નર્મદા અવતરણ મહાયજ્ઞ ભાજપનું નવું નાટક : ગોરધન ઝડફિયા
ગુજરાત પરિવર્તન પાર્ટીના પ્રદેશ મહામંત્રી ગોરધન ઝડફિયાએ જણાવ્યું કે "સૌરાષ્ટ્રની જનતા હવે આ સરકારના તાયફાઓને ઓળખી ગઇ છે કારણ કે પ્રજાને ખબર છે કે નર્મદા ડેમમાં તો પાણી છે પરંતુ આ મુખ્યમંત્રીએ છેલ્લા 12 વર્ષ દરમ્યાન એક હથ્થુ શાસન હોવા છતાં કેશુભાઇ પટેલે સત્તા છોડયા પછી તેમાં એકપણ ગામને પીવાના પાણીથી જોડયુ નથી. પ્રજા એ પણ જાણે છે કે નર્મદા કેનાલના સિંચાઇના માળખાં 12 વરસમાં આ સરકારે નથી બનાવ્યા તેના કારણે જ સૌરાષ્ટ્રની ધરતી અને પ્રજા તરસ્યા રહ્યાં છે."
ઝડફિયાએ જણાવ્યું હતું કે નર્મદા જળ અવતરણ યજ્ઞ કાર્યક્રમની પાછળ ભાજપ સરકારનું નાટક જ હતું. પરંતુ પ્રજાને દેખાડવા સૌરાષ્ટ્ર જલધારા ટ્રસ્ટના નામે કાર્યક્રમ કરાવીને એવું દેખાડયું હતું કે સૌરાષ્ટ્રની પ્રજા આ કાર્યક્રમ કરે છે. પરંતુ આમંત્રણ કાર્ડથી જ લોકોને ખબર પડી ગઇ હતી. સૌરાષ્ટ્રને પાણી ન આપવામાં તે જ સરકારનો આ દુષ્કાળમાં પ્રજાનું ધ્યાન બીજે દોરવાનો કાર્યક્રમ છે.
ઝડફિયાએ સૌરાષ્ટ્રની જનતાએ આવાહન કરતા જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર-કચ્છમાંથી દુકાળને દેશવટો દેવો હોય તો કલ્પસર યોજના અને નર્મદાના નીર હવે ખેતરોમાં પહોંચાડવાનો સમય પાકી ગયો છે. અને ભાજપ સરકારના મુખ્યમંત્રી ઠાલા વચનો આપે છે તેમાં લોકો ન છેતરાય. નર્મદા ડેમના દરવાજાના બહાને આ ભાજપના મુખ્યમંત્રી હવે પ્રજાને ન ઉશ્કેરે. પહેલા 9 મિલીયન એકર ફીટ પાણી જે નર્મદા ડેમમાં ભાજપના કારણે વપરાયા વિનાનું કેનાલોના માળખા ન થવાથી ભરેલુ પડયુ છે તે ખેતરોમાં અને પ્રજાને પીવા માટે પહોંચાડે. નર્મદાના માળખા, ધોરીયા, ઢાળીયા, બનાવવા પડે છે.
તેના માટે સરકારે શ્રમયજ્ઞ કરવાની જરૂર છે, નાટકની નહી અને એટલે જ ગુજરાત પરિવર્તન પાર્ટી આજે ભાવનગરના મોતીબાગ ખાતેથી સૌરાષ્ટ્રના દુષ્કાળ પિડીત પ્રજાજનોના પ્રશ્નોને સાંભળવા તથા દુષ્કાળમાં મદદરૂપ થવા સૌરાષ્ટ્રમાં લોકવેદના યાત્રા શરૂ કરી છે. યાત્રા આજે ઉમરાળા, સિહોર પંથકમાં ફરી હતી.