આ ચોટીલાએ કદી વિચાર્યું હતું કે અહીં એરપોર્ટ આવશે: PM મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ ગુજરાતના બે દિવસના પ્રવાસ પર છે. જે અંતર્ગત તે ચોટીલા પહોંચ્યા હતા. જાણો આ અંગે વધુ અહીં.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ ગુજરાતના બે દિવસના પ્રવાસ પર છે. જે અંતર્ગત તે આજે હેલિકોપ્ટર દ્વારા ચોટીલા પહોંચ્યા હતા. ઉલ્લેખનીય છે કે અહીં તેમણે સીએમ વિજય રૂપાણીની હાજરીમાં, રાજકોટ ગ્રીનફિલ્ડ એરપોર્ટના ભૂમિપૂજન સમારંભમાં હાજરી આપી હતી. આ પ્રસંગ વિજય રૂપાણી સમેત નાયમ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ હાજર રહ્યા હતા. ત્યારે ભાજપના નેતાઓ દ્વારા પીએમ મોદીનું કાર્યક્રમમાં સ્વાગત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી કુલ 7881 કરોડના કામોનું લોકાર્પણ કરશે. જેમાં સૌથી મોટો અને મહત્વનો પ્રોજેક્ટ છે રાજકોટ ગ્રીનફિલ્ડ એરપોર્ટ.
નોંધનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચોટીલા ખાતેથી આજે ખાસ 4500 કરોડના ખર્ચે જે રાજકોટનું એરપોર્ટ બનશે તેનું ખાતમૂહૂર્ત કરશે. સાથે જ રાજકોટ-અમદાવાદ નેશનલ હાઇવેના 2900 કરોડ તથા 385 કરોડના ખર્ચે શરૂ થનાર રાજકોટ-મોરબી હાઇવેનું પણ ખાતમૂહૂર્ત કરશે. સાથે જ સૂરસાગર ડેરીમાં 75 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલા પેકિંગ અને દૂધ પ્રોસેસિંગ પ્લાન્ટનું પણ ઉદ્ઘાટન કરશે. આમ પીએમ મોદી કુલ 7881 કરોડના કામોનું લોકાર્પણ ચોટીલા ખાતે કરશે.
ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ કાર્યક્રમમાં જનસંબોધન કરતા ગુજરાતીમાં ભાષણની શરૂઆત કરી હતી. અને લોકોને પુછ્યું હતું કે "આ સુરેન્દ્ર જિલ્લા કે ચોટીલાએ કદી વિચાર્યું હતું કે અહીં એરપોર્ટ આવશે?". તેવું કહીને મોદીએ તમને ભાષણની શરૂઆત કરતા લોકોએ તેમને તાળીઓથી વધાવી લીધા હતા. સાથે જ તેમણે લોકોને પૂછ્યું હતું કે વિકાસ આવવો જોઇએ કે નહીં? તો લોકો હા પાડી હતી.નોંધનીય છે કે કોંગ્રેસ દ્વારા સોશ્યલ મીડિયામાં વિકાસનો મુદ્દો ઉછાળવામાં આવ્યો હતો. ત્યારે પીએમ મોદીએ વિકાસનો મુદ્દો લાવી કોંગ્રેસની ઝાટકણી નીકાળી હતી. ત્યારે નરેન્દ્ર મોદીએ તેમના ભાષણમાં બીજા કયાં મહત્વના મુદ્દા કહ્યા હતા. જાણો અહીં...
પહેલાનો વિકાસ
આ કાર્યક્રમમાં મોદીએ કોંગ્રેસ પર નિશાન તાકતા કહ્યું કે પહેલા નેતાઓ કહેતા હતા કે જુઓ અમે તમારે ત્યાં હેડપંપ લગાવ્યો છે અમને વોટ આપો. પહેલા હેડપંપ લગાવાને જ વિકાસ ગણાતો હતો. આજે એવી સરકાર છે જે મોટી પાઇપ લગાવી રહી છે અને માં નર્મદાના પાણી ઘેર ઘેર પહોંચાડે છે.
સુરેન્દ્ર નગરને ફાયદો
તેમણે કહ્યું કે નર્મદાના નીરથી જો કોઇ જિલ્લાને સૌથી વધુ ફાયદો થવાનો હોય તો તે છે સુરેન્દ્ર નગર જિલ્લો. નર્મદાનું આ પાણી સુરેન્દ્ર નગરની સૂકી જમીનને નંદનવન બનાવશે. આ પાણીથી સુરેન્દ્ર નગર જિલ્લો આવનારા દિવસોમાં ઔદ્યાગિક વિકાસ પણ થશે. કારણ કે જ્યારે પાણી હોય છે ત્યારે સરકાર વધુ વ્યવસ્થા લાવે છે.
રાજકોટ સાથે સ્પર્ધા
વધુમાં પીએમ મોદીએ કહ્યું કે આવનારા સમયમાં સુરેન્દ્ર નગર જિલ્લો અને રાજકોટ બન્ને તંદુરસ્ત સ્પર્ધા કરશે. અને આ સ્પર્ધા વિકાસની સ્પર્ધા હશે. જો કે સાથે જ તેમણે ઉમેર્યું કે કેટલાક લોકોને આમાં પણ ખરાબ લાગે છે. તેમ કહી તેમણે ફરી કોંગ્રેસની ઉડાવી.
