કેજરીવાલે સહપરિવાર સાથે કર્યા સોમનાથ દાદાના દર્શન
દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ સહપરિવાર સાથે ગુજરાતના પ્રસિદ્ધ મંદિર સોમનાથમાં જઇને સોમનાથદાદાના દર્શન કર્યા હતા. નોંધનીય છે કે શનિવારે સવારે દિલ્હીથી રાજકોટ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા. જ્યાં આપના કાર્યકરો જે સવારથી જ કેજરીવાલની કાગ ડોળે રાહ જોઇ રહ્યા હતા તેમણે કેજરીવાલનું ભવ્ય સ્વાગત કર્યું હતું. રાજકોટથી તે સોમનાથ દર્શન કરવા માટે રવાના થઇ ગયા હતા. સાથે કેજરીવાલે તેમના પરિવાર સાથે કાઠિયાવાડી કડક ચાની પણ મજા માણી હતી.
જો કે શાપર પાસેના તેમના આ રોકાણ પર વખતે તેમણે ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પર નિશાન સાંધ્યું હતું તેમણે મીડિયાને કહ્યું કે "સીએમએ સુરતની મુલાકાત કેન્સલ કરાવી હતી" અને કહ્યું હતું કે લોકતંત્રમાં આવું કેવી રીતે ચાલે! જો કે અરવિંદ કેજરીવાલ તેમના આ પ્રવાસને ધાર્મિક પ્રવાસ વધુ અને રાજકીય પ્રવાસ ઓછો ગણાવી રહ્યા છે.
વધુમાં તે જૂનાગઢ અને સોમનાથના ખેડૂતોને મળી તેમની સાથે પણ જનસંવાદ કરશે. સાથે જ સદ્દભાવના ગ્રાઉન્ડ પર જઇને સંબોધન પણ કરશે. ત્યારે અરવિંદ કેજરીવાલનો આજના દિવસનો કાર્યક્રમ શું છે અને કેવી રીતે ગુજરાતનું રાજકારણ આ અંગે પ્રતિક્રિયા આપી રહ્યું છે તે વિષે વધુ જાણો નીચેના આ ફોટોસ્લાઇડરમાં...
2017ની ચૂંટણી
નોંધનીય છે કે અરવિંદ કેજરીવાલની આ "ધાર્મિક યાત્રા"ની પાછળ 2017ની ચૂંટણી મુખ્ય નિશાન છે તે વાત તો બધા જ જાણે અને આ જ કારણે અરવિંદ કેજરીવાલની ગુજરાતની આ એન્ટ્રીએ ગુજરાતના રાજકારણને ગરમાવી દીધું છે.
કેજરીવાલ પરિવાર સમેત હાજર!
જો કે અરવિંદ કેજરીવાલ તેમના પિતા ગોવિંદ કેજરીવાલ, માતા ગીતાદેવી અને પત્ની સુનિતા સાથે સોમનાથ ભગવાનના દર્શન માટે આવ્યા છે. કેજરીવાલની પત્ની પણ આ યાત્રાને ધાર્મિક યાત્રા જ કહી છે. અને જાણાવ્યું છે કે સોમનાથનું બહુ નામ સાંભળ્યું છે માટે જ દર્શન કરવા આવ્યા છીએ.
કેજરીવાલ અને...
જો કે અરવિંદ કેજરીવાલની સાથે દિલ્હીના ઉપ મુખ્યમંત્રી મનિષ સિસોદીયા અને આપ નેતા કુમાર વિશ્વાસ પણ આ યાત્રામાં તેમની સાથે જોડાયા છે.
સોશ્યલ મીડિયા પર ટ્રેન્ડ
છેલ્લા બે દિવસથી ટ્વિટર પર કેજરીવાલ ઇન ગુજરાતનો ટ્રેન્ડમાં ચાલે છે. સાથે જ સોશ્યલ મીડિયા પર પણ કેજરીવાલની ગુજરાત એન્ટ્રી સાથે જ એક યુદ્ધ છેડાઇ ગયું છે જ્યાં કેટલાક લોકો કેજરીવાલની આ યાત્રાને આવકારી રહ્યા છે તો ક્યાંક લોકો તેનો વિરોધ કરી રહ્યા છે.
ગુજરાત આપમાં ઉત્સાહ
તો બીજી તરફ ગુજરાતમાં જે આપ સર્મથકો અને કાર્યકરો છે તે આજે સવારથી જ મોટી સંખ્યામાં રાજકોટ પહોંચી ઉત્સાહભેર અરવિંદ કેજરીવાલનું સ્વાગત કર્યું હતું. રસ્તા પર પણ અનેક આપ સમર્થકો બેનર સાથે કેજરીવાલના સ્વાગત માટે ઊભા જોવા મળ્યા હતા.
