નર્મદા અવતરણ મહાયજ્ઞ ભાજપનું નવું નાટક : ગોરધન ઝડફિયા

ગુજરાત પરિવર્તન પાર્ટીના પ્રદેશ મહામંત્રી ગોરધન ઝડફિયાએ જણાવ્યું કે "સૌરાષ્ટ્રની જનતા હવે આ સરકારના તાયફાઓને ઓળખી ગઇ છે કારણ કે પ્રજાને ખબર છે કે નર્મદા ડેમમાં તો પાણી છે પરંતુ આ મુખ્યમંત્રીએ છેલ્લા 12 વર્ષ દરમ્યાન એક હથ્થુ શાસન હોવા છતાં કેશુભાઇ પટેલે સત્તા છોડયા પછી તેમાં એકપણ ગામને પીવાના પાણીથી જોડયુ નથી. પ્રજા એ પણ જાણે છે કે નર્મદા કેનાલના સિંચાઇના માળખાં 12 વરસમાં આ સરકારે નથી બનાવ્યા તેના કારણે જ સૌરાષ્ટ્રની ધરતી અને પ્રજા તરસ્યા રહ્યાં છે."
ઝડફિયાએ જણાવ્યું હતું કે નર્મદા જળ અવતરણ યજ્ઞ કાર્યક્રમની પાછળ ભાજપ સરકારનું નાટક જ હતું. પરંતુ પ્રજાને દેખાડવા સૌરાષ્ટ્ર જલધારા ટ્રસ્ટના નામે કાર્યક્રમ કરાવીને એવું દેખાડયું હતું કે સૌરાષ્ટ્રની પ્રજા આ કાર્યક્રમ કરે છે. પરંતુ આમંત્રણ કાર્ડથી જ લોકોને ખબર પડી ગઇ હતી. સૌરાષ્ટ્રને પાણી ન આપવામાં તે જ સરકારનો આ દુષ્કાળમાં પ્રજાનું ધ્યાન બીજે દોરવાનો કાર્યક્રમ છે.
ઝડફિયાએ સૌરાષ્ટ્રની જનતાએ આવાહન કરતા જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર-કચ્છમાંથી દુકાળને દેશવટો દેવો હોય તો કલ્પસર યોજના અને નર્મદાના નીર હવે ખેતરોમાં પહોંચાડવાનો સમય પાકી ગયો છે. અને ભાજપ સરકારના મુખ્યમંત્રી ઠાલા વચનો આપે છે તેમાં લોકો ન છેતરાય. નર્મદા ડેમના દરવાજાના બહાને આ ભાજપના મુખ્યમંત્રી હવે પ્રજાને ન ઉશ્કેરે. પહેલા 9 મિલીયન એકર ફીટ પાણી જે નર્મદા ડેમમાં ભાજપના કારણે વપરાયા વિનાનું કેનાલોના માળખા ન થવાથી ભરેલુ પડયુ છે તે ખેતરોમાં અને પ્રજાને પીવા માટે પહોંચાડે. નર્મદાના માળખા, ધોરીયા, ઢાળીયા, બનાવવા પડે છે.
તેના માટે સરકારે શ્રમયજ્ઞ કરવાની જરૂર છે, નાટકની નહી અને એટલે જ ગુજરાત પરિવર્તન પાર્ટી આજે ભાવનગરના મોતીબાગ ખાતેથી સૌરાષ્ટ્રના દુષ્કાળ પિડીત પ્રજાજનોના પ્રશ્નોને સાંભળવા તથા દુષ્કાળમાં મદદરૂપ થવા સૌરાષ્ટ્રમાં લોકવેદના યાત્રા શરૂ કરી છે. યાત્રા આજે ઉમરાળા, સિહોર પંથકમાં ફરી હતી.












Click it and Unblock the Notifications
