રાજ્યભરમાં આજથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ, કોરોનાના વધતા કેસોને લઈને તકેદારી રાખવા સૂચના
રાજ્યભરમાં આજથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઈ ગયો છે.
અમદાવાદઃ રાજ્યભરમાં આજથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઈ ગયો છે. શરદી-ખાંસી ધરાવતા વિદ્યાર્થીઓને શાળાએ ન મોકલવા વાલીઓને સ્કૂલો દ્વારા અપીલ કરવામાં આવી છે. શાળા શરૂ થતા જ આજે વિદ્યાર્થીઓને કોરોના ગાઈડલાઈન આપવામાં આવી હતી. વળી, વેકેશનમાં રાજ્ય બહાર પ્રવાસમાં ગયેલા વિદ્યાર્થીઓની યાદી તૈયાર કરી તેમની તબિયતનો રિપોર્ટ જાણવામાં આવશે. શિક્ષકો, શાળાના સ્ટાફ અને વાલીઓને પણ આ અંગે સૂચના આપી દેવામાં આવી છે.

રાજ્યની તમામ સ્કૂલોમાં નવુ શૈક્ષણિક સત્ર આજથી શરુ થઈ ગયુ છે. ઉનાળુ વેકેશન પૂર્ણ થતા ફરીથી સ્કૂલોના કેમ્પસ વિદ્યાર્થીઓના કોલાહલથી ગૂંજી ઉઠ્યા છે. અમદાવાદ શહેરની અંદાજે 1800 શાળાઓમાં આજથી સ્કૂલો શરુ થઈ છે. ઘણા શાળાઓમાં વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરીને આવકારવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં કોરોનાના લીધે વાર્ષિક પરીક્ષા મોડી શરુ કરાતા ઉનાળુ વેકેશન મોડુ શરુ થયુ હતુ. ધોરણ 1થી 12ની સ્કૂલોમાં 5મી મે બાદ ઉનાળુ વેકેશન શરુ થયુ હતુ. નવુ શૈક્ષણિક સત્ર પણ એક સપ્તાહ જેટલુ મોડુ શરૂ થઈ રહ્યુ છે. રાજ્યની 55 હજારથી વધુ સ્કૂલોના એક કરોડથી વધુ બાળકો આજથી સ્કૂલે ગયા છે.
આજથી સ્કૂલો શરુ થતી હોવાથી શનિવાર અને રવિવારે સ્કૂલની વસ્તુઓ ખરીદવા માટે દુકાનો પર વાલીઓ અને વિદ્યાર્થીઓને ધસારો રહ્યો હતો. બીજી તરફ સ્કૂલ રીક્ષાઓ અને વેન પણ આજથી રસ્તાઓ પર દોડતી થઈ ગઈ છે. બીજી તરફ વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે રાહતના સમાચાર એ પણ છે કે રાજ્યમાં ગરમીનુ પ્રમાણ ઘટ્યુ છે અને ઘણા વિસ્તારોમાં વરસાદ શરુ થતા વાદળછાયા વાતાવરણથી હવામાં ઠંડક પ્રસરી ગઈ છે.












Click it and Unblock the Notifications
