Kandla-Delhi flight : 26 ઓક્ટોબરથી સ્પાઇસ જેટની કંડલાથી દિલ્હીની ફ્લાઈટ શરૂ થશે
Kandla-Delhi flight : કચ્છ અને રાષ્ટ્રીય રાજધાની દિલ્હી વચ્ચેની હવાઈ કનેક્ટિવિટીમાં મોટો સુધારો થવા જઈ રહ્યો છે. સ્પાઇસજેટ એરલાઇન્સે (SpiceJet Airline) આગામી 26 ઓક્ટોબરથી કંડલા અને દિલ્હી વચ્ચે ફરીથી સીધી ફ્લાઈટ સેવા શરૂ કરવાની જાહેરાત કરી છે.
સ્પાઇસજેટ એરલાઇન હાલમાં માર્ચ મહિના સુધી આ રૂટ પર અઠવાડિયામાં પાંચ દિવસ ફ્લાઈટનું સંચાલન કરશે. આ સેવા મંગળવાર, બુધવાર, ગુરુવાર, શનિવાર અને રવિવારના રોજ ઉપલબ્ધ રહેશે. મુસાફરોની સુવિધા માટે ફ્લાઈટનું સમયપત્રક નીચે મુજબ રહેશે.

- દિલ્હીથી કંડલા (SG 2952) : ફ્લાઈટ દિલ્હીથી સવારે 7:40 વાગ્યે ઉપડશે અને કંડલા એરપોર્ટ પર સવારે 9:55 વાગ્યે પહોંચશે.
- કંડલાથી દિલ્હી (SG 2953) : પરત ફ્લાઈટ કંડલાથી સવારે 10:25 વાગ્યે ટેક-ઓફ કરશે અને બપોરે 12:25 વાગ્યે દિલ્હી પહોંચશે.
અગાઉ પણ કંડલાથી દિલ્હી માટે ફ્લાઈટ સેવા શરૂ કરવામાં આવી હતી, પરંતુ વારંવાર રદ અને અનિયમિતતાને કારણે આખરે બંધ કરવામાં આવી હતી. આનાથી સ્થાનિક વેપારી સમુદાય અને મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
લાંબા સમયથી પ્રવાસીઓ અને ઉદ્યોગ જગત તરફથી આ રૂટ ફરી શરૂ કરવાની સતત માંગ હતી, જેને હવે સ્પાઇસજેટે સ્વીકારી છે.
હાલમાં કંડલા એરપોર્ટ (Kandla Airport) પર માત્ર મુંબઈ માટે જ એક ફ્લાઈટ કાર્યરત છે. ભૂતકાળમાં અહીં મુંબઈ માટે બે અને દિલ્હી તેમજ અમદાવાદ માટે એક-એક ફ્લાઈટ હતી.
દિલ્હીની આ નવી સેવા શરૂ થવાથી કચ્છ, કંડલા, અને આસપાસના વિસ્તારોના લોકોને દેશની રાજધાની સાથે સીધું જોડાણ મળશે, જેનાથી મુસાફરી વધુ સરળ અને ઝડપી બનશે.
આ નવી ફ્લાઈટ માત્ર કચ્છના વેપારી સમુદાય (Kutch Business Community) માટે જ નહીં, પરંતુ સમગ્ર પ્રદેશના હવાઈ કનેક્ટિવિટી અને પ્રવાસનને પણ વેગ આપશે.












Click it and Unblock the Notifications
