નરેન્દ્ર મોદીના સ્વાગત ઓનલાઇન કાર્યક્રમે દાયકો પૂર્ણ કર્યો
યુનાઇટેડ નેશન્સનો ઇન્ટરનેશનલ એવોર્ડ અને ભારત સરકારનો નેશનલ એવોર્ડ મેળવનારા આ સ્વાગત ઓન લાઇન કાર્યક્રમ નરેન્દ્રભાઇ મોદીએ રાજયકક્ષાએ સચિવાલયમાં જનસંપર્ક કક્ષામાં દર મહિનાના ચોથા ગુરૂવાર માટે 24 એપ્રિલ-2003થી શરૂ કરેલો અને રૂબરૂ આવનારા સામાન્યજનની રજુઆત સાંભાળી, સંબંધકર્તા વિભાગના સચિવની હાજરીમાં તેમજ જિલ્લા કલેકટરને વીડીયો કોન્ફરન્સના માધ્યમથી તેના વાજબી અને ન્યાયી ઉકેલની ટેકનોલોજી આધારીત કાર્યશૈલી વિકસાવી હતી.
જિલ્લાકક્ષાએ કલેકટરો અને વહીવટી અધિકારીઓ દ્વારા જિલ્લા સ્વાગત ઓન લાઇન પણ આ જ દિવસથી શરૂ થયો હતો અને ક્રમશઃ 1 જાન્યુઆરી, 2008થી તાલુકા સ્વાગત ઓન લાઇન અને તેની સફળતાને પગલે ફેબ્રુઆરી 2011થી ગ્રામ સ્વાગત કાર્યક્રમને કાર્યાન્વિત કરવામાં આવતા લોકશાહી પ્રશાસન વ્યવસ્થામાં મુખ્યમંત્રીશ્રીએ છેવાડાના માનવીના પ્રશ્નને ઉકેલવા નવી જ કેડી કંડારી હતી.
મુખ્યમંત્રીના સ્વાગત ઓન લાઇન કાર્યક્રમના એક દશકમાં એકંદરે 2,80,754 નાગરિકોએ કરેલી રજૂઆતોનો 90.44 ટકા ઉકેલ સ્થળ ઉપર જ લાવવામાં આવ્યો હતો. બાકી રહેલી રજુઆતો નીતિવિષયક નિર્ણયોની કે સાર્વજનિક સુવિધાના લાંબાગાળાના પગલાની બાબતો હતી.
મુખ્યમંત્રીએ તમામ જિલ્લા કલેકટરો અને જિલ્લા વરિષ્ઠ પ્રશાસકોને સામાન્ય નાગરિકની રજુઆતને સંવેદના અને માનવીય અભિગમ અપનાવીને ધ્યાનમાં લેવા અને વહીવટી આંટીઘૂંટીમાંથી તેને વાજબી ન્યાય અને સંતોષની અનુભૂતિ થાય તે માટે માર્ગદર્શન આપ્યું હતું. સ્વાગત ઓન લાઇનમાં મુખ્યમંત્રીના અધિક અગ્ર સચિવશ્રી એ.કે. શર્મા, ખાસ ફરજ પરના અધિકારી જે.પી. મોઢા, ચન્દ્રેશ કોટક અને જનસંપર્કના સહયોગીઓ ઉપસ્થિત હતાં.