Exit Poll : ગુજરાતમાં મોદીની આંધી સામે કોણ-કોણ ટકી શકશે?
અમદાવાદ, 12 મે : દેશમાં લોકસભા ચૂંટણી 2014 માટે તમામ તબક્કાઓનું મતદાન પૂર્ણ થતાં જ એક્ઝિટ પોલની વણઝાર લાગી ગઈ છે અને આ એક્ઝિટ પોલ મુજબ દેશમાં આગામી સરકાર નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ બનવા જઈ રહી છે. મોદીના નેતૃત્વ હેઠળ ભાજપ અને તેના સાથી પક્ષો એટલે કે એનડીએને બહુમતીને લાયક 272 બેઠકો મળી જશે.
એનડીએને મળનારી આ બહુમતીમાં ગુજરાતનો ફાળો કેટલો? એક્ઝિટ પોલના તારણો મુજબ ગુજરાતમાં ભાજપને 23થી લઈ 26 બેઠકો મળી શકે છે અને કોંગ્રેસને 0થી 3 બેઠકો મળવાની શક્યતા બતાવાઈ છે. ગુજરાતમાં કુલ 26 બેઠકો છે અને 2009માં ભાજપને 15 તથા કોંગ્રેસને 11 બેઠકો મળી હતી.
ચાલો જોઇએ એક્ઝિટ પોલના તારણો :

આજ તક
આજે જાહેર થયેલ તમામ એક્ઝિટ પોલ મુજબ ગુજરાતમાં નરેન્દ્ર મોદીની આંધી છે. આજ તક અને સિસેરોના એક્ઝિટ પોલે ભાજપને 24થી 26 બેઠકો આપી છે, તો કોંગ્રેસને 0-2 બેઠકો જ મળી શકે છે.

ન્યુઝ 24
ન્યુઝ 24 અને ચાણક્યના એક્ઝિટ પોલ મુજબ ભાજપને 23-26 અને કોંગ્રેસને 0-3 બેઠકો મળવાની શક્યતા છે.

એબીપી ન્યુઝ
એબીપી ન્યુઝ અને નીલ્સનના સર્વે મુજબ ગુજરાતમાં ભાજપને 24 તથા કોંગ્રેસને 2 બેઠકો મળવાની શક્યતાં છે.

ઇંડિયા ટીવી
ઇંડિયા ટીવી અને સી વોટરના એક્ઝિટ પોલે ગુજરાતમાં ભાજપને 22 તથા કોંગ્રેસને 4 બેઠકો મળવાની શક્યતા દર્શાવી છે.

કોના પગ ઉખડશે
ગુજરાતમાં કોંગ્રેસના 11 વર્તમાન સાંસદો છે અને તેમાં દિનશા પટેલ, ભરતસિંહ સોલંકી, તુષાર ચૌધરી જેવા મહત્વના નેતાઓનો સમાવેશ થાય છે, તો ગત વખતે હારેલા શંકરસિંહ વાઘેલા પણ ચૂંટણીના મેદાનમાં છે. મોદીની આંધીમાં કોના-કોના પગ ઉખડશે? તે તો 16મી મેના રોજ જ જાણ થશે.












Click it and Unblock the Notifications
