હું અઢી વર્ષ સુધી કોઇ પાર્ટીમાં નહીં જોડાઉં: હાર્દિક પટેલ
પાટીદાર નેતા હાર્દિક પટેલે કહ્યું કે, તે આગલા 2.5 વર્ષ સુધી કોઇ પક્ષમાં જોડાશે નહીં.
ગુજરાતની ચૂંટણી નજીક આવતા જ સૌની નજર જે યુવા નેતા પર મંડાઇ છે, એ છે હાર્દિક પટેલ. ઘણા સમયથી તેઓ કોંગ્રેસ સાથે હાથ મિલાવે એવી શક્યતાઓ વ્યક્ત થઇ રહી હતી. જો કે, હાર્દિક પટેલ પોતે કોઇ પણ પક્ષ સાથે જોડાવાની વાતને નૈનેયો ભણતા આવ્યા છે અને તેમણે એનડીટીવીને આપેલ એક ઇન્ટરવ્યુમાં પણ આ જ વાત કહી હતી. તેમણે કહ્યું હતું કે, તેઓ 2.5 વર્ષ સુધી કોઇ પણ પક્ષમાં જોડાવાના નથી. તેમણે કહ્યું હતું કે, હું જનતાનો અજન્ટ છું અને કોઇ પક્ષમાં નથી. મને જનતાએ નોકરી પર રાખ્યો છે.
ઉલ્લેખનીય છે કે, ગુરૂવારે દલિત નેતા જિજ્ઞેશ મેવાણીએ પણ કહ્યું હતું કે, તેઓ કોઇ પક્ષમાં જોડાવા માંગતા નથી. જો કે, હાર્દિક પટેલે પરોક્ષ રીતે કોંગ્રેસનું સમર્થન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસને તેમના તરફથી ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ સમર્થન રહેશે અને તેઓ પાટીદાર સમાજને કહેશે કે તેઓ ભાજપને મત ન આપે. હાર્દિક પટેલનું કહેવું છે કે, અનામતના મુદ્દે ભાજપ લોકોને મૂર્ખ બનાવી રહ્યું છે. કેટલીક પટેલ સંસ્થાઓ હાર્દિક પટેલના વિરોધમાં ઊભી થઇ છે, એ અંગે હાર્દિકે કહ્યું કે, આ તમામ સંસ્થાઓ ભાજપ દ્વારા જ ઊભી કરવામાં આવી છે અને નકલી છે.