રાજ્યના વીજ કર્મીઓને સરકારની ભેટઃ સાતમા પગારપંચનો લાભ એરીયર્સ સાથે આપ્યો
રાજ્ય સરકારે ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ હેઠળની તમામ વીજ કંપનીઓના ૪૮,૦૦૦થી વધુ અધિકારી- કર્મચારીઓને સાતમા પગાર પંચનો લાભ આપ્યો છે.
રાજ્ય સરકારે ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ હેઠળની તમામ વીજ કંપનીઓના ૪૮,૦૦૦થી વધુ અધિકારી- કર્મચારીઓને સાતમા પગાર પંચનો લાભ આપ્યો છે. જેમાં સાતમાં પગાર પંચના બાકી ૧૯ માસના એરીયર્સની રકમ ત્રણ હપ્તામાં ચૂકવવાનો રાજ્ય સરકાર ધ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. જેના કારણે વિવિધ વીજ કંપનીઓને રૂ.૫૨૧ કરોડનું વધારાનું ભારણ આવશે. વીજ કર્મચારીઓને સાતમા પગાર પંચનો લાભ મળતાં તેમની લાંબા સમયની માગણી ઉકેલાઇ છે.
વીજ કર્મીઓને સાતમું પગારપંચ આપનાર ગુજરાત પ્રથમ રાજ્ય
રાજ્યના ઉર્જા પ્રધાન સૌરભ પટેલે વીજ કર્મચારીઓને સાતમા પગાર પંચના લાભ અંગે જણાવ્યું છે કે, રાજ્યના કર્મચારીઓના હિત માટે રાજ્ય સરકારે અનેકવિધ નિર્ણયો કર્યા છે. જેમાં સાતમા પગાર પંચના લાભો આપનાર ગુજરાત પ્રથમ રાજ્ય છે. ત્યારે ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડની વીજ કંપનીઓના અધિકારી-કર્મચારીઓને પણ સાતમા પગાર પંચ અંતર્ગત પગાર તફાવતની રકમની ચૂકવણી રાજ્ય સરકાર દ્વારા કરવાનો કર્મચારી હિતલક્ષી નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે. સરકારની તિજોરી પર આ કારણે 521 કરોડનો બોજ વધશે.
48 હજાર કર્મચારીઓને મળ્યો લાભ
રાજ્ય સરકારે ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડના કર્મચારીઓને પહેલી ઓગસ્ટ 2017થી નવા પગાર ધોરણ મુજબ પગાર ચૂકવેલ છે. ત્યારે, હવે પહેલી જાન્યુઆરી 2016 થી 31 જુલાઇ 2017 એટલે કે કુલ ૧૯ માસના પગારના એરીયર્સની રકમની પણ ચુકવણી કરવામાં આવશે. રાજ્ય સરકારની આ જાહેરાતથી ૪૮,૦૦૦થી વધુ વીજ કર્મચારી અધિકારીઓને લાભ મળશે. જેના કારણે વિવિધ વીજ કંપનીઓને રૂપિયા ૫૨૧ કરોડનું વધારાનું ભારણ આવશે. રાજ્ય સરકારના આ નિર્ણયથી વીજ ભાવમાં વધારો ઝીંકાવાની પણ શક્યતા છે.
19 મહિનાના એરીયર્સની ચુકવણી
ગુજરાત રાજ્ય સરકાર દ્વારા અગાઉ સરકારી અધિકારી અને કર્મચારીઓને એરીયર્સની ચૂકવણી કરાઈ હતી. તે મુજબ જ જુલાઈ માસથી એકાંતરે ત્રણ હપ્તામાં આ એરીયર્સની રકમ ચૂકવાશે. તે પ્રમાણે પ્રથમ હપ્તો જુલાઈ-૨૦૧૮, બીજો હપ્તો સપ્ટેમ્બર-૨૦૧૮ અને ત્રીજો હપ્તો નવેમ્બર-૨૦૧૮માં એમ ત્રણ સરખા હપ્તામાં એરીયર્સની રકમ ચૂકવાશે. ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિ.ની સલગ્ન કંપનીઓ પગાર ભથ્થાની ચૂકવણી તેમના સ્વભંડોળમાંથી કરે છે. જો કે રાજ્ય સરકાર ધ્વારા હજુ સુધી ગ્રાન્ટેડ શાળાઓના શિક્ષકોને બાકી ૧૯ મહિનાનું એરીયર્સ ચૂકવાયું નથી. એ જ રીતે વિવિધ બોર્ડ-નિગમના કર્મચારીઓને પણ સાતમાં પગાર પંચનો લાભ નહિ મળવા સાથે એરીયર્સની ચુકવણી પણ હજુ બાકી છે.
ઘણા બોર્ડ નિગમમાં અમલીકરણ બાકી
દેશમાં અને રાજ્યમાં સાતમા પગાર પંચનો અમલ થયા બાદ હજું ઘણા નિગમ અને બોર્ડના કર્મચારીઓને આ પગારપંચનો લાભ મળ્યો નથી. તેમજ ઘણા વિભાગોની માંગણીઓ હજુ અદ્ધરતાલ જોવા મળી રહી છે. ત્યારે, આગામી દિવસોમાં તેનો અમલ થાય અને બાકી રહેલા કર્મચારીઓને પણ સાતમા પગારપંચનો લાભ આપવા રાજ્ય સરકાર કાર્યવાહી કરી શકે છે.