સુરતમાં PM:આ 22 વર્ષમાં અમે ભલભલાને મંદિર જતા કરી દીધા
સુરત ખાતે પીએમ મોદીનું સંબોધન
સોમવારથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યમાં ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે. પ્રચારના પહેલા દિવસે સવારે તેમણે ભૂજમાં સભા ગજવી હતી. ત્યાંથી જસદણ, ધારી થઇને સાંજે તેઓ સુરતના કડોદરા ખાતે પહોંચ્યા હતા. પોતાની સભાઓમાં પીએમ મોદીઓ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. જીએસટી, નોટબંધીથી માંડીને કોંગ્રેસે ઉઠાવેલ દરેક પ્રશ્નનો તેમણે જવાબ આપ્યો હતો. સુરતમાં સભા સંબોધવા માટે જ્યારે પીએમને આમંત્રિત કરવામાં આવ્યા ત્યારે લોકોએ 'મોદી-મોદી'ના નારા સાથે તેમનું સ્વાગત કર્યું હતું.

3 મહિનાથી કોંગ્રેસ આટલી મહેનત કેમ કરે છે?
પીએમ મોદીએ સુરતી લહેકા સાથે સંબોધનની શરૂઆત કરતાં કહ્યું હતું કે, 'હુરત જોરદાર લાગે છે આજે! કચ્છના અબડાસામાં માં આશાપુરાના દર્શન કરીને મેં આજે વિધિવત રીતે ચૂંટણી નિમિત્તે આપ સૌના આશીર્વાદ પ્રાપ્ત કરવાનો કાર્યક્રમ પ્રારંભ કર્યો. કચ્છ, રાજકોટ, અમરેલી અને હવે સુરત. જ્યાં ગયો ત્યાં મેં જે વંટોળ જોયો એના પરથી મને સમજાઇ ગયું કે છેલ્લા ત્રણ મહિનાથી કોંગ્રેસે આ કદમતાલ કેમ શરૂ કર્યા હતા! એ પરાજયથી એટલા ભયભીત થયા છે કે, એમને કોઇ રસ્તો નથી સૂઝતો. ભાજપના વિકાસના વંટોળને અને ગુજરાતના જન મિજાજને કેમ પહોંચી વળવું એનો રસ્તો એમને નથી સૂઝતો. કોંગ્રેસને સમજાવું જોઇએ કે, તમે જ્યાં સુધી પ્રાયશ્ચિત નહીં કરો, જ્યાં સુધી ગુજરાત વિરોધી માનસિકતા બદલશો નહીં, ત્યાં સુધી ગુજરાત તમને ક્યારેય સ્વીકારવાનું નથી. 25 વર્ષ પહેલાં કોંગ્રેસે કાળા કામ કર્યા અને સમાજને છિન્ન-ભિન્ન કરી નાંખ્યો, કોમી હુલ્લડોની હારમાળા સર્જી, ખુદ સરકારના મંત્રી સુરતમાં બોમ્બ ધડાકા અને હેરાફેરીમાં જેલ ભોગવતા ગયા, ભાઇ-ભાઇ વચ્ચે લડાઇ કરાવી, જાતિવાદને ઝેર ફેલાવ્યું, પરંતુ કોંગ્રેસને ખબર નથી કે, 25 વર્ષ પહેલાં એમણે જે અખતરા કર્યા હતા એનો એમણે તો લાભ લઇ લીધો. પરંતુ ગુજરાત એમાંથી આજે પણ પૂરે-પૂરું બહાર નથી આવ્યું. આજે 25 વર્ષ પછી તમે ફરી પાછા એ જ યુક્તિ વડે ગુજરાતને પોતાનું કરવા માંગે છે!'
દેશ-ગુજરાતની હવાથી અજાણ કોંગ્રેસ
'કોઇને ગરીબી વારસામાં આપવાની ઇચ્છા નથી હોતી. ગરીબ પણ પોતાના સંતાનો માટે કષ્ટ વેઠીને દિવસ-રાત જહેમત કરતો હોય છે. 30 વર્ષ પહેલાં કોંગ્રેસના જમાનામાં ગામડાનો વ્યક્તિ આવેદન આપે કે, આ વખતે દુષ્કાળ આવે તો અમારા ગામમાં માટી પથરાય, એનું માટીકામ મળે એવું કરજો. આજે ગામડાનો માનવી પાકા રોડની સિંગલ પટ્ટીને ડબલ પટ્ટી કરાવવાનો આવેદન પત્ર આપે છે. કોંગ્રેસને આ વાત ખબર નથી! એમને એમ જ લાગે છે કે, એમના બાપદાદાઓ જે રીતે લોકોને ઉઠા ભણાવી ગયા, એ જ રીતે નવી પેઠી પણ ઉઠા ભણાવી જશે તો ચાલશે! કોંગ્રેસને ખબર જ નથી કે દેશ આજે ક્યાં છે, ક્યાં જવા માંગે છે અને લોકોની ઇચ્છા-અપેક્ષા નથી.'
