સુરતનો ભજિયાવાળો કરોડોનો આસામી, 90 કરોડની સંપત્તિના દસ્તાવેજ, 90 લાખ નવી નોટમાં
સુરતનો એક ભજિયાવાળો આજે કરોડોનો આસામી છે. જો કે આવકવેરા વિભાગમાં 8 લાખની જ આવક દર્શાવનારો આ ભજિયાવાળો 1.5 કરોડની એફડી કરાવવા જતા આઇટીના સકંજામાં આવી ગયો...
સુરતનો એક ભજિયાવાળો આજે કરોડોનો આસામી છે. જો કે આવકવેરા વિભાગમાં 8 લાખની જ આવક દર્શાવનારો આ ભજિયાવાળો 1.5 કરોડની એફડી કરાવવા જતા આઇટીના સકંજામાં આવી ગયો. આવકવેરા વિભાગની ઇંવેસ્ટીગેટીંગ વિંગ દ્વારા ઉધનાના કિશોર ભજિયાવાળા નામના આ ફાઇનાંસરને ત્યાં હાથ ધરવામાં આવેલા સર્ચ ઓપરેશનમાં તેની પાસેથી 90 કરોડની સંપત્તિના દસ્તાવેજ, 180 કિલો ચાંદી અને 2.50 કરોડની જ્વેલરી મળી આવી હતી.

આઇટીનું સર્ચ ઓપરેશન
આઇટીની સર્ચમાં ઉધના શાખાની પિપલ્સ કો-ઓપરેટીવ બેંકના લોકરમાં રખાયેલા 1.06 કરોડ રુપિયા મળી આવ્યા હતા જેમાંથી 90 લાખ રુપિયા નવી બે હજારની નોટમાં મળી આવ્યા હતા. ભજિયાવાળાના 16 લોકરમાંથી 8 લોકર જ ઓપરેટ થયા હતા. જેમાંથી 5 લોકરમાં સર્ચ કરાતા રોકડ ઉપરાંત સોનુ, ચાંદી, કિશાન વિકાસપત્ર અને જ્વેલરી મળીને કુલ 14 કરોડ મળી આવ્યા હતા.

બંધ ફેક્ટરીમાં કામકાજ
આ ઉપરાંત ભજિયાવાળાની એક બંધ ફેક્ટરીમાં પણ ઓફિસ ચાલતી હોવાની આશંકાને પગલે આઇટીએ સર્ચ ઓપરેશન હાથ ધરતા ત્યાંથી વિવિધ ચાવીઓ અને દસ્તાવેજ મળી આવ્યા હતા. જે બાદમાં લોકર્સની હોવાનુ જાણવા મળ્યુ હતુ. જો કે આ તપાસ હજુ ત્રણ દિવસ સુધી ચાલે તેવી સંભાવના છે તેમ આઇટીના એક અધિકારીએ જણાવ્યુ હતુ.

ગુસ્સામાં સુરતી ગાળો બોલે છે ભજિયાવાળો
સુરતનો કિશોર ભજિયાવાલાનો કિસ્સો ગુજરાતમાં ખૂબ ગાજ્યો છે. કિશોર ભજિયાવાલાને ત્યાં આઇટીનું સર્ચ ઓપરેસન હજુ પણ યથાવત છે. જોકે તે દરમિયાન આઇટીના અધિકારીઓ ઉધાના ખાતેની સુરત પીપલ્સ બેંકની શાખામાંથી તપાસ કરીને બહાર આવ્યા હતા. આ દરમિયાન ઉધનાની સુરત પીપલ્સ બેંકમાં આવેલા 16 જેટલા લોકરોની તપાસ કરવામાં આવી હતી જેમાં આઠ જેટલા લોકરોને સીઝ કરી દેવાયા છે. જ્યારે બાકીના આઠ લોકરો હજુ ખોલવાના બાકી હોવાથી સર્ચ ઓપરેશન યથાવત રહ્યું છે . જો કે આ પૂછપરછ દરમિયાન ભજિયાવાલા અને તેના પરિવારે તબિયત લથડી હોવાની ફરિયાદ કરી હતી. તો સૂત્રોએ જણાવ્યા પ્રમાણે ભજિયાવાલાએ પૂછપરછથી કંટાળીને સુરતી ગાળો પણ બોલી હતી.

ચા ની કીટલી ચલાવતો હતો
ઉલ્લેખનીય છે કે કિશોર ભજિયાવાળા નામનો આ વ્યક્તિ તેના પરિવાર સાથે 31 વર્ષ પહેલા સુરત રહેવા આવ્યો હતો. અહીં આવીને તેણે ચાની લારી અને ભજિયા વેચવાનું શરુ કર્યુ હતુ. બાદમાં થોડા પૈસા ભેગા થતા તેણે ફાઇનાંસરનું કામ શરુ કર્યુ હતુ. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ ભજિયાવાળો અને તેનો દીકરો જિગ્નેશ ખૂબ જ ઉદ્ધત અને વિચિત્ર સ્વભાવના છે. પૈસા આપ્યા બાદ તેઓ પઠાણી ઉઘરાણી કરતા હતા. આસપાસના લોકોમાં પણ તે રાજકીય વગને કારણે ભયનું વાતાવરણ રાખતો. આઇટીના અધિકારીઓ સાથે પણ તે ઉદ્ધતાઇથી જવાબો આપી રહ્યો હોવાનું અધિકારીઓ જણાવી રહ્યા છે.












Click it and Unblock the Notifications
