વિયેતનામના ગુંડાઓની ચૂંગાલમાંથી જુનાગઢના વેપારીનો દિલધડક બચાવ
જુનાગઢ, 4 ઓગસ્ટ : ગુજરાતના જુનાગઢના એક વેપારી વિયેતનામમાં માફિયાઓની ચૂંગાલમાંથી ભારત સરકારની મધ્યસ્થીથી છૂટ્યા છે. મોતના મોમાંથી પરત ફરેલા આ વેપારી આજે સવારે જૂનાગઢ આવી પહોંચ્યા હતા. તેમણે સમગ્ર ઘટનાક્રમનું વર્ણન કર્યું હતું, જે સાંભળીને આ દિલધડક બચાવ કોઇ ફિલ્મથી કમ નહીં હોવાનું લાગતું હતું. તેમને મુક્ત કરાવવા માટે પ્રયાસ કરનાર સૌ કોઇનો આભાર માન્યો હતો.
વાચ એમ છે કે જૂનાગઢના મગફળીના અગ્રણી વેપારીના પુત્ર જીજ્ઞેશ સાદારાણીને મોતના મોમાંથી હેમખેમ બહાર આવ્યાનો અનુભવ થયો છે. જુનાગઢમાં જિજ્ઞેશભાઇના પિતા કિશોર સાદારાણી મગફળીના વેપારી છે. તેઓ વિયેતનામમાં મગફળીની નિકાસ કરે છે.
થોડા દિવસ પહેલા તેમને ફોન આવ્યો કે તમે જે માલ મોકલ્યો છે, તે નુકસાની વાળો છે. આથી, તમે અહીં રૂબરૂ આવી જાવ, તો વીમાના પૈસા મળી શકે. આથી કિશોરભાઇએ પુત્રને જીજ્ઞેશને વિયેતનામ મોકલ્યો, પરંતુ ત્યાં જીજ્ઞેશભાઇને માફિયાઓએ બંધક બનાવી લીધા હતા. તેમને છોડવા માટે ગુંડાઓએ તેમની પાસેથી દોઢ લાખ ડોલર એટલે કે અંદાજે રૂપિયા 90 લાખની ખંડણી માંગી હતી.
જીજ્ઞેશભાઇએ જ્યારે તેમને બંધક બનાવી દોઢ લાખ ડોલરની ખંડણી માંગવામાં આવી હોવાનો ફોન પરિવારને કર્યો. ત્યારે તેના પરિવારે આ મામલે જુનાગઢ ભાજપના અગ્રણી પ્રદિપ ખીમાણીની મદદ માંગી હતી. પ્રદિપ ખીમાણીએ આ અંગે રાજ્યસભાના સાંસદ મનસુખ માંડવિયાને વાત કરી હતી.
સાંસદ માંડવિયાએ સહેજ પણ વિલંબ કર્યા વગર સીધો વડાપ્રધાન કચેરી અને વિદેશ મંત્રાલયનો સંપર્ક કરી જીજ્ઞેશને મુક્ત કરાવવા અપીલ કરી હતી. જિજ્ઞેશને છોડાવવાની દિશામાં ભારત સરકારે વિયેતનામમાં ભારતીય એલચીનો સંપર્ક કર્યા બાદ વિયેતનામ સરકારે ત્યાંની પોલીસને જાણ કરી જીજ્ઞેશને મુકત કરાવ્યો.
જીજ્ઞેશભાઇને મુકત કરાવવા ભારત સરકારે ઝડપી અને સઘન પ્રયાસો કર્યા અને એ પ્રયાસોને પરિણામે થયેલી મુકિતથી આજે જીજ્ઞેશભાઇ એક નવું જીવન મળ્યું હોય તેવું અનુભવી રહ્યા છે.