હર્ષોલ્લાસ સાથે સમગ્ર ગુજરાતમાં કૃષ્ણજન્મ જન્માષ્ટમીની ઉજવણી
દ્વારકા/ડાકોર, 18 ઓગસ્ટ : આ રવિવારે 17 ઓગસ્ટના રોજ જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે ગુજરાતની દેવભૂમિ દ્વારકા નગરી અને ડાકોર નગરી કૃષ્ણમય બની ગઈ હતી. ભગવાન કૃષ્ણના જન્મની રાહ જોતા ભક્તજનોએ નંદ ઘેર આનંદ ભયો જય કનૈયાલાલ ના નાદ સાથે વાતાવરણ ભકિતમય બનાવી હતું.
આ પ્રસંગે દ્વારકા અને ડાકોરના નીજીમંદિરને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યું છે. ઉપરાંત દ્વારકાની તમામ શેરીઓને પણ શણગારવામાં આવી હતી. પરોઢિયે મંગળા આરતીથી લઈને ભગવાન શ્રી કૃષ્ણના જન્મટાણે ભાવિક ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર અંદાજે દોઢ લાખ જેટલા ભાવિકોએ દ્વારકામાં કૃષ્ણ જન્મના દર્શન કરીને પાવન અનુભૂતિ મેળવી હતી. તેવી જ રીતે ડાકોરના ઠાકોર શ્રીકૃષ્ણના જન્મના વધામણા પણ ભક્તોએ અતિ ઉત્સાહથી કર્યા હતા.
રવિવારે ભગવાનના શ્રૃંગાર માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભગવાન માટે સોનાનો મુગટ જયપુરના પ્રસિધ્ધ સુવર્ણકારો પાસે તૈયાર કરાયો હતો તેમજ ભગવાનના વસ્ત્રો વૃંદાવનના કુશળ કારીગરો દ્વારા તૈયાર કરાવ્યા હતા જ્યારે હીરા-મોતીની માળાઓ અમદાવાદના કારીગરો દ્વારા તૈયાર કરવામાં આવી હતી.
દ્વારકા નગરીમાં રહેતા તમામ લોકોએ પોતાના ખર્ચે પોતાના મકાનોને રંગબેરંગી રોશનીથી શણગાર્યા છે. રવિવારે સાંજે મંદિરના ચોકમાં ગ્રામીણ મહિલાઓ દ્વારા રાસ-ગરબાનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. રાત્રે 10 વાગ્યાથી જ મંદિરની બહાર ભાવિકોની લાંબી લાઈનો લાગી ગઈ હતી અને રાત્રે 12 વાગ્યાની શુભ ઘડી માટે ભાવિકો ધૂનમાં મગ્ન થયા હતા. કૃષ્ણજન્મ થતાં જ સૌએ એકબીજાને વધામણા આપીને આનંદ વ્યક્ત કર્યો હતો અને નંદ ઘેર આનંદ ભયોના નારા પોકાર્યા હતા.

દેવભૂમિ દ્વારકામાં કૃષ્ણ જન્માષ્ટમીના સવિશેષ મહત્વને પગલે મોટી સંખ્યામાં ભક્તો ઊમટી પડયા હતા. ભાવિકોના ધસારાને લઈને કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને પૂરતી વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ, એસઆરપીનો પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. દરેક ભાવિકોને મેટલ ડિટેકટરથી તપાસ્યા બાદ જ મંદિરમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો.












Click it and Unblock the Notifications