બધાને એન્ટ્રી પણ આ વખતે નહીં!
સામાન્ય રીતે ગુજરાતમાં રાષ્ટ્રપતિ કે અન્ય કોઇ મોટા નેતા સોમનાથ મંદિરની મુલાકાત કરવા આવે છે ત્યારે મીડિયાને સ્પેશ્યલ એન્ટ્રી, કવરેજ માટે આપવામાં આવે છે. જો કે આ વખતે સોમનાથ મંદિરએ મીડિયા કવરેજ પર પ્રતિબંધ મૂક્યો છે.
સોમનાથ ટ્રસ્ટનું શું કહેવું છે?
જો કે સોમનાથ મંદિરના સંચાલકોનું કહેવું છે કે હાલ જે રીતે આંતકી હુમલાની ધમકી મળી રહી છે તે જોતા મંદિરને ઝેડ પ્લસ સુરક્ષા આપવામાં આવી છે અને અરવિંદ કેજરીવાલને પણ ઝેડ પ્લસ સુરક્ષા અપાઇ છે. ત્યારે સુરક્ષા કારણોને જોતા મીડિયાનો પ્રવેશ બંધ રાખવામાં આવ્યો છે. પણ પાછળથી મીડિયાને ફોટો આપવામાં આવશે.
વિરોધ
જો કે સોમનાથ મંદિરમાં મીડિયાના પ્રતિબંધને આમ આદમી પાર્ટીના સમર્થકો અમીત શાહ જેવા મંદિરના ટ્રસ્ટીઓની ચાલ જણાવીને તેનો વિરોધ કર્યો છે.
કેજરીવાલનો કાર્યક્રમ
અરવિંદ કેજરીવાલ આજે બપોરે 1 વાગ્યા જેવા સોમનાથ મંદિરમાં પહોંચશે. જ્યાં તે સહપરિવાર દર્શન કરશે. જે બાદ પરંપરા મુજબ મંદિરમાં ધ્વજારોહણ કરશે. જે બાદ તે સદ્દભાવના ગ્રાઉન્ડ ખાતે લોકોને સંબોધન કરશે.
ખેડૂતો સાથે મુલાકાત
પછી કેજરીવાલ સોમનાથ, જૂનાગઢના ખેડૂતો સાથે જનસંવાદ કરશે. અને અહીંના લોકોના પ્રશ્નોને સાંભળશે.
ભાજપની પ્રતિક્રિયા
જો કે શુક્રવારે ગુજરાત આવેલા રાજ્યમંત્રી મનસુખ માંડવિયાએ કેજરીવાલની આ મુલાકાત અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે "દેશમાં લોકશાહી છે જેને જ્યાં ફરવું હોય ફરે" જો કે કેજરીવાલની આ મુલાકાતની ગુજરાતના રાજકારણ પર કોઇ અસર નથી થાય તેવો મત તેમણે રજૂ કર્યો હતો.
ગુજરાત ભાજપની પ્રતિક્રિયા
તો બીજી તરફ ભાજપના પ્રવક્તા ભરત પંડ્યાએ આ અંગે કહ્યું હતું કે "દિલ્હીના વાયદા તો નીભાવી નથી શક્યા ગુજરાત તો એક બહાનું છે." તેમણે કહ્યું કે કેજરીવાલ એટલા માટે ગુજરાત આવી રહ્યા છે જેથી કરીને તે લોકોનું ધ્યાન દિલ્હીમાં પ્રશ્નોના બદલે બીજી કોઇ જગ્યા કેન્દ્રિત કરી શકે.
એક સાથે બે નિશાન
ત્યારે જે પણ કહો પણ અરવિંદ કેજરીવાલની આ "ધાર્મિક કૂટનીતિ"એ ગુજરાત રાજકારણ અને 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડકારોમાં, "બળતી આગમાં ધી રેડવા" જેવું કામ કરવાના છે.
કેજરીવાલે સહપરિવાર કર્યા સોમનાથ દાદાના દર્શન
દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે, સહપરિવાર સાથે સોમનાથ ભગવાન પૂજા કરીને જળાભિષેક કર્યો હતો. આ સમયે આપ પાર્ટીના સમર્થકો આપની ટોપી પહેરીને મંદિરના પ્રાંગણમાં ઉપસ્થિત રહ્યા હતા. દર્શન કર્યા બાદ કેજરીવાલે જણાવ્યું હતું કે આ સ્વ્યંભૂ શિવલિંગના દર્શન કરીને તેમને ઘણી શાંતિ અનુભવી છે. સાથે જ અરવિંદ કેજરીવાલે ભાલકા તીર્થના દર્શન પણ કર્યા હતા.