મોદીના શિક્ષકો પણ કહેતા કે તે દરેક નાટકમાં અવ્વલ આવતાઃ મોઢવાડિયા
મોઢવાડિયાએ કહ્યું કે મોદી ભણવામાં મારી જેમ ઠીક-ઠાક હતા. આજે ભલે જેટમાં ફરતા હોય પરંતુ મારી જેમ સાઇકલ લઇને જતા. તેમના શિક્ષકોએ મોદીએ અંગે એક વાત કહી હતી કે, તેઓ હંમેશા દરેક નાટકમાં ભાગ લેતા હતા અને એ દરેક નાટકમાં તે અવ્વલ નંબરે જ આવતા હતા.
મોઢવાડિયાએ કહ્યું કે, અમારી સરકાર હતી ત્યારે ખેડુતોને તરત વિજળી મળતી, જ્યારે આજે વર્ષો સુધી રાહ જોવી પડે છે. સિવિલ હોસ્પિટલમાં પહેલા મફતમાં સારવાર થતી હતી જ્યારે આજે કેસ કઢાવવા માટે પણ પૈસા આપવા પડે છે. ત્યારે તમે મોદીની યાત્રા જોવા માગો છો, 10 વર્ષ રાહ જોવા માંગો છે કે છ મહિનામાં વિજળી જોઇએ છે, હોસ્પિટલમાં મફત સારવાર ઇચ્છો છો કે આનંદીબેનના ફોટા. નક્કી તમારે કરવાનું છે.
તેમણે વધુમાં કહ્યું કે, મોદીએ કહ્યું હતું કે તમે યુવાનોને લેપટોપ, મહિલાઓને ઘરનું ઘર આપવાની વાતો કરો છો પરંતુ એ બધા માટે પૈસા ક્યાંથી લાવશો. તો મારું તેમને કહવું છે કે અમે તમારી જેમ યાત્રાઓ નહીં કાઢીએ, ઉદ્યોગપતિઓને મફતના ભાવે જમીનો નહીં આપીએ, તમારી યાત્રા પાછળ જે 40,000 કરોડનો ખર્ચ થયો છે તેનો ઉપયોગ યુવાનોને લેપટોપ આપવામાં માટે કરીશું.
તમે એક ઉદ્યોગપતિને કરોડો એકર જમીન આપી શકો છો પરંતુ અમે નહીં આપીએ અમને ગામડામાં 56 હજાર એકર અને શહેરમાં 10 હજાર એકર જમીનની જરૂર છે. અમારી બહેનોને ઘરનું ઘર અપાવવા માટે અને અમે તે આપીશું.
મોદીને મુંગેરીલાલ જેવા સ્વપ્ન જોનારા કહી મોઢવાડિયાએ કહ્યું કે, મોદી જ્યારે રાત્રે સુવે છે ત્યારે એવા સ્વપ્ન જૂએ છે કે અડવાણી તો હવે 82ના થયા જાય એટલે મારો વારો આવે, પણ તેમને કોઇક કહોં કે પહેલા ગુજરાતમાં તો ચૂંટણી જીતો પછી ત્યાંની ચૂંટણી અંગે વિચારજો.