અવળી ગંગા: ગુજરાતનું એક ગામ જ્યાં 2 કલાકે ભરાય છે પાણીનો એક ઘડો

આંબલીપુર ગામના સ્થાનિક મહિલાઓ પોતાના બાળકો સાથે કુવા પર પાણી ભરવા જતી નજરે ચડે છે. પરંતુ કુવામાં ઉંડે સુધી પાણી જોવા મળતું નથી. જોવા મળે છે તો માત્ર નાના ખાડાઓ, તેમ પણ ટપક-ટપક પાણી જમા થાય છે. આ નાના ખાડાઓમાંથી પાણી ભરતા લગભગ 2 કલાક જેટલો સમય લાગે છે.
સ્થાનિક લોકોનું કહેવું છે કે અહીંયા પાણીની વિકટ સમસ્યા છે. ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યા બાદ 2 કલાકે 1 ઘડો પાણી નસીબ થાય છે. આખો દિવસ પાણી ભરવામાં પસાર થઇ જાય છે. અને અન્ય કામ કરવા માટે સમય વધતો જ નથી.
ગામકુવા નજીક એક તળાવ આવેલું છે પણ તે કોરું ધાક્કોર નજરે પડે છે. રસ્તાની બાજુએ આવેલા તળાવ નજીક ગ્રામજનોએ એક મંદિર બનાવ્યું છે. મંદિર બનાવવા માટે તળાવમાંથી પાઇપના માધ્યમથી પાણી લાવવામાં આવતું હતું. અહીંયા માતૃ મા મંદિર બનાવવામાં આવી રહ્યું છે. તળાવ અને કુવાઓ સુકાયેલા છે. આ મંદિર બનાવવામાં આવી રહ્યું છે જેથી માતાના આર્શિવાદથી પાણી મળી રહે. ગુજરાતીઓને દેવી-દેવતાઓ પ્રત્યે ખૂબ જ આસ્થા હોય છે. ગુજરાતીઓને સરકારો કરતાં દેવી-દેવતા પર વધુ વિશ્વાસ છે.
સ્થાનિક લોકોનું કહેવું છે કે પીવાનું પાણી નથી, ખેતરો માટે ત્રણ કિલોમીટર દૂર બહુચરાજીના તળાવથી પાણી લાવવું પડે છે. મહિલાઓ સ્નાન કરવા માટે તળાવના કાંઠે જાય છે. રસ્તાની બાજુએ આવેલા તળાવો પર ઠેર-ઠેર આવા દ્રશ્યો જોવા મળે છે તો બીજી તરફ ઓએનજીસીના મશીનો તેલ કાઢતાં પણ જોઇ શકાય છે.
અહીંયા સમસ્યા એ છે કે તેલ છે પણ પાણી નથી. આ તે કેવો વિકાસ. ઓએનજીસીના મશીનો લગાવવામાં આવ્યા હોવાથી અહીંયા પાકા રસ્તા બની ગયા છે. તેલ કાઢવામાં આવતી વખતે જે પાણી નિકળે છે તેને એકઠુ કરીને ઉપયોગમાં લેવામાં આવે છે. સુણસર પંચાયતમાં સુણસર, આંબલીપુર, લક્ષ્મીપુરા અને પેટાપુરા ગામનો સમાવેશ થાય છે. પંચાયતના પ્રમુખ ચમનજી દરબારે કહ્યું હતું કે મોદી સરકારે શહેરોમાં મોટા-મોટા બિલ્ડરો માટે કામ કરે છે, પણ ખેડૂતોને કોણ પૂછે છે.












Click it and Unblock the Notifications
