માણસાના ધારાસભ્ય અમિત ચૌધરી રંગેચંગે ભાજપમાં જોડાયા
માણસાના કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચૌધરી ભાજપમાં જોડાયા. આ કાર્યક્રમાં વિજય રૂપાણી અને જીતુ વાઘાણી ઉપસ્થિત રહ્યા હતા. આ અંગે વધુ વાંચો અહીં..
માણસના ધારાસભ્ય અમિત ચૌધરીએ મુખ્યમંત્રી અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીની હાજરીમા રંગેચંગે કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા હતા. અહીં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે, અમિતભાઇ ચૌધરી યુવા નેતા છે અને ભાજપમાં યુવાનો દ્વારા વિકાસના મંત્રને વેગવાન બનાવવામાં સહભાગી બનશે. આ પ્રસંગે અમિત ચૌધરીએ કહ્યું કે, વડીલો, કાર્યકર્તા અને ટેકેદારો સાથે ચર્ચા બાદ માણસા વિસ્તારના વિકાસ માટે વિકાસની વિચારધારા ધરાવતા પક્ષમાં જોડાવાનો નિર્ણય કર્યો છે. તો પ્રસંગે ઉપસ્થિત શંકર ચૌધરીએ અમિત ચૌધરી વિશે જણાવ્યું હતું કે, અમિતભાઇ ભાજપમાંથી વધુ જંગી બહુમતીથી જીતશે. રાજ્યકક્ષાના મંત્રીના આ નિવેદનથી અમિત ચૌધરીને ભાજપની ટિકિટ પાક્કી થઇ ગઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે.
અમિત ચૌધરીના ભાજપ પ્રવેશ સમયે માટી સંખ્યામાં તેમના સમર્થકો અને ભાજપનાં કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા. અમિત ચૌધરી શંકરસિંહ વાઘેલાની નજીક માનવામાં આવે છે. અમિતભાઈએ ભાજપમાં પ્રવેશ કરવા સાથે કોંગ્રેસના પંજામાંથી મુક્ત થઇને 73 જેટલા સ્થાનિક આગેવાનો અને 14 ગામના સરપંચોને સાથે લઇને કેસરિયો ખેસ પહેરી લીધો હતો. આ સાથે ખેડા જિલ્લામાંથી પણ માનસિંહ ચૌહાણ અને રામસિંહ ચૌહાણ, સાણંદમાં કરમશીભાઇ પટેલ અને તેજશ્રીબેન પટેલ, જામનગરમાં ધર્મેન્દ્રસિંહ જાડેજા, ગોધરામાં સી કે રાઉલજી સહિત અનેક આગેવાનો ભાજપમાં જોડાયા છે. તો બીજી તરફ કોંગ્રેસ દ્વારા આ કાર્યક્રમ અને અમિત ચૌધરીનો વિરોધ કરાયો હતો અને ચૌધરીના પોસ્ટરો પર કાળો કુચડો ફેરવવામાં આવ્યો હતો. વિરોધ કાર્યક્રમ માટે માણસા જઇ રહેલા જિલ્લા પ્રમુખ સહિત આગેવાનો અને કાર્યકરો મળી પોલીસે કુલ 33 લોકોની અટકાયત પણ કરી હતી.