ચૂંટણી પહેલા સરકારને યાદ આવ્યા પાટીદારો, 26મીએ બેઠક
ગુજરાત સરકાર દ્વારા ફરી એક વાર પાટીદારોના પ્રશ્નોને ઉકેલ લાવવા માટે પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. ચૂંટણી પહેલા સરકાર ફરી એક વાર પાટીદારો જોડે 26મી સપ્ટેમ્બરના રોજ બેઠક યોજશે. જાણો આ અંગે વધુ અહીં.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા રાજ્ય સરકાર એક પછી એક તેના તમામ પ્રશ્નોનું ઝડપી નિરાકરણ લાવવાના મૂડમાં દેખાઇ રહી છે. આંગણવાડીની બહેનો, દારૂબંધી આ તમામ પછી પ્રશ્નો પર પોતાનું કામ બતાવ્યા પછી હવે રાજ્ય સરકારને પાટીદારો પણ યાદ આવ્યા છે. ગુજરાત સરકાર તેની તરફથી હાલ તે દેખાડવાનો પૂરતો પ્રયાસ કરી રહી છે કે તે તમામ પ્રશ્નોને ગંભીરતાથી લઇને તેનો ઉકેલ શોધવા તત્પર છે. આજ કારણે તેને પાટીદાર આગેવાનોને પણ હાકલ કરી છે તે સરકાર સાથે ચર્ચા કરે અને તેમના પ્રશ્નોનું નિરાકરણ લાવે. ત્યારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે 26મી સપ્ટેમ્બરના રોજ એક બેઠક યોજી છે. નીતિન ભાઇએ આ અંગે વધુમાં જણાવ્યું કે સરકારે પાટીદારોના 100 જેટલા અગ્રણીઓ વચ્ચે બેઠક યોજી તેમના પ્રશ્નો અંગે ચર્ચા કરવાનો નિર્ણય લીધો છે.

એટલું જ નહીં આ માટે નીતિન પટેલ અગ્રણીઓને આમંત્રિત પત્ર પણ લખશે. અને આ બેઠકમાં એસપીજીના આગેવાનો પણ હાજર રહેશે. સાથે જ ઊંઝા ઉમિયામાતા સંસ્થાન, કાગવડ ખોડલધામ જેવા પાટીદાર ટ્રસ્ટના આગેવાનો પણ હાજર રહેશે. નોંધનીય છે કે હાર્દિક પટેલે ખોડલધામના ટ્રસ્ટીઓને સરકાર સાથે વાટઘાટો કરવા અને તેમની માંગણી પર ચર્ચા કરવાની માંગ કરી હતી. જેના બાદ સરકાર દ્વારા આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. જો કે આ પહેલા પણ પાટીદારો અને સરકાર વચ્ચે અનેક બેઠકો થઇ ચૂકી છે જેના પરિણામો શૂન્ય જ આવ્યા છે. ત્યારે ચૂંટણી પહેલા થનારી આ બેઠકનું શું પરિણામ આવે છે તે હવે જોવાનું રહ્યું.












Click it and Unblock the Notifications
