વાવાઝોડાની અસરના પગલે રાજ્યમાં નાઈટ કર્ફ્યુ 3 દિવસ લંબાયો, સીએમ રૂપાણીની જાહેરાત
ગુજરાતમાં 'તૌકતે' વાવાઝોડુ ટકરાઈ ચૂક્યુ છે જેના પગલે મીની લૉકડાઉન મંગળવાર, બુધવાર અને ગુરુવાર એમ ત્રણ દિવસ યથાવત રહેશે.
ગાંધીનગરઃ ગુજરાતમાં 'તૌકતે' વાવાઝોડુ ટકરાઈ ચૂક્યુ છે જેના પગલે ગાંધીનગર સ્ટેટ ઈમરજન્સી ઑપરેશન સેન્ટર ખાતે કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કંટ્રોલ રૂમથી મીડિયાને સંબોધન કર્યુ હતુ. તેમણે જણાવ્યુ કે વાવાઝોડાની પરિસ્થિતિ અને તંત્ર હાલ કામમાં હોવાથી મીની લૉકડાઉન મંગળવાર, બુધવાર અને ગુરુવાર એમ ત્રણ દિવસ યથાવત રહેશે અને બજારો પણ બંધ રહેશે.

સીએમ રૂપાણીએ જણાવ્યુ કે 18 મેથી 20 મે સુધી રાત્રિ કર્ફ્યુનો અમલ ચાલુ રહેશે. એટલે કે રાતે 8 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યુનો અમલ ચાલુ રહેશે. 21 મે સવારે 6 વાગ્યા સુધી આ કર્ફ્યુ ચાલુ રહેશે. આ નિયંત્રણો દરમિયાન તમામ જરૂરી સેવાઓ ચાલુ રહેશે. જેમાં અનાજ-કરિયાણાની દુકાનો, શાકભાજી, ફળ, મેડિકલ સ્ટોર, મિલ્ક પાર્લર, બેકરી, ખાદ્ય પદાર્થોની દુકાનો તથા ચશ્માની દુકાનો ચાલુ રહેશે. 36 શહેરોમાં તમામ ઉદ્યોગો, ઉત્પાદન એકમો, કારખાનાઓ અને બાંધકામ પ્રવૃત્તિઓ યથાવત રહેશે.
આ ઉપરાંત 36 શહેરોમાં પશુ આહાર, ઘાસચારો અને પશુઓની દવાઓ તથા સારવાર સંબંધિત સેવાઓ, કૃષિ કામગીરી, પેસ્ટ કંટ્રોલ અને જરૂરી સેવાઓના ઉત્પાદન, પરિવહન અને પુરવઠા વ્યવસ્થા, તમામ જરૂરી વસ્તુઓના પરિવહન, સંગ્રહ અને વિતરણને લગતી તમામ સેવાઓ યથાવત રહેશે. આંતરરાજ્ય, આંતર જિલ્લા અને આંતર શહેરની ટ્રાન્સપોર્ટ સેવાઓ અને તેને સંલગ્ન ઈ-કૉમર્સ સેવાઓ પણ ચાલુ રહેશે.












Click it and Unblock the Notifications
