નિખીલ સવાનીએ છોડ્યું ભાજપ, કહ્યું હવે મળીશ રાહુલ ગાંધીને
પાટીદાર નેતા નિખિલ સવાનીએ ભાજપ છોડ્યું. સાથે જ કરી કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને મળવાની વાત. જાણો ભાજપ છોડતા પહેલા નીખિલ ભાજપ પર શું આરોપ લગાવ્યા.
હાર્દિક પટેલના ભૂતપૂર્વ સાથી અને પાટીદાર નેતા નિખિલ સવાનીએ સોમવારે એક પ્રેસ કોન્ફર્ન્સ યોજી ભાજપ છોડવાની જાહેરાત કરી છે. નિખિલ સવાની કહ્યું કે ભાજપમાં જોડાવાનો તેનો નિર્ણય અયોગ્ય હતો. અને તેને જ્યારે લાગ્યું કે ભાજપ ખાલી લોલીપોપ જ બતાવે છે અને તેનાથી વધુ કશું જ નથી કરતી ત્યારે તેણે ચૂંટણી પહેલા ભાજપ છોડવાનો વિચાર કર્યો છે. સાથે જ તેણે સ્પષ્ટતા આપી કે મને ભાજપે પૈસા આપીને નહતો ખરીદ્યો. જો કે સાથે જ તેણે કહ્યું કે નરેન્દ્ર પટેલે 1 કરોડની ઓફર કરાઇ છે તે જાણીને હું દુખી છું.
વધુમાં નિખિલ સવાનીએ કહ્યું કે તે કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને મળવા માંગે છે. અને તેમની સમક્ષ પોતાના વિચારો મુકવા માંગે છે. ઉલ્લેખનીય છે કે આજે રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે છે. ત્યારે અલ્પેશ ઠાકોર સાથે નિખિલ સવાની પણ કોંગ્રેસમાં જોડાય તેવી સંભાવના છે. વધુમાં નિખિલ સવાની નરેન્દ્ર પટેલના વખાણ કરતા કહ્યું કે સારું છે કે એક સામાન્ય પરિવારમાંથી આવતા હોવા છતાં નરેન્દ્ર ભાઇએ પૈસા ના લીધા. સાથે જ નિખિલ કહ્યું કે ભાજપ દ્વારા ઊંચી રકમે લોકોને ખરીદવામાં આવી રહ્યા છે તેવી વાત મેં પણ સાંભળી છે. ઉલ્લેખનીય છે કે પાસ નેતા નિખિલે હાર્દિક પટેલ સાથે વૈચારિક મતભેદ બાદ ભાજપમાં જોડાયો હતો. અને હવે ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા તે કોંગ્રેસમાં પણ જોડાઇ શકે છે.