ગુજરાતનો આદિવાસી યુવાન હવે વિમાન ઉડાવશે!!!
માંડવી ખાતે રહેતા શ્રેયષ ચૌધરીએ 2008માં કોમર્શિયલ પાયલોટની તાલીમ માટે અમેરિકા જવાનું નક્કી કર્યું હતું. પરંતુ તેમના આ સપનામાં અવરોધ રૂપ બની બેઠેલા રૂપિયાની સમસ્યાને રાજ્ય સરકારે ચપટી વગાડતાની સાથે નિરાકરણ લાવી ખૂબ નજીવા વ્યાજ દરે તેને ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશન, ગાંધીનગર દ્વારા 15 લાખની લોન આપી દીધી.
રાજ્ય સરકારના આર્શીવાદ અને પોતાની મહેતનના પરિણામે આજે શ્રેયષે અમેરિકામાં પાયલોટની તાલીમ મેળવી ત્યાંનું લાયસન્સ પ્રાપ્ત કરી લીધુ છે. આંતરરાષ્ટ્રીય કક્ષાના વિમાનને ઉડાવવા માટે બે દેશોના લાયસન્સની જરૂર હોવાથી તે હવે દિલ્હીમાં ભારતના લાયસન્સ માટેની પરીક્ષા તૈયારી કરી રહ્યો છે.
પોતાના સંતાનની સિધ્ધિ અને રાજ્ય સરકારના સહયોગની વાત કરતા શ્રેયષના પિતા અનિલભાઇ ચૌધરીએ જણાવ્યું કે, મે મારા જીવનમાં ખૂબ સંધર્ષ કર્યો છે. ભણવાની ઈચ્છા હોવા છતાં ગરીબીના કારણે હુ માત્ર 10 ચોપડી જ ભણી શક્યો. તેમ છતાં મારા સાહસથી મેં ડેરી ફાર્મ શરૂ કરી મારા બાળકોને સારા અભ્યાસ માટે પ્રોત્સાહિત કર્યા. બાળકો પોતાના ઉજ્જવળ ભવિષ્યના વિચાર માટે સક્ષમ બને તેવું વાતાવરણ ઉભુ કર્યું. શ્રેયસે વાંકલમાં ધોરણ 12ની પરીક્ષા પાસ કર્યા બાદ મઢી માણેકપોરગામના વતની અમૃતભાઈની પ્રેરણાથી પાયલોટ બનવાનું નક્કી કર્યું.
આ માટે તે જાતે મુંબઇ ગયો અને તેણે બોરીવલી ખાતે અમૃતભાઈ દ્વારા ચલાવવામાં આવતા પાયલોટની ટ્રેનિંગની પરીક્ષા પાસ કરી દીધી. શ્રેયષની ધગશ અને આત્મવિશ્વાસને જોઇ અમે પણ તેનો સહયોગ કર્યો. પાયલોટ બનવાનો વિચાર પણ અમારા સમાજમાં કોઇને આવે તે પણ મોટી વાત છે.
મુંબઇમાં રહ્યાં બાદ તેણે આંતરરાષ્ટ્રીય પાયલોટ બનવા માટે અમેરિકા જવાનો વિચાર કર્યો. પરંતુ તે માટે ઘણા રૂપિયાની જરૂર હતી. 10 લાખ જેટલા મારી પાસે હતા પરંતુ તે પૂરતા ન હોવાથી અમને ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશન, ગાંધીનગર દ્વારા કોમર્શિયલ પાયલોટ માટે ખૂબ નજીવા દરે લોન અપાતી હોવાની માહિતી મળી હતી. તમામ પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ અમને 15 લાખની લોન મળતા શ્રેયશનું સવપ્ન આજે પૂર્ણ થવાના આરે છે. દિલ્હી ખાતે ભારતમાં પાયલોટ માટેની પરીક્ષા પાસ કર્યા બાદ શ્રેયશ આંતરરાષ્ટ્રીય પ્લેન ઉડાવવા માટે લાયક થઇ જશે.