મોઢવાડિયા અને શંકરસિંહ વાઘેલા 11મીએ યાદી લઈને દિલ્હી જશે
ગુજરાત કોંગ્રેસ કર્ણાટકનો વિજય નવી આશા લઈને આવ્યું હોઈ પ્રદેશના નેતાઓ-કાર્યકરોમાં પણ કોંગ્રેસની તમામ છ બેઠક જાળવી રાખવાનો થનગનાટ વધ્યો છે. તેમાં પણ કર્ણાટકની ચૂંટણીની સ્ટ્રેટેજી ઘડનારા કોંગ્રેસના સિદ્ધાર્થ પટેલ, મધૂસુદન મિસ્ત્રી હોવાથી ગુજરાત કોંગ્રેસનો આનંદ બેવડાયો છે.
રાજ્યમાં બે જુને યોજાનારી છ બેઠકોની પેટાચૂંટણીમાં કોંગ્રેસ માટે એક પણ બેઠક ખોવી એટલે ભાજપને સીધો ફાયદો થવાનો છે કેમ કે આ તમામ બેઠકો કોંગ્રેસની છે. જોકે કર્ણાટક વિજયના પગલે પ્રદેશ હાઈકમાન્ડ પણ ઉમેદવારોની યાદીમાં છેલ્લી ઘડીના ફેરફાર કરવામાં વ્યસ્ત બન્યું છે. જે તે બેઠક માટેની થ્રી ટાયર પ્રચારપદ્ધતિ તો અમલમાં પણ મુકાઈ ગઈ છે.
જોકે સંસદનું બજેટ સત્ર વહેલું આટોપાઈ ગયું હોઈ દિલ્હી હાઈકમાન્ડના દ્વારા તારીખ 11મી મે સુધીની રાહ જોવાય તેમ લાગતું નથી અને આજકાલમાં જ અર્જુન મોઢવાડિયા અને શંકરસિંહ વાઘેલાને તાકીદનું તેડું મોકલાવીને ઉમેદવારોના નામને લીલી ઝંડી આપવ દિલ્હી બોલાવે તેવી પૂરેપૂરી શક્યતા છે. કોંગ્રેસ દ્વારા મોડામાં મોડી તારીખ 13મી મે સુધીમાં ઉમેદવારોના નામની જાહેરાત થઈ જશે.