ગુજરાત સરકારે ગરીબોને ઘેર બેઠા અનાજ આપવા 75 કરોડની જોગવાઇ કરી
ગુજરાત સરકાર દ્વારા આ કાર્યો માટે રૂપિયા ૫૦૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. આ ઉપરાંત આર્થિક રીતે નબળા વર્ગના પરિવારો માટે રાહત દરે તેલનું વિતરણ કરવા માટે પણ સરકાર દ્વારા વિશેષ જોગવાઇ આ વખતના અંદાજપત્રમાં કરી છે.
રાજયના નાણાં મંત્રી નીતિનભાઇ પટેલે આ સંદર્ભે જણાવ્યું હતું કે "ગરીબ અને અંત્યોદય કુટુંબોને જાહેર વિતરણ વ્યવસ્થા દ્વારા ખાદ્યાન્ન પુરું કરવા માટે રૂપિયા 194 કરોડની જોગવાઇ કરવામાં આવી છે."
આ ઉપરાંત ડોર સ્ટેપ ડીલીવરી દ્વારા ખાદ્યાન્નનો પૂરેપૂરો જથ્થો લાભાર્થી સુધી પહોંચે તેવી વ્યવસ્થા ગોઠવવા માટે રૂપિયા 75 કરોડની જોગવાઇ કરવામાં આવશે. તેમજ અનાજ વગેરેનો સંગ્રહ કરવા માટેની વ્યવસ્થા વધારવા માટે રૂપિયા 23 કરોડની ફાળવણી કરાઇ છે.
આ ઉપરાંત દિવાળી તેમજ શ્રાવણ મહિના સહિતના તહેવારોમાં બીપીએલ તેમજ એ.એ.વાયના ગરીબ કુંટુંબોને ચાર માસ માટે રાહત દરે ખાદ્ય તેલના વિતરણ માટે રૂપિયા 31 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.