આર્થિક સામાજિક પરિવર્તનનું કેન્દ્રબિંદુ પરિણામ હોવું જોઇએ : નરેન્દ્ર મોદી
ઓરિસ્સાના ઉઘોગ ક્ષેત્રે 26 વર્ષથી કાર્યરત આર. પી. ગુપ્તા ભારતીય અર્થતંત્ર અને સુશાસન વિશે પોતાના મૌલિક વિચારો પ્રાસંગિક લેખોમાં અભિવ્યકત કરતા રહયા છે તેમના આ પુસ્તક વિમોચન પ્રસંગે ઓરિસ્સા, દિલ્હી, મુંબઇ સહિતના વિવિધ રાજ્યોના રાજકીય, આર્થિક, સામાજિક અને બૌધ્ધિક વર્ગના ગણમાન્ય આગેવાનો ઉપસ્થિત રહયા હતા.
ગુજરાતે દેશમાં વિકાસની રાજનીતિનો એજન્ડા પ્રસ્થાપિત કરી દીધો છે અને ભારતમાં કુદરતી સંપદા અને માનવશકિતના સંયોજનથી જ સામાજિક-આર્થિક પરિવર્તન અવશ્ય લાવી શકાશે તેના પ્રેરક વિચારો તેમણે રજૂ કર્યા હતા.
ગુજરાત-સોમનાથની ધરતી ઉપર ઓરિસ્સા-જગન્નાથના મિલનનો આ અવસર પશ્ચિમ અને પૂરબ હિન્દુસ્તાનના મિલનનો પણ અવસર છે એમ જણાવી મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે પૂરબ હિન્દુસ્તાનની ઓરિસ્સા ભૂમિની કુદરતી સંપતિ અને તેનો વિનિયોગ કરવાની પશ્ચિમ ભારતની ગુજરાતની ક્ષમતાનું સંયોજન થાય તો દેશના આર્થિક વ્યવસ્થાપનને મોટું બળ મળશે. નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે દેશના અર્થતંત્રમાં નવો પ્રાણ નવી શકિત લાવી શકાય એમાં કોઇ શંકા નથી.
આપણા દેશમાં શું નથી થયું અને શું થવું જોઇએ તેની ચર્ચા રોજિંદી થાય છે જ, પરંતુ આપણી પાસે વિકાસની કેટલી વિશાળ સંભાવના પડેલી છે, તેનો મહત્તમ વિનિયોગ કઇ રીતે કરી શકાય તેના ઉપર ધ્યાન કેન્દ્રીત કરવાની જરૂર છે એમ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.
આ સંદર્ભમાં સમૃધ્ધ-વિકસીત દેશોની નીતિઓ તૈયાર કરવામાં યુનિવર્સિટી અને શિક્ષણ સંશોધન સંસ્થાઓના ‘ઇન્પુટ'નું ધણું નિર્ણાયક યોગદાન છે તેનો ઉલ્લેખ કરતાં નરેન્દ્ર મોદીએ સમાજના વિવિધ ક્ષેત્રો, વિભાગો, બૌધ્ધિક વર્ગોએ જૂદા જૂદા પાસાંઓ ઉપર મંથન કરીને જે વિચાર ભાથું આપ્યું છે તેને સંસ્થાગત ધોરણે વિકસાવી દેશની નીતિ-નિર્ધારણ અને વિકાસના વિઝન તૈયાર કરવામાં ઉપયોગમાં લેવાવું જોઇએ એવું પ્રેરક સૂચન કર્યુ઼ હતું.
મુખ્યમંત્રીએ આ સંદર્ભમાં પંચવર્ષીય યોજનાઓના નિર્ધારણમાં સાતત્યપૂર્ણ ધોરણે દેશની વિવિધ મૌલિક વિચારશકિતઓનો ઉપયોગ કરવાની હિમાયત કરી હતી. આપણા બજેટ આયોજનમાં OUTPUT (જોગવાઇ) નહીં પણ OUTCOME (પરિણામ) ઉપર ફોકસ કરવાની જરૂર છે. તો જ આપણી નીતિ-નિર્ધારણની સામાજિક-આર્થિક પરિવર્તનની સોચમાં નવા આયામો આવી શકશે એમ તેમણે જણાવ્યું હતું.
