સુરતમાં તાપી રિવરફ્રન્ટનું ઓગસ્ટમાં મુખ્યમંત્રીના હસ્તે ઉદઘાટન
સુરત, 18 જુલાઇ : ગુજરાતમાં અમદાવાદ બાદ રિવરફ્ર્નટ તૈયાર થવાનું બીજું સૌભાગ્ય ડાયમંડ સિટી સુરતને પ્રાપ્ત થયું છે. સુરત મહાનગરપાલિકાએ તાપી નદીના રાંદેર અડાજણ વિસ્તાર પાસે આવેલા કિનારે તૈયાર કરેલા રિવરફ્રન્ટ પ્રોજેક્ટને આવતા મહિને જાહેર જનતા માટે ખુલ્લો મુકવામાં આવશે એવી જાહેરાત કરી છે.
આ અંગે સુરત મહાનગર પાલિકાએ જણાવ્યું છે કે આગામી ઓગષ્ટ માસના પ્રથમ સપ્તાહમાં તેને રાજ્યના મુખ્યમંત્રી આનંદીબેન પટેલના હસ્તે ખુલ્લો મુકવા માટેનું આયોજન કરવામાં આવી રહ્યું છે. સુરતનો તાપી રિવરફ્રન્ટનો પ્રથમ તબક્કો રૂપિયા 24.41 કરોડના ખર્ચે તૈયાર થયો છે. જાહેર જનતા માટે તે ખુલ્લો મુકાતા ચોમાસાની ઋતુમાં આ રિવરફ્રન્ટ સુરતીઓ માટે આનંદ પ્રમોદનું લોકપ્રિય સ્થળ બની જશે એવી કોર્પોરેશનને આશા છે.

સુરત મહાનગર પાલિકાએ લો લેવલ (સ્વામી વિવેકાનંદ) બ્રિજના અડાજણ છેડે બાપુનગર સ્કુલથી શીતલ ટોકીઝ સુધીનો 700 મીટર લાંબો રિવરફ્રન્ટ તૈયાર કરી દીધો છે. તાપી રિવરફ્રન્ટના મુખ્ય આકર્ષણોમાં નદી કિનારે બનાવવામાં આવેલો વોક વે, ગ્રીન બેલ્ટ, પબ્લિક ગેધરિંગ પ્લેસીસ, ઈતર પ્રવૃત્તિ, આનંદ પ્રમોદ માટે ઓપન સ્પેસ વગેરે છે.
આ ઉપરાંત સુરત શહેર માટે જે મહાનુભવોએ યોગદાન આપ્યું છે તેમની સ્મૃતિ માટે મેમોરિયલ પાર્ક પણ બનાવવામાં આવ્યો છે. રિવરફ્રન્ટમાં પ્રવેશવવા માટે ત્રણ જગ્યાએથી એન્ટ્રી રાખવામાં આવી છે. જેમાં બાપુનગર શાળા પાસે એક એન્ટ્રી, નહેરુ બ્રિજ તથા શીતલ થીએટર પાસેથી બીજી અને ત્રીજી રાખવામાં આવી છે.












Click it and Unblock the Notifications
