ખુશી શાહ પંચમહાભૂતમાં વિલીન, અંતિમ સંસ્કારમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા
ઇસ્તંબુલમાં 31 ડિસેમ્બરે થયેલા આતંકી હુમલાનો ભોગ બનેલ બે ભારતીયો પૈકી વડોદરાની ખુશી શાહનો મૃતદેહ મુંબઇ લાવવામાં આવ્યો છે...
ઇસ્તંબુલ એટેકમાં મૃત્યુ પામેલ ખુશી શાહનો નશ્વરદેહ પંચમહાભૂતમાં વિલીન થઇ ગયો છે. વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં બહુચરાજી સ્મશાનગૃહ ખાતે ખુશીના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. જૈન ધર્મની વિધિ પૂર્ણ કરાયા બાદ બપોરે ત્રણ વાગે નીકળેલી તેની અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. સાંજે 4 વાગે ખુશીના પિતા અને ભાઇએ મુખાગ્નિ આપ્યો હતો. ચારે તરફ માહોલ ગમગીન બની ગયો હતો.
તૂર્કીના ઇસ્તંબુલમાં થયેલા ત્રાસવાદી હુમલામાં મૃત્યુ પામેલી ફેશન ડિઝાઇનર ખુશી શાહનો મૃતદેહ લઇ તેના બે ભાઇઓ બપોરે વડોદરા પહોંચી ગયા હતા. તે પહેલા આજે વહેલી સવારે ખુશી શાહનો મૃતદેહ મુંબઇ લાવવામાં આવ્યો હતો. ખુશીના પરિવારની સાથે સાંસદ કિરિટ સોમૈયા, રંજનબેન ભટ્ટ અને ધારાસભ્ય મનિષા વકીલ પણ વડોદરા એરપોર્ટ પણ હાજર હતા. એરપોર્ટ પર ખુશીનો મૃતદેહ આવતા જ ચારે તરફ શોકનું મોજુ ફરી વળ્યુ હતુ.
પરિવારજનોમાં આક્રંદનું વાતાવરણ સર્જાયુ હતુ. ખુશીના મૃતદેહને અંતિમ દર્શન માટે તેના વડોદરા સ્થિત નિવાસસ્થાન એંટીકા ખાતે મૂકવામાં આવ્યો હતો. હિંદુ શાસ્ત્રોક્ત વિધિપૂર્ણ કરાયા બાદ બપોરે 3 વાગે તેની અંતિમયાત્રા નીકળી હતી. ઇસ્તંબુલમાં 31 ડિસેમ્બરે થયેલા આતંકી હુમલાનો ભોગ બનેલ બે ભારતીયો પૈકી વડોદરાની ખુશી શાહનો મૃતદેહ મુંબઇ લાવવામાં આવ્યો હતો જ્યાંથી તેને વડોદરા લાવવામાં આવ્યો.
ઉલ્લેખનીય છે કે તૂર્કીના ઇસ્તંબુલમાં 31 ડિસેમ્બરે એક નાઇટ ક્લબમાં થયેલા આતંકવાદી હુમલામાં વડોદરાની ફેશન ડિઝાઇનર ખુશી શાહ ભોગ બની હતી. ભારત સરકાર દ્રારા કરાયેલી ઝડપી મદદને કારણે ખુશીના બે ભાઇઓ સરળતાથી મૃતદેહ લેવા ઇસ્તંબુલ પહોંચ્યા હતા. જ્યાં દરેક પ્રકારની ઔપચારિકતાઓ પૂર્ણ કરાયા બાદ ખુશીના મૃતદેહને મુંબઇ લાવવામાં આવ્યો હતો. મુંબઇથી ખુશીના મૃતદેહને વડોદરા લાવવામાં આવ્યો હતો. 'ખુશીઝ' નામના મુંબઇ સ્થિત બુટીકમાં ખુશીએ ઘણી બોલીવુડ હસ્તીઓના ડ્રેસ ડિઝાઇન કર્યા હતા. ખુશીના ઘરે અમુક બોલીવુડ હસ્તીઓ પણ શ્રદ્ધાંજલિ આપવા આવે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી હતી.