લેઉવા પટેલ ફેક્ટર : ભાજપમાં કેશુબાપાની ખોટ નરહરિ અમીન પૂરી કરશે?
કોંગ્રેસમાં બીજા તબક્કાની ટિકીટ ફાળવણીની કવાયત દરમિયાન 29 નવેમ્બર, 2012થી નરહરિ અમીનની નારાજગી સપાટી પર આવી હતી. આ વખતે કોંગ્રેસ દ્વારા ગુજરાત વિધાનસભા ચૂંટણી 2012ના બંને તબક્કા પૈકી એક પણ વિધાનસભા મતવિસ્તાર માટે નરહરિ અમીનને ટિકીટ ફાળવવામાં આવી ન હતી. આ કારણે નારાજ અમીન 4 ડિસેમ્બર, 2012ના રોજ કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદ સહિતના તમામ હોદ્દાઓ પરથી રાજીનામુ આપ્યું હતું.
નાટકીય એપિસોડમાં રાજીનામુ આપ્યાના બે દિવસ પહેલા એટલે કે 2 ડિસેમ્બર, 2012ના રોજ નરહરિ અમીને એસ જી હાઇવે પર આવેલા પોતાના ફાર્મ હાઉસમાં કોંગ્રેસના અસંતુષ્ટોની સભા યોજી હતી. જેમાં કાર્યકરો, આગેવાનો અને સમર્થકો સાથે ચર્ચા કરીને તેમણે જાહેરાત કરી હતી કે તેઓ ગુજરાતમાં કોંગ્રેસને જીતાડવા માટે કામ નહીં કરે. ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનાવવાની જરૂર નથી. જે લોકોએ કોંગ્રેસના વફાદાર કાર્યકર્તા અને આગેવાનોને અવગણીને તેમનું અપમાન કર્યું છે, તેમને જીતાડવાનો પ્રયત્ન અમે નહીં કરીએ.
નરહરિ અમીનનો કોંગ્રેસને ગુજરાતમાં નહીં જીતાડવાના હુંકારનો બીજો અર્થ એમ પણ કરી શકાય કે તેઓ કોંગ્રસને હરાવશે. કોંગ્રેસ હારે તો પણ ભાજપની જીત મજબૂત બને. આ ઉપરાંત નરહરિ અમીન ભાજપમાં જોડાય તો પણ કોંગ્રેસની હાર અને ભાજપની જીત નજીક દેખાય. હાર-જીતના સમીકરણ પણ અસર ત્યારે જ શક્ય બની શકે જ્યારે નરહરિ અમીનમાં વાસ્તવિક રીતે અસર કરવાની ક્ષમતા રહી હોય. ક્ષમતાની વાત કરીએ ત્યારે નરહરિ પાસે કોનું કેટલું સમર્થન છે તેની ચર્ચા કરવી પડે. આ ચર્ચામાં ગુજરાતમાં મહત્વના ગણાતા લેઉવા પટેલ અને કડવા પટેલ પરિબળની ચર્ચા કરવી જ પડે.
આ દ્રષ્ટિએ જોઇએ તો ભાજપમાં જ્યાં સુધી કેશુભાઇ પટેલ હતા ત્યાં સુધી તેમને લેઉવા પટેલોનું સમર્થન મળતું રહ્યું હતું. ભાજપ અને ખાસ કરીને નરેન્દ્ર મોદીની સામ, દામ, દંડ અને ભેદની નીતિનો ભોગ બન્યા બાદ કેશુબાપાની નરેન્દ્ર મોદીની સાથે ભાજપ સાથેના સંબંધોમાં પણ ખારાશ વધતી ચાલી હતી. આ કારણે ગુજરાત વિધાનસભા ચૂંટણી 2012ની ચૂંટણીના પડઘમ વાગ્યા ત્યારે ફરી એક વાર રાજકીય સક્રિયતા બતાવીને કેશુભાઇએ પટેલ બંધુ ગોરધન ઝડફિયા સાથે ગુજરાત પરિવર્તન પાર્ટી (જીપીપી)ની રચના કરી ભાજપ સામે જંગ છેડ્યો છે.
