ગુજરાતના પોરબંદરમાં ઇન્ડિયન નેવી ફુલ સ્કેલ નેવલ બેઝ શરૂ કરશે
ગાંધીનગર, 3 સપ્ટેમ્બર : દેશની સુરક્ષામાં ગુજરાત એક મહત્વની ભૂમિકા ભજવવા જઇ રહ્યું છે. ગુજરાતમાં આવેલું કચ્છનું રણ પાડોશી દેશ પાકિસ્તાન સાથે સરહદ ધરાવે છે. બીજી તરફ 1600 કિલોમીટરના દરિયાકિનારમાં કેટલોક ભાગ પાકિસ્તાન સાથે સરહદથી જોડાયેલો છે. આવી સ્થિતિમાં દેશની સુરક્ષામાં ગુજરાતની સરહદ મહત્વની સાબિત થાય છે.
આ બાબતને ધ્યાનમાં રાખીને ભારતીય નૌકાદળ દેશના સપૂત સરદાર વલ્લભભાઇ પટેલના નામથી પોરબંદરના દરિયા કિનારે સંપૂર્ણ સજ્જ એવું નેવલ બેઝ બનાવવા માંગે છે.
આ અંગેની માહિતી આજે ભારતીય નૌકાદળના ગુજરાત - મહારાષ્ટ્રના ફ્લેગ ઓફિસર કમમાન્ડિંગ રિયર એડમિરલ અશોક કુમારે ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ સાથેની એક મુલાકાતમાં આપી હતી.
આ મુલાકાતમાં અશોક કુમારે ગુજરાતના 1600 કિલોમીટર લાંબા દરિયાકાંઠા પર ભારતીય નૌસેનાના ભાવિ આયોજનો અંગે વાત કરી હતી. આ યોજનાઓમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ સુવિધાઓ અને જેટ્ટીનો સમાવેશ થાય છે.