ગુજરાતના ત્રીજા નાણાપંચની વેબસાઇટ ખુલ્લી મૂકવામાં આવી
આ પ્રસંગે ચુડાસમાએ જણાવ્યું હતું કે, સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓના સર્વાંગી વિકાસ માટે મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીની ભાજપા સરકારે દિશાસૂચક કામ કર્યું છે અને આશા વ્યકત કરી હતી કે, રાજય નાણાં પંચ રાજયની સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓનો અભ્યાસ કરીને નાગરિકોને તેમના દ્વારા અપાતી સેવાઓ વધુ સુદૃઢ બને તેવા સૂચનો કરશે આ વેબસાઇટના માધ્યમથી રાજયના નાગરિકો નાણાં પંચને પોતાના સૂચનો કરી શકશે.
પંચની વેબસાઇટને 14મું કેન્દ્રીય નાણાં પંચ, કેન્દ્ર તથા રાજય સરકારના સબંધિત મંત્રાલયો, રાજયની તમામ જીલ્લા પંચાયતો, તાલુકા પંચાયતો, મ્યુનિસિપલ કોર્પોરેશનો તેમજ નગરપાલિકાઓની સાથે જોડવામાં આવશે.
આ પ્રસંગે પંચાયત મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા તથા રાજય કક્ષાના પંચાયત મંત્રી જયંતીભાઇ કવાડીયા, નાણાંપંચના ચેરમેન ર્ડા. ભરીત ગરીવાલા, પંચના સભ્ય યમલ વ્યાસ, સભ્ય સચિવ ડી.એન. પાંડે પંચાયત વિભાગના અગ્ર સચિવ પી.કે. પરમાર તથા વરિષ્ટ અધિકારીઓ હાજર રહયા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે રાજય નાણાં પંચની રચના ફેબ્રુઆરી 2011માં ર્ડા.ભરત ગરીવાલાની અધ્યક્ષતામાં કરવામાં આવી હતી. પંચના અન્ય બે નિષ્ણાત સભ્યો યમલ વ્યાસ તથા દિનેશ ચોકસી છે અને સભ્ય સચિવ તરીકે સનદી અધિકારી ડી.એન. પાંડે છે.
નાણાં પંચ રાજયની પંચાયતી રાજ સંસ્થાઓ તથા શહેરી વિસ્તારની સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની નાણાંકીય કામગીરીનો અભ્યાસ કરીને તેમને નાણાંની ફાળવણીને લગતી ફોર્મ્યુલાનું સૂચન કરશે તેમજ વહીવટી અને ટેકનીકલ કામગીરી સંદર્ભે યોગ્ય સૂચનો કરશે.