મોદીનો થરૂરને સળસળતો જવાબ, શીખવાડી ગ્રામ સ્વરાજની પરિભાષા
શશિ થરૂરે ગત 31 મેના રોજ ગોવા ખાતેના એક કાર્યક્રમમાં કહ્યું હતું કે 'આજે આપણે જે દૌરમાં જીવી રહ્યા છીએ, તેમાં મહાત્મા ગાંધીનું 'ગ્રામ સ્વરાજ'નું સપનું વાસ્તવિકતાથી ઘણું દૂર છે.' નરેન્દ્ર મોદીએ આજે તેમની આ ટિપ્પણી પર જવાબ વાળતા ગ્રામ સ્વરાજની પરિભાષા શીખવી દીધી હતી.
મોદીએ જણાવ્યું કે '' સાંભળીને મને ઘણું દુ:ખ થયું કે એક રાજ્યમંત્રીએ એવું કહ્યું હતું કે ગાંધીનું ગ્રામ સ્વરાજનું સપનું આજે અવાસ્તવિક છે. જો નિતિ નિર્ધારકોના વિચાર આવા હશે તો દેશનું શું થશે. જો તેઓ એવું માને છે કે ગામનું મહત્વ નથી, જૂની ગ્રામ્ય સંસ્કૃતિનું માહત્મ્ય નથી તો હું માનું છું કે તે દેશને સમજી શક્યા નથી, જો આ જ લોકો દેશના નિર્ણય કરશે તો ગામનું, દેશનું શું થશે?''
મોદીએ થરૂરને ગાંધીગીરીના પાઠ ભણાવતા કહ્યું કે ''ભાઇઓ બહેનો હું વિશ્વાસ સાથે કહું છું કે મહાત્મા ગાંધીજીની વિચારધારા આજે પણ એટલી જ પ્રસ્તુત છે જેટલી ગાંધીજી હતા ત્યારે હતી. એ વિશ્વાસ આપણામાં હોવો જોઇએ. મહાત્મા ગાંધીની વાતને આપણે ખાસ કરીને આર્થિક ક્ષેત્રને ધ્યાનમાં રાખીને જોઇશું તો આવનાર ઘણા વર્ષો સુધી આપણે સમૃદ્ધી માટે ક્યાંય ભટકવું નહીં પડે. પરંતુ જેમની અંદર વિશ્વાસ ના હોય પોતાના પર વિશ્વાસ ના હોય તે બીજાને શું વિશ્વાસ આપી શકે.''
મોદીએ વધુમાં જણાવ્યું કે આજે આપણે ગામડામાં જઇએ તો તેમની વાતચીતનો વિષય શું હશે. વરસાદ ક્યારે આવશે, પ્રકૃતિ, ખેતી વગેરે.. કેટલો આત્મીય સંબંધ હોય છે પ્રકૃતિ સાથે તેમનો. આખુ વિશ્વ ગ્લોબલ વોર્મિંગથી પીડાઇ રહ્યું છે, જો ગાંધી વિચારધારાને સમજી લઇએ તો ગ્લોબલ વોર્મિંગના બધા જવાબ, એન્વાયર પ્રોટેક્શનના બધા જવાબ ગાંધીજીની દરેક વાતમાંથી મળી જાય છે, જે વિશ્વ તલાસી રહ્યું છે.
તેમણે કહ્યું કે ગાંધી ક્યારેય વિજ્ઞાનના વિરોધી ન્હોતા, આધુનિકતા અને પરિવર્તનના વિરોધી ન્હોતા. માટે એ મહાપુરુષે ગ્રામીણ વિકાસ માટે જે આપણું માર્ગદર્શન કર્યું છે તે આજે પણ એટલું જ સશક્ત અને સામર્થ્યવાન છે. પરંતુ તેની પહેલી શરત એ છે તેમની એ વાતોમાં આપણને આસ્થા હોય, વિશ્વાસ હોય. પરંતુ નીતિ નિર્ધારકો જ ખબર નથી ક્યાં નીકળી પડ્યા છે? આપનું શું થશે, દેશનું શું થશે, એ ગરીબ ગ્રામજનોનું શું થશે અને એ પશુંઓનું શું થશે? એ વિચારીને મન ચિંતિત થઇ ઉઠે છે.