મોઢેરાનુ સૂર્યમંદિર અને પાટણની રાણીની વાવ પર્યટકો માટે ખુલ્લા મૂકાયા
અનલૉક પ્રક્રિયા હેઠળ ધીમે ધીમે પર્યટન સ્થળો ફરીથી ખુલ્લા મૂકવામાં આવી રહ્યા છે.
અમદાવાદઃ સમગ્ર દેશમાં કોરોના મહામારીની બીજી લહેરે ખૂબ જ ભય ફેલાવ્યો. મોતની સંખ્યાના દૈનિક આંકડાઓએ લોકોની ઉંઘ ઉડાડી દીધી હતી. પરંતુ હાલમાં બીજી લહેરની અસર ધીમે ધીમે ઘટવા લાગી છે. કોરોના સંક્રમણના કેસો પણ સમગ્ર રાજ્યમાં ઘટવાના કારણે લૉકડાઉનના નિયમોમાં પણ રાજ્યભરમાં છૂટછાટ આપવામાં આવી રહી છે. અનલૉક પ્રક્રિયા હેઠળ ધીમે ધીમે પર્યટન સ્થળો ફરીથી ખુલ્લા મૂકવામાં આવી રહ્યા છે. આજે મહેસાણા આવેલ સુપ્રસિદ્ધ મોઢેરા સૂર્ય મંદિર અને પાટણની પ્રસિદ્ધ રાણીની વાવ પણ પર્યટકો માટે ખુલ્લી મૂકવામાં આવી છે.
મોઢેરા સૂર્ય મંદિર
મહેસાણા આવેલ મોઢેરાના પ્રસિદ્ધ સૂર્ય મંદિરની વાત કરીએ તો તે પણ પર્યટકો માટે ફરીથી ખુલ્લુ મૂકવામાં આવ્યુ છે જ્યાં ઑનલાઈન અને ઑફલાઈન બંને પ્રકારે ટિકિટ આપવાની વ્યવસ્થા છે. અહીં કોરોના ગાઈડલાઈન મુજબ માસ્ક અને સોશિયલ ડિસ્ટંસીંગ જળવાય તેનુ ધ્યાન રાખીને પર્યટકોને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે મોઢેરાનુ સૂર્ય મંદિર મહેસાણા જિલ્લાના મોઢેરા ગામમાં પુષ્પાપતિ નદીના કિનારે આવેલુ છે. તે વાસ્તુશિલ્પનો ઉત્કૃષ્ટ નમૂનો છે. તે ગુજરાતના મુખ્ય પર્યટન સ્થળોમાંનુ એક છે. આ મંદિરને એ રીતે બનાવવામાં આવ્યુ છે જેથી સૂર્યોદયથી લઈને સૂર્યાસ્ત સુધી સૂર્યના કિરણો આ મંદિર પર રહે છે. કહેવાય છે કે રાવણના વધ પછી બ્રહ્મ હત્યાથી મુક્તિ માટે ભગવાન રામ ધર્મરણ્ય આવીને અહીં વ્રત, હવન અને પૂજા-પાઠ કર્યા અને એક નગર વસાવ્યુ જેનુ નામ મોઢેરા રાખવામાં આવ્યુ અને જ્યાં હવન કર્યો ત્યાં સૂર્ય મંદિર બનાવવામાં આવ્યુ.
રાણીની વાવ, પાટણ
તમને જણાવી દઈએ કે કોરોના મહામારીની બીજી લહેરની ગંભીર અસરોને જોતા બે મહિનાના આંશિક લૉકડાઉનના પગલે ગઈ 15 એપ્રિલથી પાટણની રાણીની વાવ પ્રવાસીઓ માટે બંધ કરી દેવામાં આવી હતી. આજે રાણીની વાવ પ્રવાસીઓ માટે ફરીથી ખુલ્લી મૂકાતા સ્થાનિકોની સાથે રાજ્યભરમાંથી પર્યટકો અહીં મુલાકાત લેવા આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે પુરાતત્વ વિભાગની જાહેરાતને પગલે આજથી ઐતિહાસિક અને પૌરાણિક સ્થળોને પર્યટકો માટે ખુલ્લા મૂકવામાં આવ્યા છે. પાટણની રાણની વાવ આજથી ખુલ્લી મૂકાતા પ્રવાસી ઉમટી પડ્યા હતા. આજે પહેલા દિવસે ઑનલાઈન ટિકિટ બુકિંગ સાથે માસ્ક અને સોશિયલ ડિસ્ટંસીંગના પાલન સાથે પ્રવાસીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો. તમને જણાવી દઈએ કે રાણીની વાવ યુનેસ્કોની વિશ્વ વારસા સૂચિમાં શામેલ છે. તેને જોવા માટે દેશ-વિદેશથી મોટી સંખ્યામાં લોકો આવે છે.
સ્ટેચ્યુ ઑફ યુનિટી, કેવડિયા
અગાઉ કેવડિયા સ્થિત દુનિયાની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઑફ યુનિટી પર્યટકો માટે એક વાર ફરીથી ખોલવામાં આવી હતી. આ પ્રતિમા લોખંડીપુરુષની ઉપાધિ મેળવનાર ભારતના પહેલા ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલની સ્મૃતિમાં બનાવવામાં આવી હતી કે જે 597 ફૂટ ઉંચી છે. આ વિશાળ પ્રતિમાનુ નિર્માણ કાર્ય પૂરુ થવામાં લગભગ 3 હજાર કરોડ રૂપિયા ખર્ચ થયા હતા. હાલમાં તે દેશમાં સર્વાધિક કમાણી કરતા પર્યટક સ્થળોમાંનુ એક છે. દેશમાં સ્ટેચ્યુ ઑફ યુનિટીની સરખામણી તાજમહેલ સાથે કરવામાં આવે છે. આ બે જગ્યાએથી પર્યટન વિભાગને કરોડોની આવક થાય છે.