વિરોધ પ્રદર્શન કરવા ટ્રેનના મુસાફરોએ 30 વાર ચેઇન ખેંચી ટ્રેનને બે કલાક રોકી રાખી
ભરૂચ, 18 સપ્ટેમ્બર : કહેવાય છે કે પ્રજા વિફરે ત્યારે ભલભલા થથરે છે. આવો જ એક કિસ્સો આજે ભરૂચ પાસેના પાનોલી રેલવે સ્ટેશન ખાતે નોંધાયો હતો. ભરુચ નજીક પાનોલી ખાતે રોજ ટ્રેનના ટાઇમમાં વિલંબ થવાની બાબતછી ઉશ્કેરાયેલા મુસાફરોએ ભારે હોબાળો મચાવ્યો હતો. તેમણે પોતાની સમસ્યાની અનેકવાર રજૂઆતો કરી હોવા છતાં અધિકારીઓએ મચક આપી ન હોવાથી તેઓ વિરોધ પ્રદર્શનના માર્ગે ચાલવા પ્રેરાયા હતા.
ઉશ્કેરાયેલા મુસાફરોએ ભરૂચ પાસેના પાનોલી ખાતે હંગામો મચાવીને ટ્રેનને બે કલાક સુધી રોકી રાખી હતી. ટ્રેન આટલો બધો સમય રોકી રાખવા માટે મુસાફરોએ એક વખત નહીં પણ 30 વખત ચેન પુલીંગ કર્યું હોવાનું નોંધાયું છે. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસ કાફલો રેલ્વે સ્ટેશન પર પહોચી ગયો હતો.

વલસાડથી દાહોદ જતી ટ્રેન છેલ્લા ચાર દિવસથી મોડી પડતી હોવાથી મુસાફરોએ ટ્રેન ઉભી રાખી દીધી હતી. આજે વિરોધ પ્રદર્શન માટે મુસાફરોએ ચેઈન પુલીંગ કરવાનું શરૂ કરતા પાનોલી સ્ટેશન પર જ આ ટ્રેન બે કલાક રોકાઈ રહી હતી અને આ રુટ પરના ટ્રેન વ્યવહાર બે કલાક માટે ખોરવાઇ ગયો હતો.
સ્થળ પર આવેલી પોલીસે મુસાફરોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો અને એ પછી પણ મુસાફરોએ મચક નહી આપતા આખરે વધારાનો પોલીસ કાફલો બોલાવવો પડ્યો હતો.આખરે પોલીસે બળપ્રયોગ કર્યા બાદ આ ટ્રેન રવાના થઈ શકી હતી.
મુસાફરોનું કહેવું હતું કે ટ્રેન છેલ્લા ચાર દિવસથી સિગ્નલ નહી મળતો હોવાથી મોડી પડી રહી છે અને તેના કારણે વિદ્યાર્થીઓ પોતાની પરીક્ષા પણ ચુકી ગયા છે.












Click it and Unblock the Notifications
