ગુજરાતમાં સસ્તા અનાજની દુકાનોમાં લેપટોપ અને પ્રિન્ટર અપાશે
વલસાડ, 26 જૂન : ગુજરાત રાજ્યમાં આત્યાધુનિક ટેકનોલોજીના ઉપયોગથી સરકારી કામકાજને વધારે સરળ બનાવવાની દિશામાં પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. તે દિશામાં ગુજરાત સરકાર આગળ વધીને રાજ્યની સસ્તા અનાજની દુકાનોમાં લેપટોપ અને પ્રિન્ટર આપવા વિચારી રહી છે.
આ અંગેની માહિતી વલસાડ જિલ્લાના કલેક્ટર ડૉ. વિક્રાંત પાંડેએ આપી હતી. તેમણે જણાવ્યું છે કે ગ્રામ્ય ક્ક્ષાએ કાર્યરત ઇ ગ્રામ ખાતેથી રેશનકાર્ડ ધારકોને ઇ ફૂડ કૂપન મેળવવામાં પડતી મુશ્કેલીને ધ્યાનમાં લઇને જ્યાં ઇ ગ્રામની સગવડ નથી તેવા ગામોની સસ્તા અનાજની દુકાનોને બાજપાઇ બેંકેબલ યોજના હેઠળ લેપટોપ અને પિ્રન્ટર સહિતના સાધનો ઉપલબ્ધ કરાવી, રેશનકાર્ડ ધારકોને ઇ ફૂડ કૂપન મેળવવામાં કોઇપણ પ્રકારની મુશ્કેલી ન પડે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવશે.
તેમણે જણાવ્યું કે વલસાડ જિલ્લામાં પુરવઠા વિભાગ દ્વારા જિલ્લામાં કુલ 2 લાખ, 63 હજાર, 531 રેશનકાર્ડ ધારકોને વિતરણ કરાતા અનાજ, કેરોસીન વગેરે બાબતે જરૂરી સમીક્ષા હાથ ધરવામાં આવી છે. આ સમીક્ષાના અંતે જાણવા મળ્યું છે કે સમગ્ર ગુજરાત રાજ્યમાં અનાજના જથ્થાની ફાળવણી માટેની ઇ ફૂડ કૂપનની કામગીરીમાં વલસાડ જિલ્લાનો સાતમો નંબર છે.
આ ઉપરાંત નવા તૈયાર કરાયેલા બારકૉડેડ રેશનકાર્ડમાં નામમાં થયેલી ક્ષતિ દૂર કરવા માટે કાર્યવાહી પુરવઠા વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી હોવાનું તથા આ સિવાય જિલ્લામાં જો આવી ક્ષતિના કેસો ધ્યાન પર આવશે, તો જરૂર પડયે વિશેષ કેમ્પનું આયોજન કરીને પણ તે દૂર કરાશે તેમ જણાવ્યું હતું.
કલેક્ટરે રેશનકાર્ડના વિભાજન અંગેની પદ્ધતિ વર્ણવી, તાલુકા સ્તરની તાલુકા પુરવઠા સલાહકાર સમિતિ અને સસ્તા અનાજના દુકાનદારો સાથેની માસિક બેઠકોમાં પણ, સ્થાનિક પદાધિકારીઓને ઉપસ્થિત રાખવા, પુરવઠા વિભાગને સૂચન કર્યું હતું.