આદિવાસી વોટબેંક માટે કોંગ્રેસનું સપનું સાકાર કરશે છોટુભાઇ?
આદિવાસી વોટ મેળવવા માટે કોંગ્રેસે કર્યું છોટુભાઇ વસાવાની પાર્ટી સાથે ગઠબંધન. જાણો તેના કેવા પરિણામો આવી શકે છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી હવે તે સ્તરે પહોંચી ગઇ છે કે એક એક વોટ હાર અને જીત માટે મહત્વનો સાબિત થઇ રહ્યો છે. ત્યારે ભરૂચ અને નર્મદા જિલ્લાની આદિવાસી વોટબેંક પર જીત મેળવવા માટે કોંગ્રેસે છોટુભાઇ વસાવાનો સહકાર લીધો છે. છોટુભાઇ વસાવાના પુત્ર મહેશ વસાવાએ ભારતીય આદિવાસી પાર્ટી એટલે કે બીટીપી નામની પાર્ટી બનાવી છે. જેને કોંગ્રેસ આવનારી વિધાનસભાની ચૂંટણીમાં ત્રણ ટિકિટ ફાળશે. આ હેઠળ છોટુભાઇ વસાવા તેમની મૂળ બેઠક ઝઘડીયાની ચૂંટણી લડશે. તો તેમની પાર્ટીના ઉત્તમ વસાવા માંડવીથી અને બીટીપીના ફાઉન્ડર મહેશ વસાવા ડેડીયાપાડાની બેઠકથી આ વખતની વિધાનસભાની ચૂંટણી લડશે.
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી વખતે કોંગ્રેસના એહમદ પટેલને જેડી (યુ) નેતા છોટુભાઇ વસાવાએ પાર્ટીની ઇચ્છાની વિરુદ્ધ જઇને વોટ આપ્યો હતો. અને તેમના કારણે જ એહમદ પટેલ રાજ્યસભાની ચૂંટણીમાં જીતી શક્યા હતા. તેમના આ વોટના બદલે તેમણે અને કોંગ્રેસ એક બીજા સાથે ગઠબંધન કરીને ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના વોટ પાડવા માટે અને આદિવાસી મતોને પોતાની તરફ લેવા માટે આ ખાસ વ્યૂરચના બનાવી છે. ત્યારે આ વ્યૂરચના કોંગ્રેસ અને છોટુભાઇ માટે કેટલી કારગર રહે છે તે તો 18મી ડિસેમ્બર પછી જ જાણી શકાશે.