એવિએશન પોલીસી
તેમણે કહ્યું કે હું તેવી વ્યવસ્થા કરવા માંગુ છું કે હવાઇ ચંપલ પહેરનાર વ્યક્તિ પણ હવાઇ સફર કરી શકે. પહેલાની સરકારમાં ભારત પાસે એવિએશન પોલીસ જ નહતી. અમે આવી આ પોલીસી બનાવી અને મોટા શહેરો જ નહીં નાના શહેરોમાં પણ હવાઇ સફર કેવી રીતે થાય તે માટે પ્રયાસો શરૂ કર્યા. અને આ રીતે એવિએશનને બળ આપ્યું છે. ગુજરાત અને અન્ય રાજ્યોમાં એક કરતા વધુ એરપોર્ટ સક્રિય બને તેવો અમારો પ્રયાસ કરીએ છે.
રાજકોટ એરપોર્ટ
પીએમ જણાવ્યું કે આ એરપોર્ટ બનાવવા માટે ખાલી 4 ટકા જ ખેડૂતોની જમીનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. બાકીની બિનઉપજાઉ જમીનનો ઉપયોગ આ એરપોર્ટ બનાવવા માટે કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે "મને ખુશી આટલા મોટા પ્રોજેક્ટમાં ખાલી 4 ટકા જમીન જ ખેડૂતો જોડેથી લેવી પડી. આ એરપોર્ટથી રાજકોટ અને આ સમગ્ર ક્ષેત્ર જ્યારે વિકસિત થઇ રહ્યો છે. ત્યારે તે સમય પણ દૂર નહીં જ્યારે રાજકોટથી આંતરાષ્ટ્રીય ફ્લાઇટ પણ ઉડવાનું શરૂ થઇ જશે.
સૂરસાગર
પીએમ એ કહ્યું કે સૂરસાગર તે ભવિષ્યમાં તમારું સૂરસાગર જ બનાવાનું છે આવનારા સમયમાં નર્મદાના પાણીથી પશુપાલનનો વિકાસ થશે. ભૂતકાળની સરકારે તેવો કાયદો કર્યો હતો કે ડેરીઓ ના બને. હું જ્યારે સીએમ હતો ત્યારે મેં ડેરીના ઉદ્યોગને લોન આપવાનું શરૂ કર્યું.
પાણીનો બગાડ!
વધુમાં તેમણે કહ્યું કે પાણીની તરસ કોને કહેવાય તે ગુજરાતના લોકો સારી પેઠે જાણે છે. વડવાણમાં તો પહેલા 15 દિવસમાં એક વાર પાણી આવતું. અને આજે વડવાણ નગરની અંદર લોકોને વધુ પાણી મળે તેવી સુવિધા ઊભી કરાઇ છે. અને આ માટે જ આ વિસ્તારની મહિલાઓ આશીર્વાદ આપે છે. મોરબી અને અમદાવાદ સાથે રસ્તાની પહોયાઇ વધારવાનું કામ કદાચ આજની પેઢીને સમજાશે નહીં. પણ ભાજપની સરકાર આવી તે પહેલા જૂના છાપાની તસવીરો જોશો તો ખબર પડશે કે અમદાવાદ રાજકોટ પર જીવલેણ અકસ્માત થતા હતા. વર્ષમાં 100 કરતા વધુ અકસ્માત થતા. કારણ કે રસ્તા બહુ નાના હતા. હવે રસ્તા પહોળા કરવામાં આવ્યા છે.
5 વર્ષનો સંકલ્પ
તેમણે કહ્યું કે વર્ષ 2022માં ભારતને આઝાદીના 75 વર્ષ થશે પૂર્ણ થશે. ત્યારે આ 5 વર્ષોમાં દેશનો દરેક વ્યક્તિ સરકારે મને શું આપશે તે વિચારવાના બદલે હું 5 વર્ષમાં દેશને શું આપીશ તેવો સંકલ્પ કરશે તો ભારતના વિકાસને કોઇ રોકી નહી શકે. તેમણે લોકોને 5 વર્ષ માટે દેશના કાર્યો માટે સંકલ્પ કરવાની અપીલ કરી.
પાણીને ના વેડફો!
સાથે જ આ પ્રસંગે તેમણે કહ્યું કે જ્યારે આટલી મહેનત પછી જ્યારે નર્મદાના નીર તમારા ઘર આંગણે આવે છે ત્યારે તેવો પ્રયાસ ચોક્કસથી કરજો કે પાણીની એક પણ બૂંદ વેડફાય નહીં. પાણીને આ તમામ બૂંદ મહત્વની છે. અને તેનો યોગ્ય ઉપયોગ કરો જેથી કરીને 2022માં આપણા દેશના ખેડૂતોની આવક બમણી થાય. ખેડૂતોની આવક બમણી કરવા તેમણે સુરેન્દ્ર નગરના ખેડૂતોને નવી વૈજ્ઞાનિક પદ્ધતિ સાથે ખેતી કરવા અને માઇક્રો એરીગેશન પર જોર આપવાનું આહ્વાહન કર્યું.