નર્મદા ડેમ છલાવાની આરે, જાણો રાજ્યમાં કેવો રહેશે વરસાદનો હાલ
હવામાન ખાતાએ આજે ગુજરાતભરમાં ભારે વરસાદની આગાહી કરી છે. લો પ્રેશરના કારણે ગુરુવારે રાજ્યનાં સૌરાષ્ટ્ર, કચ્છ અને દીવ જેવાં વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. શુક્રવારથી રવિવાર દરમિયાન રાજ્યમાં મધ્યમથી હળવો વરસાદ પડવાની સંભાવના હવામાન વિભાગે કરી છે. અમદાવાદમાં આગામી 24 કલાક દરમિયાન વરસાદનું જોર યથાવત રહેવાની સાથે મધ્યમ વરસાદ પડી શકે છે.
જો કે ધોધમાર વરસાદ પડતાં લોકોને અકળાવનારી ગરમીમાંથી રાહત મળી હતી. મધ્યપ્રદેશ અને તેની આસપાસનાં વિસ્તારમાં સર્જાયેલા લો-પ્રેશર અને અપર એર સાયક્લોનીક સરક્યુલેશનની અસરોને કારણે આગામી 24 કલાકમાં સમગ્ર રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની વકી હવામાન વિભાગે વ્યકત કરી છે. ત્યારે રાજ્યભરમાં વરસાદની સ્થિતિ વિષે વધુ જાણો અહીં...
મહેસાણામાં મન મૂકી વર્ષ્યો
અત્યાર સુધી કોરા રહેલા મહેસાણામાં પણ વરસાદ મન મૂકીને વરસ્યો હતો અને આશરે મહેસાણામાં 5 ઇંચ તો ઉંઝામાં 4થી સાડાચાર ઇંચ અને પ્રાંતિજમાં 31 ઇંચ વરસાદ પડ્યો હતો.
નર્મદા ડેમ 9 દિવસમાં છલકાશે
રાજ્યના મંત્રી નીતિન પટેલે ગાંધીનગર ખાતે જણાવ્યું હતું કે ઉપરવાસમાં પડેલા વ્યાપક વરસાદને કારણે પાણીની આવક થવાની શરૂઆત થઈ છે અને રાજ્યની જીવાદોરી સમાન નર્મદા ડેમ 9 દિવસમાં ઓવરફ્લો થવાની શક્યતા છે.
નર્મદા ડેમ
હાલ ડેમમાં ઉપરવાસમાંથી 88 હજાર ક્સુસેક પાણીની આવક છે. જેની સામે 33,154 ક્સુસેક પાણી નદીમાં છોડાય છે અને 12, 500 ક્સુસેક પાણી નર્મદાની મુખ્ય કેનાલમાં છોડાયા છે. એટલે કે 43 હજાર ક્યુસેક પાણીની આવક હાલ ડેમમાં છે, જે જોતા 9 દિવસમાં ડેમ ઓવરફ્લો થઈ થશે.
છોટા ઉદેપુરની નદી થઇ બે કાંઠે
મધ્યપ્રદેશના ઉપરવાસના ભારે વરસલાદને પગલે છોટા ઉદેપુર પંચમહાલની ઓરસંગ તેમજ ઉચ્છ નદી બેંકાંઠે વહી ઉઠી હતી. તેમજ સતત વરસાદ ચાલુ રહેતા પ્રજાને પીવાના પાણીની રાહત થઈ હતી. છોટાઉદેપુર જિલ્લામાંથી પસાર થતી ઓરસંગ અને ઉચ્છ નદીઓ બે કાંઠે થઇ જવા પામી છે.જયારે સંખેડા ખાતે આવેલો જોજવા આડબંધ ઓવરફલો થયો હતો.
ખેડૂતો ખુશ
જબુગામ પંથકમાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદ ધીમી તેમજ ધોધમાર ગતિએ સતત ચાલુ રહેતા જગતનો તાત આનંદમાં છે. ગઈ રાતથી મુશળધાર વરસાદ પડતા બોડેલી સહિત પૂર્વપટ્ટી વિસ્તારમાં ઓરસંગ હેરણ નદી ઉપરાંત નાળાઓ છલકાયા હતા. જે આજે પણ ચાલુ રહેતા ખેડૂતો હરખાયા છે.