'કોંગ્રેસના નામે એક પરિવારના ચહેરા યાદ આવે'
'આઝાદીના આટલા વર્ષો પછી પણ દેશમાં 18 હજાર ગામ એવા હોય કે જેને વીજળી કોને કહેવાય એ ખબર ન હોય, 21મી સદીમાં પણ આ ગ્રામજનો 18મી સદીમાં જીવવા મજબૂર હોય તો એના માટે જવાબદાર કોણ? આવી કોંગ્રેસને માફ કરાય? સજા કરવી જોઇએ કે ના કરવી જોઇએ? આ દરિયો નરેન્દ્ર મોદી આવ્યા પછી આવ્યો? ત્યારે એમને ઘોઘ-દહેજ રો-રો ફેરી શરૂ કરતા કોણે રોક્યા હતા? એમનું ધ્યાન જ ન ગયું આ તરફ! એ રો-રો ફેરી સર્વિસ ભાજપે શરૂ કરી, એ આગળ કચ્છ સુધી લાંબી કરીશું અને આ બાજુ મુંબઇ સુધી. કોંગ્રેસ અંગે વિચારો તો તમને એક પરિવારના ચહેરા યાદ આવશે, કે પછી બોફોર્સ, 2જી કાંડ, કોયલા કાંડ યાદ આવશે.'
'કોંગ્રેસના નેતાઓ મારી મજાક ઉડાવતા હતા'
'મેં મુખ્યમંત્રી બન્યા બાદ જ્યારે વિધાનસભામાં 24 કલાક વીજળી પહોંચાડવાની વાત કરી ત્યારે મારી મજાક ઉડાવી હતી. કોંગ્રેસના અમરસિંહભાઇ ચૌધરીએ ભાષણ કર્યું હતું કે, નરેન્દ્ર મોદી બિનઅનુભવી છે, આ મુખ્યમંત્રી નિષ્ફળ જવાના છે. મને વ્યક્તિગત મળ્યા ત્યારે પણ કહ્યું હતું કે, કોઇએ તમને અવળા માર્ગે ચડાવ્યા છે. 24 કલાક વીજળી શક્ય નથી. તમે નવા છો, ફસાઇ જશો. ત્યારે મેેં કહ્યું હતું કે, કામ કઠણ છે, પરંતુ ગુજરાતની જનતાએ કઠણ કામ કરવા માટે જ મને અહીં બેસાડ્યો છે. 3 વર્ષની અંદર તનતોડ મહેનત કરીને મેં એ કરી બતાવ્યું. સૌરાષ્ટ્રમાં પાઇપથી નર્મદાનું પાણી પહોંચાડવાનું કહ્યું ,ત્યારે પણ મારી મજાક ઉડાવી હતી. કહેતા હતા કે, આ પાઇપમાંથી પાણી નહીં, હવા જશે.'
આરોગ્ય સેવાઓ સસ્તી કરી
'આરોગ્ય સેવાઓ સસ્તી કરવા માટે મેં મેડિકલ ક્ષેત્રના લોકોને પાસે બોલાવ્યા હતા. ડોક્ટરોની ફી, નફો, કમિશન વગેરે અંગે વિગતવાર માહિતી માંગી. એમને એમ કે, સરકાર સાથે મળીને વચ્ચેનો કોઇ રસ્તો કાઢીશું. પરંતુ એમને ખબર નહોતી કે અહીં એક જ માર્ગ છે, પ્રમાણિકતાનો. આજે એક-બે લાખમાં વેચાતા સ્ટેન્ડ 30-35 હજારમાં તબીબો લગાવી દે છે. જે લોકો આટલી બધી મલાઇ ખાતા હતા, એમના બે લાખના 35 હજાર થઇ ગયા, એમને અને એમના સમર્થકોને મોદી ગમે? ગામડે-ગામડે જઇને એમણે 'મોદી હટાવો' કેહવું જ પડે.'
નોટબંધી
'8 નવેમ્બર પછી અમુક નેતાઓ જાણે સૂતા જ નથી. લોકો ઉત્સાહભેર બેકમાં પૈસા જમા કરાવતા ગયા અને મેં પણ તારીખો આગળ વધારી. દવા, રેલવેની ટિકિટ, પેટ્રોલ વગેરે જૂના પૈસે લેવાની છૂટ આપી. સંગ્રહાઇને પડેલું બધું પડેલું બહાર નીકળે એ માટે આમ કર્યું હતું. પછી એમને ખબર પડી કે, મોદીએ દવા કાઢી. 3 લાખ કંપનીઓ, જેમના વેપાર અને પૈસા વચ્ચે મેળ નથી બેઠો, એમને નોટિસ મળી છે. ટેબલ ના મુકાય એટલી જગ્યામાં 400 કંપનીઓ રજિસ્ટર થઇ હોય અને 800 બેંકોમાં જેના ખાતા હોય, એવી 2 લાખ કંપનીઓ બંધ કરાવી છે. નોટબંધી ન કરી હોત તો આ બધો કારોભાર ક્યારેય બહાર આવ્યો હોત? હવાલા ક્યાંથી ક્યાં થતા હતા, એ બધું પણ પકડાયું. એ કારણે જ પાકિસ્તાનથી પૈસા કોણ લાવતું હતું, આતંકીઓને, પથ્થરબાજોને કોણ પૈસા આપતું હતું, એ આખી જાળ પકડાઇ ગઇ અને એ સૌ આજે દિલ્હીની જેલમાં સડે છે. કોંગ્રેસને કરવું કશું નહીં અને હવે કરવા દેવું કશું નહીં. પણ એ લોકો ભૂલે છે એમને કોની જોડે પનારો પડ્યો છે!'
