ગુજરાત હાઇકોર્ટે બાબુ બોખિરિયાની સજા પર મનાઇ ફરમાવી
અમદાવાદ, 8 સપ્ટેમ્બર : ગુજરાતમાં રૂપિયા 54 કરોડની ખનીજ ચોરી પ્રકરણમાં રાજ્યના કેબીનેટ મંત્રી બાબુભાઇ બોખીરિયાને મોટી રાહત મળી છે. આજે ગુજરાત હાઇકોર્ટે તેમને સજા કરવા સામે મનાઇ ફરમાવી છે.
નોંધનીય છે કે પોરબંદરની સેશન્સ કોર્ટે રૂપિયા 54 કરોડની ખનીજ ચોરી પ્રકરણમાં કેબીનેટ મંત્રી બાબુભાઇને 3 વર્ષની સજા અને રૂપિયા પાંચ હજારનો દંડ પટકાર્યો હતો. આ સજાના સંદર્ભમાં તેમણે અરજી કર્યા બાદ કોર્ટે સ્ટે આપ્યો હતો.
આ સજા ઉપરનો સ્ટે દૂર કરવાની અરજીની સુનાવણી હાઇકોર્ટમાં ચાલી હતી જેમાં આજે ગુજરાત હાઇકોર્ટે આ અરજી ફગાવી દીધી છે. આ પ્રકરણમાં ત્રીજા પક્ષના વકીલ બાબુભાઇ માંગુકિયાએ જણાવ્યું હતું કે બાબુભાઇ બોખિરિયાને સજા અંગે ગુજરાત હાઇકોર્ટે સ્ટે આપ્યો છે અને અરજી ફગાવી દીધી છે.
સૌરાષ્ટ્ર કેમિકલ કંપનીએ વર્ષ 2006માં બાબુ બોખિરિયા અને અન્ય ત્રણ સામે કેસ દાખલ કર્યો હતો. કંપનીએ જણાવ્યું હતું કે તેના અધિકારની જગ્યાએ આ વ્યક્તિઓએ લાઇમસ્ટોનનું ગેરકાયદેસર ખનન કર્યું છે. આ કેસના સંદર્ભમાં પોરબંદરની સેશન્સ કોર્ટમાં જૂન 2013માં ચારેને દોષિત ઠેરવીને સજા સંભળાવવામાં આવી હતી.
નોંધનીય છે કે વિધાનસભા ચૂંટણી 2012માં ભાજપના બાબુ બોખિરિયાએ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અર્જુન મોઢવાડિયાને હરાવ્યા હતા.