવર્તન કરનાર છે, આ બેઠક પરથી કોંગ્રેસના બે ઉમેદવારોએ ફોર્મ ભર્યા હોવાના સમાચાર છે. કોંગ્રેસ તરફથી વસરામ સાગઠિયાનું નામ જાહેર કરવામાં આવ્યું હતું, આમ છતાં આ બેઠક પરથી સુરેશ બાથવારે પણ ઉમેદવારી નોંધાવી હતી. આ બેમાંથી એક પણ ઉમેદવાર પાસે મેન્ટેડ નહોતી.
વિરોધ અને રાજીનામાંની વણઝાર
બીજી બાજુ, વિવિધ વિસ્તારોમાંથી સ્થાનિક કાર્યકર્તાઓ, કોંગ્રેસના હોદ્દેદારો અને નેતાઓ પણ ઉગ્ર વિરોધ નોંધાવી રહ્યાં છે. સુરતમાં એક પણ મહિલા ઉમેદવારને ટિકિટ ન અપાતા સુરત મહિલા પ્રમુખે પોતાના પદથી રાજીનામું આપી દીધું હતું અને ત્યાર બાદ તેમની પાછળ 200થી વધુ મહિલા કાર્યકર્તાઓએ પણ રાજીનામું આપ્યા હોવાના સમાચાર છે. તો વલસાડમાંથી ઇશ્વરભાઇ પટેલને ટિકિટ મળતાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશનભાઇ સહિત 27 લોકોએ પક્ષમાંથી રાજીનામું આપી દીધું હતું.