ગુજરાતે 18000 ગામડામાં માત્ર 24x7 થ્રી ફેઇઝ જ્યોતિગ્રામ વીજળીની સુવિધા જ નથી પૂરી પાડી, પરંતુ ગ્રામીણ જીવનમાં કઇ રીતે સામાજિક-આર્થિક પરિવર્તન આવ્યું છે તેનો અસરોનું સંશોધન-પૃથ્યકરણ કરેલું છે. સાબરમતી જેવી દાયકાઓથી સુકીભઠ્ઠ નદી ઉપર નર્મદાનું પાણી વહેતું કરવાથી ગુણવતાવાળા શુધ્ધ પાણીથી સમાજજીવનમાં આરોગ્ય રક્ષા સહિત સામાજિક-આર્થિક પરિવર્તનની કેટલી પ્રભાવક અસરો ઉભી થઇ છે તેની રૂપરેખા મુખ્યમંત્રીએ આપી હતી.
હવે દેશમાં રાજ્યો વચ્ચે તંદુરસ્ત એવી વિકાસની સ્પર્ધાનું વાતાવરણ અને તે અંગેની ચર્ચા થઇ રહી છે અને અર્થતંત્ર તથા વિકાસના વિષયો માત્ર અધ્યયન-શૈક્ષણિક દાયરા પૂરતા મર્યાદિત નથી રહયા એને આવકાર્ય સંકેત માનતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે રાજ્યોની ઉત્તમ સિધ્ધિઓની તુલનાનો અભ્યાસ થઇ રહયો છે.
મુખ્યમંત્રીએ ગૌરવપૂર્વક જણાવ્યું કે ગુજરાતે આ દેશમાં ડેવલપમેન્ટ પોલિટીકસ (વિકાસની રાજનીતિ)નો એજન્ડા પ્રસ્થાપિત કરી દીધો છે. ઓછામાં ઓછો કુદરતી સંસાધનોનો દુર્વ્યય અને તેનો વિકાસમાં મહત્તમ ઉપયોગ દેશની અર્થવ્યવસ્થામાં ખૂબ જ ઉપકારક બનશે પરંતુ કમનસિબે આમ થતું નથી. હિન્દુસ્તાનનો 2/3 ભૂ-ભાગ દરિયાઇ સંપતિ-સમૂદ્રકાંઠા સાથે જોડાયેલો છે પરંતુ સમુદ્રતટનો જળમાર્ગે પરિવહનનો વિકાસ કરવામાં આપણે ઉપેક્ષા જ દાખવી છે. આપણે કુદરતી સાધનો, માનવશકિત બળ, બુધ્ધિબળ-બધાનો સમન્વય કરીને તેને વિકાસ માટેના નેતૃત્વની ક્ષમતામાં પ્રદર્શિત કરવાની જરૂર છે એમ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.
ભારતમાતાનું કર્જ ચૂકવવા આપણે જ્યાં છીએ ત્યાંથી એવું દાયિત્વ નિભાવીએ જે આવનારી પેઢી ઉપર કોઇ બોજ ના રહે તેવું વિકસીત ભારત નિર્માણ કરીએ એવી અભિલાષા વ્યકત કરતાં મુખ્યમંત્રીએ આર. પી. ગુપ્તાને તેમના લેખન આયામ માટે શુભેચ્છા આપી હતી.
નરેન્દ્ર મોદીના કુશળ નેતૃત્વમાં ગુજરાતના શાસન અને આર્થિક-સામાજિક પ્રગતિની સિધ્ધિઓને પુસ્તક લેખક આર. પી. ગુપ્તાએ પથદર્શક ગણાવી હતી અને ભારતના સામ્પ્રત અર્થતંત્રનું વિશ્લેષણ કરી તેને પ્રાણવાન બનાવવા માટેના આગવા વિચારો વ્યકત કર્યા હતા. ભારતીય લોકતંત્રને સુદ્રઢ બનાવવા સાચી દિશાની શાસકીય નીતિઓ માટે આપણે આત્મ-નિરીક્ષણ કરવાની જરૂર છે એમ આર. પી. ગુપ્તાએ જણાવ્યું હતું. દેશ મહાન છે અને ટીમ સ્પિરીટથી સહિયારૂં દાયિત્વ નિભાવવા ઉપર ભાર મૂકયો હતો.
આર. પી. ગુપ્તાએ ગુજરાતનું કર્જ ચૂકવ્યા પછી ભારતનું ઋણ ચૂકવવાનું નેતૃત્વ લેવા નરેન્દ્ર મોદીને અંતકરણથી વિનંતી કરી હતી. આ પ્રસંગે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપા રાષ્ટ્રીય અગ્રણી જુએલ ઓરામ, સાંસદ રામલાલ અગ્રવાલ, શિવસેનાના સાંસદ ભરત રાઉત, રમેશ મહેતા તથા આમંત્રિતો અને મુખ્યમંત્રીના અધિક મુખ્ય અગ્રસચિવ કે. કૈલાસનાથન, અધિક અગ્રસચિવ જી. સી. મુર્મુ તથા ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહયા હતા.