જાપાનના રાજદૂતની ગુજરાતના મુખ્યમંત્રી સાથે શુભેચ્છા મુલાકાત
ગાંધીનગર, 27 નવેમ્બર: ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીની સોમવારે ગાંધીનગરમાં જાપાનના ભારતસ્થિત રાજદૂત યુત ટાકેશી યાગીએ સૌજ્ન્ય મુલાકાત લઇને જાપાન અને ભારત તથા ગુજરાત વચ્ચેના પારસ્પરિક સંબંધો વધુ વિસ્તૃત ફલક ઉપર સુદ્રઢ બને અને જાપાન તથા ગુજરાતના ઔદ્યોગિક તેમજ આર્થિક અને સામાજિક વિકાસના ક્ષેત્રોની ભાગીદારીનો સેતુ મજબૂત બને તે માટે વિગતવાર પરામર્શ કર્યો હતો.
જાપાને ભારત સરકાર સાથે જે ૧૯ પ્રોજેકટ હાથ ધરવા સહભાગીતાના કરાર કરેલા છે તેમાંના સાત ગુજરાતમાં સ્થપાશે. દહેજ અને સાણંદમાં જાપાન 'સ્માર્ટ સિટી'ના પ્રોજેકટ હાથ ધરશે. દહેજમાં દરિયાઇ ખારાશવાળા પાણીના મીઠા પાણીમાં રૂપાંતરના ડી સેલીનેશન ઓફ વોટર પ્લાન્ટના મહત્વાકાંક્ષી પ્રોજેકટની પ્રગતિ તેમજ હાઇસ્પીડ રેઇલપ્રોજેકટ ધોલેરામાં સ્થાપવાના પ્રોજેકટ અંગે ગુજરાત સરકાર જાપાનને સંપૂર્ણ સહયોગ આપશે એમ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.
ગુજરાતમાં સરદાર સરોવરની નર્મદા કેનાલના રૂફ ટોપ સોલાર પાવર પેનલના પાઇલોટ પ્રોજેકટની સફળતાને પગલે જાપાન નર્મદા કેનાલ રૂફ ટોપ સોલાર પેનલના નિર્માણમાં સહભાગી બનવા તત્પર છે એમ જાપાનના એમ્બેસેડર યુત ટાકેશી યાગીએ જણાવ્યું હતું.
મુખ્યમંત્રીની તાજેતરની જાપાન મૂલાકાતની સફળ ફલશ્રુતિના પગલે જાપાનની કંપનીઓ ગુજરાતમાં મૂડીરોકાણ, ઉદ્યોગવાણીજ્ય અને સાંસ્કૃતિક ક્ષેત્રોમાં ખૂબ જ વિસ્તૃત ફલક ઉપર સંબંધો વિકસાવી રહી છે તે અંગે સંતોષ વ્યક્ત કરતા મુખ્યમંત્રી અને જાપાનના રાજદૂતે દિલ્હીમુંબઇ ઇન્ડસ્ટ્રીઅલ કોરિડોર (DMIC) પ્રોજેકટ અંગે ભારત સરકાર, ગુજરાત સરકાર અને જાપાન દ્વારા સહભાગીદારીની વિશાળ સંભાવનાઓ અંગે પણ પરામર્શ કર્યો હતો. ગુજરાત આવેલા યુત ટાકેશીએ અમદાવાદ જનમાર્ગ અને સાબરમતી રિવરફ્રંટના વિકાસ પ્રોજેકટનું નિરીક્ષણ કરી તેની પ્રસંશા કરી હતી.
મુખ્યમંત્રી અને જાપાન રાજદૂત સાથેની આ સૌજ્ન્ય મૂલાકાત દરમિયાન ઉદ્યોગ અગ્ર સચિવ માહેશ્વર શાહુ, સામાન્ય વહીવટના અગ્ર સચિવ કે. નિવાસ, મુખ્યમંત્રીના સચિવ અરવિંદ શર્મા અને ગુજરાત સરકારના દિલ્હીના અગ્રનિવાસી કમિશ્નર ભરતલાલ ઉપસ્થિત હતા. જાપાન રાજદૂતાવાસના ઉચ્ચ અધિકારીઓએ પણ બેઠકમાં ભાગ લીધો હતો.