ગુજરાત : વિપક્ષના નવા નેતા તરીકે શંકરસિંહ વાઘેલાની પસંદગી

મંગળવારે મળેલી કોંગ્રેસના ધારાસભ્યો અને કેન્દ્રીય નિરીક્ષકો શીલા દીક્ષિત અને મોહન પ્રકાશની ઉપસ્થિતિમાં કેન્દ્રીય મોવડીમંડળે આ નિર્ણય લેવા માટે કોંગ્રેસનાં પ્રમુખ સોનિયા ગાંધીને સત્તા આપી હતી અને સોનિયાએ શંકરસિંહ વાઘેલાને વિપક્ષનાં નેતા બનાવવા માટે તૈયારી બતાવી હતી.
બીજી તરફ મંગળવારે જ વિપક્ષનાં નેતાનું નામ જાહેર થાય તેવી શક્યતા હતી પરંતુ કોંગ્રેસનાં વિધાનસભ્યોની મળેલી બેઠકમાં દિલ્હીનાં મુખ્ય પ્રધાન શીલા દીક્ષિત અને કોંગ્રેસનાં અગ્રણી નેતા મોહનપ્રકાશની ઉપસ્થિતિમાં કાયમી વિપક્ષનાં નેતા અંગેનો કોઇ નિર્ણય લેવાયો નહોતો. આથી વિપક્ષનાં કાર્યકારી નેતા તરીકે મોહનસિંહ રાઠવાની નિમણૂંક કરાઈ હતી.
વિપક્ષનાં નેતા તરીકે શંકરસિંહ વાઘેલા, વિઠ્ઠલભાઇ રાદડિયા અને બલવંતસિંહનાં નામો સ્પર્ધામાં હતા જેમાં આખરે શંકરસિંહ વાઘેલાએ બાજી મારી લીધી છે. ઉલ્લેખનીય છે કે આજે 23 જાન્યુઆરી, 2013 બુધવારે 13મી ગુજરાત વિધાનસભાનું એક દિવસનું વિશેષ સત્ર મળી રહ્યું છે ત્યારે વિપક્ષના નેતાની વરણીથી કોંગ્રેસના ધારાસભ્યોને હાશ થઇ છે.












Click it and Unblock the Notifications