'કોંગ્રેસે ગરીબોનો વિચાર કર્યો નથી'
'હું સરદાર પટેલની ધરતીનું ધાવણ ધાઇને મોટો થયું છે. એટલે દેશની વિકાસ યાત્રાના સઘળા માર્ગ પણ તેજ ગતિથી ચાલવાનો મેં નિર્ણય કર્યો છે. એક જમાનો હતો કે, કાયદાઓ મોટો લોકોને લાભ આપવા માટે હતા. મોટા મોલ રાત્રે 12 વાગ્યા સુધી ચાલે તો પણ વાંધો નહીં, પરંતુ પાનની દુકાન બંધ કરાવી દેવાની. દિલ્હીમાં સરકાર આવતા જ આ બધા નિયમો બદલાયા. મોલ ચાલી શકે તો સામાન્ય માનવીની દુકાન પણ મોડી રાત સુધી અને ઇચ્છા હોય તો 365 દિવસ ચાલી શકે. કોંગ્રેસે અમુક લોકોના લાભાર્થે કાયદા બનાવ્યા હતા, સામાન્ય લોકોનું ન વિચાર્યું. નાનાને ભણતર, યુવાને કમાણી અને વૃદ્ધોને દવામાં વાંધો ન આવે એ દિશામાં અમે દેશને આગળ વધારવા માંગીએ છે.'
મોરારજીને ઇન્દિરા ગાંધીએ કર્યો હતો અન્યાય
'મોરારજીભાઇ દેસાઇ દેશના નાણાં મંત્રી હતા અને સુરતના હતા. ઇન્દિરાબહેને રાતોરાત એમને કાઢી મુક્યા હતા. મોરારજીએ કહ્યું હતું કે, આ હિટલરશાહી છે. એ પછી રાતોરાત બેંકોનું રાષ્ટ્રીયકરણ કરી નાંખ્યું. મોરારજીભાઇને બલિ ચડાવવા માટે આમ કર્યું હતું. ગરીબો બેંકો સુધી આવે એવા લેબલ હેઠળ આમ કર્યું હતું, પરંતુ ગરીબો માટે બેંકોના દરવાજા બંધા હતા. આ માટે ખરો નિર્ણય વડાપ્રધાન બન્યા પછી અમે લીધો. ગરીબોને વગર પૈસે ખાતુ ખોલાવવાની સગવડ આપી. વડાપ્રધાન બન્યા પછી મેં ગરીબોને જોયા, અમીરોની ગરીબી પણ નજીકથી જોઇ. આજે જનધન યોજના હેઠળ ગરીબોના ખાતામાં 67 હજાર કરોડ છે. આજે ગરીબના હાથમાં રૂપે કાર્ડ છે.'
'ભલભલાને મંદિર જતા કરી દીધા'
'કોંગ્રેસને સતત ભય હતો કે જો સરદાર વડાપ્રધાન હતા તો? સરદાર સાથે કેવો વ્યવહાર થયો છે એ માટે એમના દિકરી મણિબાઇની ડાયરી જુઓ તો પણ સમજાઇ જશે. માત્ર સરદાર નહીં, ગુજરાત માટે એમના મનમાં નફરત છે. મોરારજી દેસાઇને જેમણે અનેક કાવાદાવા કરી માત્રી અઢી વર્ષમાં પીએમની ખુરશી પરથી ખસેડ્યા, એમને નરેન્દ્ર મોદી કઇ રીતે પચે? કોંગ્રેસ મને પૂછે છે, તમે 22 વર્ષમાં શું કર્યું? અમે ભલભલાને મંદિરે જતા કરી દીધા. મારા વડાપ્રધાન બન્યા પછી અનેક ચૂંટણીઓ આવી, દરેક ચૂંટણીમાં કોંગ્રેસ કોઇને ખોળામાં લઇને બેસી જાય છે. ઉત્તરપ્રદેશમાં તો એવી હવા ઊભી કરી હતી જાણે ભાજપને 25 બેઠકો મળે તો પણ બહુ! એમાં તો ગુજરાતના ગધેડાની ચર્ચા કરી નાંખી અને હવે ચૂંટણી માટે જેમને ગધેડા કીધા હતા એમના પગ પકડવા મજબૂર થયા છે. આ કામ અમે કર્યું. કોંગ્રેસે આ ગુજરાતની ચૂંટણીમાં જૂઠ્ઠાણાંનો એટલો કાદવ ઉછાળ્યો છે કે, એમાં કમળ ખીલવવું મારે માટે સરળ બની ગયું છે. હવે તો 100 ટકા ભાજપ પોતાનો 150+નો લક્ષ્યાંક પાર કરશે.'












Click it and Unblock the Notifications
