આજથી ગુજરાતમાં નવા 7 જિલ્લા, 22 તાલુકા અમલી બન્યા
નવા તાલુકાઓમાં ગીર-ગઢડા, જૂનાગઢ, લાખણી, ગોઝારિયા, જેસર, ખેરગામ, શંખેશ્વર, સરસ્વતી, વાપી, વધઈ, જોટાણા, નેત્રંગ, સૂઈગામ, થાનગઢ, ધોલેરા, વિંછીયા, ફાગવેલ, ગલતેશ્વર, બોડેલી, પોશીના, સંજેલી અને સૂબીર સહિતના તાલુકાઓ પણ અમલી બન્યા છે.
વિધાનસભાની ચૂંટણી વર્ષ 2012ની જાહેરાત પહેલાં વિવેકાનંદ યાત્રા દરમિયાન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યમાં વહીવટી સરળીકરણના મુદ્દે 26 જાન્યુઆરી 2013ના રોજ અમલમાં આવે તે રીતે સાત નવા જિલ્લા અને 22 નવા તાલુકાઓની રચના કરવાની જાહેરાત કરી હતી. વહીવટી કામગીરીના કારણોસર હવે આ નવા જિલ્લાઓ અને તાલુકાઓ આવતીકાલથી કાર્યરત થઈ રહ્યા છે.
મુખ્યમંત્રીની જાહેરાત બાદ વિધાનસભાના બજેટ સત્ર પહેલાં આ અંગેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. નવા જિલ્લાઓ અને તાલુકાઓ માટે રૂપિયા 150 કરોડની નાણાંકીય જોગવાઈ કરવામાં આવી છે. જાહેરનામું બહાર પડયા બાદ નિયમ મુજબ વાંધા અરજીઓ મંગાવવામાં આવે છે અને આ તાલુકાઓ અને જિલ્લાઓમાં સમાવિષ્ટ ગામોની ભૌગોલિક પરિસ્થિતિનું પણ ધ્યાન રાખવામાં આવે છે, અનેક વાંધા અને સૂચન અરજીઓ આવ્યા બાદ અધિકારીઓ તેમજ ભાજપના ચૂંટાયેલા સભ્યો અને હોદ્દેદારોની બેઠકો બાદ સુધારા-વધારા સાથેના સીમાંકનો તૈયાર કરાયા હતાં.
નવા તાલુકા અને જિલ્લા માટેનું તમામ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, કચેરીઓ અને સ્ટાફ માટે સામાન્ય વહીવટ વિભાગે કામગીરી પૂર્ણ કરી લીધી છે. મોટાભાગની કચેરીઓ અત્યારે જૂની અને કાર્યરત કચેરીના બિલ્ડિંગોમાં શરૂ થશે. થોડા સમય પ્રજાને દફતર અલગ થવાથી મુશ્કેલી પડશે પરંતુ સરકારે કરેલી બજેટ ફાળવણી પ્રમાણેનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર શરૂ કરી દેવાયાનું સૂત્રો જણાવી રહ્યા છે. હાલમાં જે-તે તાલુકાઓમાં જિલ્લાઓમાંથી સ્ટાફની ફાળવણી નવા તાલુકાઓમાં કરી દેવામાં આવી છે.