મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટીની જવાબદારી કોંગ્રેસી દિનશા પટેલને સોંપશે?
ગાંધીનગર, 7 જૂન : ગુજરાતમાં વિશ્વમાં સૌથી વધારે ઊંચાઇ ધરાવતી પ્રતિમા બનવાની છે. આ પ્રતિમા દેશના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની સ્મૃતિમાં 'સ્ટેચ્યૂ ઓફ યુનિટી' તરીકે બનાવવામાં આવશે. આ અભૂતપૂર્વ પ્રતિમા સરદાર સરોવર ડેમ ખાતે બનાવવાનો સંકલ્પ સત્તાધારી શાસક પક્ષ ભાજપનો છે. જો કે આ સમગ્ર કામગીરીની જવાબદારી કોને સોંપવી તે અંગે નરેન્દ્ર મોદી મથામણ કરી રહ્યા છે. આ મથામણનો ઉકેલ તેમને ભાજપના કોઇ નેતા નહીં પણ કોંગ્રેસના નેતા દિનશા પટેલમાં દેખાઇ રહ્યો છે. સૂત્રો એવી શક્યતા દર્શાવી રહ્યા છે કે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી આ અતિમહત્વની જવાબદારી દિનશા પટેલને સોંપી શકે છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં છેલ્લી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના સંકલ્પપત્રમાં સરદાર સાહેબના 'સ્ટેચ્યૂ ઓફ યુનિટી'ના નિર્માણના સંકલ્પનો સમાવેશ કરાયો હતો. રાજ્ય સરકાર માટે પણ આ અતિમહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટ હોવાથી મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી તેની કામગીરીમાં કોઇ કચાશ કે ઉણપ રાખવા માંગતા નથી. આ માટે દિનશા પટેલને 'સ્ટેચ્યૂ ઓફ યુનિટી'ની પૂર્ણ જવાબદારી સોંપે તેવી સંભાવના હોવાનું જાણવા મળ્યું છે.
નોંધનીય છે કે ર૮ મે, 2013ના રોજ એટલે કે પેટાચૂંટણીના ગરમાયેલા માહોલની વચ્ચે કેન્દ્રની યુપીએ સરકારના ખાણ ખનિજ પ્રધાન અને ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિનશા પટેલે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત યોજી હતી. લગભગ પોણા કલાક સુધી આ બંને નેતાઓએ મંત્રણા કરી હતી. પેટાચૂંટણીના સમયગાળામાં કોંગ્રેસના દિગ્ગજ નેતા દિનશા પટેલની મુખ્યપ્રધાન મોદી સાથેની મુલાકાતથી રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચી ગયો હતો.
દિનશા પટેલની મોદી સાથેની મુલાકાત ઔપચારિક હતી કે અનૌપચારિક હતી તે હજુ નક્કી થઈ શક્યું ન હતું. આ મુલાકાત અંગે આઠ દિવસ બાદ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ આ મુલાકાતનો ખુલાસો કર્યો છે, પરંતુ ખુદ દિનશા પટેલે હજુ સુધી ખુલાસો કર્યો નથી!
પ્રાપ્ત માહિતી મુજબ રાજ્ય સરકાર સરદાર સરોવર ડેમ ખાતે સરદાર પટેલની સ્મૃતિમાં તેમની પ્રતિમા 'સ્ટેચ્યૂ ઓફ યુનિટી'ને ઝડપભેર બનાવવા માગે છે, જે વિશ્વનું ઊંચામાં ઊંચું સ્ટેચ્યૂ બનશે. આ 'સ્ટેચ્યૂ ઓફ યુનિટી' માટે રિવરફ્રન્ટની જેમ સ્વતંત્ર સમિતિ બનાવવામાં આવશે અને જે રિવરફ્રન્ટની પેટર્નથી સરદાર પટેલની પ્રતિમાના નિર્માણકાર્યની જવાબદારી સંભાળશે અને દિનશા પટેલને આ સમિતિના અધ્યક્ષ બનાવાશે.
કોંગ્રેસના દિગ્ગજ નેતા દિનશા પટેલનો સરદાર પટેલ માટેનો પ્રેમ સર્વવિદિત છે. તેઓ પણ સરદાર સ્મારક સાથે કામ કરી રહ્યા છે અને સરદારની જન્મભૂમિ કરમસદ સાથે સંકળાયેલા છે. મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય રાજકારણમાં અતિવ્યસ્ત રહેવાના કારણે સરકારના પક્ષના અતિ મહત્ત્વપૂર્ણ એવા 'સ્ટેચ્યૂ ઓફ યુનિટી'ના પ્રોજેક્ટ પ્રત્યે વિશેષ ધ્યાન આપી શકે તેમ નથી.
બીજી તરફ કોંગ્રેસની યુપીએ સરકારના ખાણ ખનિજપ્રધાન દિનશા પટેલ ઘણા સમય પહેલાં જાહેર કરી ચૂક્યા છે કે હવે તેઓ ચૂંટણી લડવાના નથી. એટલે તેઓ સક્રિય રાજકારણમાંથી નિવૃત્તિ લઈને 'સ્ટેચ્યૂ ઓફ યુનિટી' માટે પૂરો સમય ફાળવી શકે તેમ છે. દિનશા પટેલની ઇમાનદારી માટે તેમના રાજકીય વિરોધીઓને પણ કોઈ શંકા નથી. આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને 'સ્ટેચ્યૂ ઓફ યુનિટી' માટે સમિતિનું ગઠન કરીને તેનું અધ્યક્ષપદ દિનશા પટેલને રાજ્ય સરકાર દ્વારા સોંપાય તેવી પ્રબળ શક્યતા છે.
'સ્ટેચ્યૂ ઓફ યુનિટી' માટે રૂપિયા 100 કરોડ ફાળવાયા
ચાલુ નાણાકીય વર્ષ 2013-14ના બજેટમાં રાજ્ય સરકાર દ્વારા નર્મદા પરિયોજના માટે રૂપિયા 4,606 કરોડ રકમની ફાળવણી કરાઈ છે. આ રકમ પૈકી રૂપિયા 100 કરોડની રકમ સરદાર સાહેબની સરદાર સરોવર ડેમ ખાતે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા અને સ્મારકના નિર્માણ માટે ખર્ચ કરવામાં આવશે.












Click it and Unblock the Notifications
