LRD ભરતી વિવાદ આંદોલનનો આખરે અંતઃ અસલી નાયક હસમુખ સક્સેનાનું આંદોલન યથાવત
LRD ભરતી વિવાદ આંદોલનનો આખરે અંત આવ્યો છે પરંતુ અસલી નાયક હસમુખ સક્સેનાનું આંદોલન યથાવત છે.
રાજ્ય સરકારના એક અણઘડ અને અવિચારી પરિપત્રના કારણે રાજ્યના સેંકડો ગરીબ પરિવારની દિકરીઓને નોકરીથી વંચિત કરી દેવામાં આવી. આ વિવાદી પરિપત્ર એટલે 1/8નો સરકારી ભરતીમાં મહિલા અનામત અંગે સામાન્ય વહિવટ વિભાગનો પરિપત્ર. આ પરિપત્રના કારણે લોકરક્ષક દળની ભરતીમાં ગરીબ પરિવારની અનેક દિકરીઓને નોકરીથી વંચિત રહેવાનો વારો આવે તેવી નોબત સર્જાઇ. બિન અનામત વર્ગની મહિલાઓ અસંવિધાનિક પરિપત્રના કારણે નીચા મેરિટ છતાં પસંદગી પામી જ્યારે, અનામત વર્ગની મહિલાઓ ઉંચા મેરીટમાં હોવા છતાં પસંદગી પામી શકી નહી. સરકારના આ પરિપત્ર વિરુદ્ધ એસસી, એસટી અને ઓબીસી સમુદાયની ઉંચા મેરિટ હોવા છતાં નાપસંદ થયેલ મહિલાઓએ ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે અનિશ્ચિતકાલિન આંદોલનનું રણશીગું ફૂક્યૂ. પીડિત મહિલાઓની વ્હારે આવ્યા સામાજિક આગેવાન હસમુખ સક્સેના.
મહિલાઓ સતત 72 દિવસ સુધી ધરણાં અને આંદોલન પર ઉતરી
બંધારણીય અધિકાર આંદોલન સમિતિ થકી મહિલાઓ સતત 72 દિવસ સુધી ધરણાં અને આંદોલન પર ઉતરી. જાહેર રસ્તાઓ પર રાતવાસો ગુજાર્યો. અપાર જનસમર્થન આપનાર ગુજરાતીઓની બેન દિકરીઓને જાહેર રસ્તા પર 72 દિવસ સુધી સરકારની ઉંઘ ઉડાવવા આંદોલન કર્યુ. આ આંદોલનમાં અનેક રાજકીય અને સામાજિક સંગઠનો પણ જોડાયા. પરંતું, સરકારે નરમ વલણ ન અપનાવતાં હસમુખ સક્સેના આંદોલનકારી મહિલાઓ સાથે આંમરણાંત ઉપવાસ પર ઉતર્યા. જેમાં, મહિલાઓએ એક મહિનાના ઉપવાસ કર્યા છે. આખરે, આ સમગ્ર મામલો કોર્ટ સુધી પણ પહોચ્યો હતો.
અસલી નાયક હસમુખ સક્સેના
સરકારના વિવાદી પરિપત્રના મુદ્દે સરકારને ભિંસમાં લેનાર અસલી નાયક હસમુખ સક્સેના રહ્યા છે. LRD ભરતીમાં વંચિત રહેનારી મહિલાઓના સમર્થનમાં પ્રથમ દિવસથી અડગ રહી અંત સુધી સરકારને ઝૂંકાવવાની ભૂમિકા અગ્રણી રહી છે. જ્યારે, મહિલાઓને સતત સહકાર અને માર્ગદર્શનની જરુર હતી ત્યારે, આ તેમણે સતત યોગ્ય માર્ગદર્શન પુરુ પાડ્યુ છે. તેમના અડગ વલણ અને મહિલાઓની જહેમતના કારણે સરકારે આખરે વચલો રસ્તો અપનાવી LRD ની ભરતીમાં આ વિવાદી પરિપત્ર ધ્યાને ન લેવાની જાહેરાત કરવી પડી છે. આખરે મહિલાઓની ગૃહમંત્રી સાથેની બેઠક બાદ LRD મહિલાઓનું આંદોલન સમેટાઇ ગયું છે. પરંતું, બંધારણીય અધિકાર આંદોલન સમિતિ જીઆર રદ્દ ન થાય ત્યાં સુધી આંદોલન યથાવત રહેશે તેમ જણાવ્યું છે.
હસમુખ સક્સેના સાથે વાતચિતમાં તેમણે જણાવ્યું હતુ કે, સરકારે જે ફોર્મુલા આપીને LRD મહિલાઓને ન્યાયની વાત કરી છે. તે પણ એક અન્યાય જ છે. અમારી માંગણી આ વિવાદી પરિપત્રને રદ્દ કરવાની છે. જ્યાં સુધી આ વિવાદીત જીઆર રદ્દ નહી કરવામાં આવે ત્યાં સુધી આમરણાંત ઉપવાસ ચાલુ રહેશે.
અનામત અને બિન અનામત વર્ગ વચ્ચે વર્ગવિગ્રહની પરિસ્થિતિ
જોકે, સરકારના એક વિવાદિત પરિપત્રના કારણે અનેક દિકરીઓને મુશ્કેલી સર્જાઇ. રાજ્યમાં અનામત અને બિન અનામત વર્ગ વચ્ચે વર્ગવિગ્રહની પરિસ્થિતિ પણ સર્જાઇ. આંતરિક રાજકીય હૂંસાતુસીમાં રાજ્યની શાંતિ અને સલામતિ પણ જોખમાતી નજર આવતાં આખરે, સરકારને પોતાની ભુલ પણ સમજાઇ જેના કારણે, સમાધાનકારી વલણ સ્વરૂપે LRD ભરતીમાં તમામ વર્ગની મહિલા બેઠકોની સંખ્યા વધારવાનો નિર્ણય કર્યો. પરંતું, હજું આંદોલનકારીઓ આ પરિપત્રને રદ્દ કરવાની માંગ સાથે આમરણાંત ઉપવાસ કરી રહ્યા છે. આંદોલનમાં મુખ્ય ભૂમિકા નિભાવનાર હસમુખ સક્સેના છેલ્લા 29 દિવસથી અનસન પર છે. ત્યારે, સરકાર ક્યારે, આ આંદોલનકારીઓ સાથે હકારાત્મક વલણ અપનાવી પરિપત્ર રદ્દ કરે છે તે જોવું રહ્યું.
આ પણ વાંચોઃ નિર્ભયા કેસઃ નવા ડેથ વોરન્ટ બાદ દોષિતોમાં ડર, વિનયે દીવાલ સાથે માથુ ભટકાડ્યુ