બોર્ડર સુરક્ષાની સમીક્ષા માટે આવતીકાલે રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે
અમદાવાદ, 9 સપ્ટેમ્બર : કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહ 10 સપ્ટેમ્બર, 2014ના રોજ બે દિવસ માટે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આ પહેલા તેઓ 9 અને 10 સપ્ટેમ્બરના રોજ ગુજરાતની મુલાકાત લેવાના હતા.
રાજનાથ સિંહ પોતાની બે દિવસની ગુજરાત મુલાકાતમાં ગુજરાતના દરિયા કાંઠાની અને બોર્ડર પર સુરક્ષા વ્યવસ્થાની મુલાકાત લઇને તેની સમીક્ષા કરશે. આ બાબતની માહિતી બોર્ડર સિક્યુરિટી ફોર્સ (બીએસએફ - BSF)ના અધિકારીએ આપી છે.
બીએસએફના અધિકારીએ જણાવ્યું કે રાજનાથ સિંહ બે દિવસની મુલાકાતમાં કચ્છમાં આવેલી સરહદ પરના બીએસએફ કેમ્પની મુલાકાત લેવાના છે. પોતાની મુલાકાતમાં પહેલા દિવસે એટલે કે 10 સપ્ટેમ્બરે રાજનાથ સિંહ દરિયા કાંઠાના શહેર પોરબંદર જશે. નોંધનીય છે કે ભારતીય નૌ સેનાએ તાજેતરમાં અહીં નૌકાદળનું મથક બનાવવાની જાહેરાત કરી હતી.
ત્યાર બાદ બીજા દિવસે એટલે કે 11 સપ્ટેમ્બરના રોજ તેઓ બોર્ડર પરની સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવા માટે કચ્છમાં આવેલા લાખી નાળા ક્રિક સ્થિત બીએસએફના કેમ્પની મુલાકાત લેશે.
નોંધનીય છે કે છેલ્લા ઘણા સમયથી પાકિસ્તાન દ્વારા કાશ્મીરમાં યુદ્ધ વિરામનું વારંવાર ઉલ્લંઘન કરવામાં આવે છે. આ કારણે ગુજરાતની સરહદ પરથી પણ ઘૂસણખોરીની સંભાવના વધી રહી છે. આ બાબતે ગુજરાતની સરહદ પર કડક સુરક્ષા મહત્વની બને છે. તે સંદર્ભમાં રાજનાથ સિંહની મુલાકાત અગત્યની છે.