કેશુભાઇએ પટેલ બહુમતી ધરાવતા વિસ્તારોમાં પોતાનું શક્તિપ્રદર્શન કર્યું છે. તેમણે જણાવ્યું છે કે આ વખતની ચૂંટણીમાં લેઉવા પટેલ ભાજપના કમળને કચડવા માટે જીપીપીના બેટની મદદ લેશે. કેશુભાઇની ધોષણાથી ભાજપ અંદરખાને ચિંતિત બન્યું છે અને કેશુબાપાના ફેક્ટરની અસર કરવા દોડધામ કરી છે. આવા સમયે કોંગ્રસમાંથી બળવો પોકારીને નીકળેલા નરહરિ અમીનમાં ભાજપને સહારો દેખાઇ રહ્યો છે. આ કારણે જ નરહરિ અમીને નારાજગી વ્યક્ત કરી એ સાથે જ ભાજપે તેમને પક્ષમાં જોડાવા આમંત્રણ મોકલી દીધું હતું અને તેમની ઇચ્છા હોય તો સાબરમતી બેઠક પર ટિકીટ આપવાની ઓફર પણ મૂકી દીધી હતી.
ભાજપ જાણે છે કે નરહરિ અમીન ભલે છેલ્લી બે ચૂંટણીઓમાં સતત હારતા આવ્યા છે. આમ છતાં, લેઉવા પટેલના અગ્રણી તરીકે તેમના સમર્થકો આજે પણ તેમના એક અવાજે કામ કરવા સક્ષમ છે. નરહરિ અમીન વર્ષ 2002માં સાબરમતી બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા જેમાં ભાજપના ઉમેદવાર ડૉ. જીતુ પટેલ સામે 59,190 મતોથી હારી ગયા હતા. વર્ષ 2007ની વિધાનસભા બેઠકમાં તેઓ માતરથી ચૂંટણી લડ્યા અને કોંગ્રેસના બળવાખોર દેવસિંહ ચૌહાણ સામે 7,799 મતોથી હારી ગયા હતા.
રાજકીય સ્તરે બેઠકવાર નજર કરીએ તો સૌરાષ્ટ્રની 48 બેઠકોમાંથી 33 બેઠકોમાં લેઉવા પટેલોનું વર્ચસ્વ છે. ગુજરાતમાં પટેલ પરિબળમાં કડવા પટેલ અને લેઉવા પટેલ પરિબળની ગણતરી કરીએ તો ભાજપ પાસે હાલ કડવા અને લેઉવા બંને પ્રકારના પટેલ ઉમેદવારો છે પણ લેઉવા પટેલ ઉમેદવારોની સંખ્યા ઓછી છે. જેમાં આનંદીબહેન પટેલ (લેઉવા), સૌરભ પટેલ (કડવા), નરોત્તમ પટેલ (કડવા)નો સમાવેશ થાય છે. આ સમીકરને સમાન કરવા માટે નરહરિ અમીનને લેવામાં આવે તો બંને સંખ્યા બરાબર થઇ શકે છે. આ કારણે લેઉવા પટેલોનું વર્સસ્વ ધરાવતી બેઠકોમાં ભાજપને ફાયદો થઇ શકે એમ છે.
હવે જોવાનું એ રહે છે કે ગુજરાતની પ્રજા ખાસ કરીને મહાજાતિ પાટીદાર કોના પક્ષમાં પોતાના મતો આપે છે અને કોને વિજયી બનાવે છે. આ વખતીન ચૂંટણીમાં પટેલ ફેક્ટર પર અસર ઉપજાવવાનો દાવો કરનારા અનેક પટેલ આગેવાનોનું પાણી મપાઇ જશે એમાં શંકાને સ્થાન નથી.
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2012 સંબંધિત સમાચારો માટે અહીં ક્લિક કરો.